fbpx

IT કંપનીની માલિકે કર્મચારી સાથે પ્રેમલગ્ન કર્યા, પતિ 5 કરોડ લઈને ભાગી ગયો

Spread the love

ઓડિશાના ભદ્રક જિલ્લામાં ગુજરાતની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ખરેખર, મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમનો આરોપ છે કે, ફરિયાદ કર્યા પછી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આનાથી પરેશાન થઈને તેણે પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પી લીધું. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે લગ્ન પછી, મહિલાના પતિએ તેની મિલકત અને પૈસા પડાવી લીધા અને તેને તરછોડી દીધી.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પીડિતા અમદાવાદમાં એક IT કંપનીની માલિક હતી. તેને મનોજ નાયક નામના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો, જે તેની જ કંપનીમાં કામ કરતો હતો. આ પછી અમે બંને એ લગ્ન કરી લીધા. પોલીસનું કહેવું છે કે, બંનેને બે વર્ષનો દીકરો પણ છે. લગ્ન પછી, મનોજે મહિલાને તેના ગામ નરસિંહપુરમાં વ્યવસાય શરૂ કરવા માટે સમજાવી હતી. આ વ્યવસાય માટે, મહિલાએ પોતાની મિલકત અને કંપની ગીરવે મૂકી અને લગભગ 5 કરોડ રૂપિયાની લોન લઈને તેના પતિને આપી દીધી.

મહિલાનો આરોપ છે કે, 5 કરોડ રૂપિયા લીધા પછી મનોજે તે પૈસા લઇ લીધા અને તેને છોડીને ભાગી ગયો. આ પછી, પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ ત્રણ મહિના વીતી ગયા પછી પણ પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી. ફરિયાદ કરવા છતાં પણ કોઈ સુનાવણી ન થતાં હતાશ થઈને મહિલા બોનઠ પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં જઈને ફિનાઈલ પી લીધું. જ્યારે પોલીસ કર્મચારીઓએ આ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા. મહિલાને તાત્કાલિક ભદ્રક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર પછી, હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાની હાલત સ્થિર જાહેર કરી છે.

મહિલાના ભાઈએ કહ્યું કે, મારી બહેન છેલ્લા ત્રણ મહિનાથી પરેશાન હતી. પોલીસની બેદરકારીને કારણે, તે એટલી વ્યથિત થઈ ગઈ કે, તેને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મહિલાના ભાઈએ કહ્યું કે, આરોપી મનોજ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

બોનઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ શ્રીવલ્લભ સાહુએ જણાવ્યું હતું કે, આરોપી મનોજને શોધવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક ઇન્સ્પેક્ટર અને બે સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ટીમે ઓડિશામાં રાઉરકેલા, સંબલપુર અને બેરહામપુર સહિત અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

error: Content is protected !!