fbpx

કામરેજ ટોલમાંથી સુરતના લોકોને મુક્તિ અપાવવા કોંગ્રેસ રસ્તા પર ઉતરી

Spread the love

કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોને ટોલટેક્ષમાંથી મુકિત અપાવવા બાબતે આજે  કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. રજુઆત સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક, ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ જયેન્દ્ર દેસાઈ, ભારતીય યુથ કોંગ્રેસના મંત્રી પ્રદીપ સિંધવ, સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા, સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકા અસ્લમ સાયકલવાલા, ઋષિન રાયકા,સુરેશ સુહાગીયા, દિનેશ રાયકા,સુરત લીગલ સેલના પ્રમુખ બળવંતભાઇ સુરતી, યુનુશ પઠાણ, જય રાઠોડ, ધર્મેશ પટેલ, ભરત દેસાઈ, મહેશ કેવડિયા,હરીશ  માયાવંશી સહિતના સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે, સુરત જીલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કામરેજ ખાતે ટોલનાકુ આવ્યું છે. આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોલ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર એને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે. આ ટોલનાકા ખાતે વાહનોના ટોલટેક્ષ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે.

કોંગ્રેસે જણાવ્યું કે, 2019નાં વર્ષમાં આગેવાનો દ્વારા સરકારમાં રજુઆત કરતા કામરેજ ટોલનાકા ખાતે સુરતના વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા ફાસ્ટટેગ શરૂ કરતા કામરેજ ટોલનાકા ખાતે ફાસ્ટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલટેક્ષ વસુલ કરવાનું શરૂઆત કરી દેવામાં આવ્યું છે અને  કામરેજ ટોલનાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વારી હોવાથી ફાસ્ટેગ માંથી ઓટોમેટિક ટોલટેક્ષ કપાઈ જાય છે. જેથી  સુરતના કામરેજ ખાતે ટોલનાકાનાં સંચાલકો દ્વારા સ્થાનિક(જી.જે.૦૫ અને જી.જે.૧૯) વાહન ચાલકો પાસેથી  ઉઘાડી લૂંટ ચલાવવાના પગલે ચારેકોર વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

વધુમાં કોંગ્રેસે જણાવ્યું કે, નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા ખાતે જે એજન્સીને ટોલટેક્ષ વસૂલ કરવા માટે કામ સોંપવામાં આવી છે તે એજન્સીની ટોલટેક્ષ વસૂલ કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે એવું સ્થળ પર જોતાં દેખાઈ આવે છે. જેથી હાલમાં કામરેજ ટોલનાકા ખાતે જે ટોલટેક્ષ ખાનગી એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે તે નીતિનિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ તેમજ જો હાલમાં જો નીતિનિયમો વિરુદ્ધ જઈ ટોલટેક્ષ વસૂલ કરવામાં આવી રહ્યો હોય તો, તે જાહેર હિતમાં તત્કાલ અસરથી બંધ કરાવવો જોઈએ.

કોંગ્રેસે કહ્યું કે, પ્રત્યેક ટોલનાકા ખાતે ટોલટેક્ષ દ્વારા ખાનગી એજન્સીને  વાર્ષિક કુલ કેટલી આવક થાય છે તે માહિતી દરેક ટોલનાકા ખાતે વાહન ચાલકો જાણી શકે તે રીતે મૂકવી જોઈએ તથા ટોલનાકા ખાતે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોય તે એજન્સી દ્વારા કઇ કઇ સુવિધાઓ આપવાની ફરજ છે તથા હાલમાં કઇ કઇ સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની યાદી પણ ટોલનાકા ખાતે જાહેર જનતાએ દેખાઈ એ રીતે મૂકવી જોઈએ.પરંતુ કામરેજ ટોલનાકા ખાતે આવી કોઈ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી નથી એવું સ્થળ પણ જોતાં જણાવી આવે છે. 

કામરેજ ટોલનાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેક વાર અવર-જવર કરનાર વાહનચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલટેક્ષ  વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને સિસ્ટબધ કામગીરી કરવા માટે  યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ.જેથી વાહનચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં,.

કામરેજ ટોલનાકા પરથી પસાર થતી વખતે નેશનલ હાઈવે ઉપર રસ્તો પસાર કરવા મોટેભાગે પિક અવર્સમાં આશરે ટ્રાફિક જામ રહે છે તથા સર્વિસ રોડ NHAI ના નીતિનિયમો મુજબ બનાવવામાં આવેલ નથી. એ જોતાં પિક અવર્સમાં ટ્રાફિક જામ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તથા જો પિક અવર્સમાં કામરેજ ટોલનાકાના  સંચાલકો  દ્વારા  ટ્રાફિક જામ  થવાની સમસ્યા દૂર ન થાય તો તે સમયગાળામાં વાહનોને ટોલટેક્ષ માંથી નિયમ મુજબ મુક્તિ મળવી જોઈએ.

રજુઆતમાં જણાવાયું હતું કે, કામરેજ ટોલનાકાનું સંચાલન પાદર્શીત રીતે થાય તે માટે ગુજરાત  સરકારે કામરેજ  ટોલનાકા ખાતે રાજ્ય સરકારનાં કંટ્રોલિંગમાં રહે એવા સી.સી.ટી .વી. કેમેરા લગાવવા જોઈએ તથા  વધુમાં જણાવવાનું કે રાજ્ય અને કેન્દ્ર સરકારે તથા હાઇવે ઓર્થોરીતિએ સાથે મળી ટોલનાકા ખાતેની ફરિયાદ નિવારવા માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવો જોઈએ.

કોંગ્રેસે જણાવ્યું કે ટોલટેક્સનો ઉપયોગ રસ્તા વગેરેની જાળવણી અને બાંધકામ માટે થાય છે. સરકાર આ ફી વડે હાઈવે અને એક્સપ્રેસ વેનું આયોજન અને જાળવણી કરે છે.પરંતુ  કામરેજ ટોલનાકાઓનું સંચાલન જે એજન્સીને સોંપવામાં આવે છે તે એજન્સી રસ્તાઓની જાળવણી સરકારનાં નિયમો મુજબ કરી રહી નથી. જેને કારણે હાઇવે ઉપર વારંવાર અક્સમાતો થઈ રહ્યા છે તથા સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવાનો આવી રહ્યો છે. સદર બાબતે પણ તપાસ થવી  જોઈએ તથા ટોલટેક્ષ વસૂલ કરનાર એજન્સીની જવાબદારી નક્કી થવી જોઈએ.

ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા માટે અલગથી બે લેન શરૂ કરવામાં આવે તથા આ લેન માંથી પસાર થતાં સ્થાનિક નાગરીકોના (જી.જે.૦૫ અને જી.જે.૧૯)વાહનોનો  ટોલટેક્ષ ખોટી રીતે વસૂલ થાય નહીં તે માટે સોફ્ટવેર અપડેટ કરાવવું જોઈએ એવી સુરત શહેર અને જિલ્લાના સ્થાનિક નાગરિકો વતી અમારી આપશ્રીને નમ્ર અજર છે તથા સુરત શહેર અને જીલ્લામાં આવેલા ટોલનાકાઓનો વહીવટ  પારદર્શી રીતે થાય તથા  આવક જાહેર કરવાનાં  નિયમો બનાવી સરકાર અને વાહનચાલકોને  ફાયદો થાય તે માટે લોકહિતમાં કાર્યવાહી કરવા માટે કોંગ્રેસે કલેક્ટરને રજુઆત કરી છે.

error: Content is protected !!