

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં દક્ષિણ ભારતના લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ પ્રોત્સાહનની હિમાયત બાદ, વિજયનગરમથી પાર્ટીના સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ આશ્ચર્યજનક જાહેરાત કરી છે.
વાસ્તવમાં, TDPના લોકસભાના સાંસદ કાલિસેટ્ટી અપ્પાલા નાયડુએ ત્રીજા બાળકને જન્મ આપનારી મહિલાઓને 50,000 રૂપિયા આપવાની ઓફર કરી છે. આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે જો મહિલા છોકરાને જન્મ આપશે તો તેને એક ગાય પણ ભેંટમાં આપવામાં આવશે. તેમણે આ જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જે વાયરલ થઈ રહી છે.

લોકસભાના સભ્ય કાલિસેટ્ટી અપ્પાલા નાયડુએ કહ્યું કે તેઓ તેમના પગારમાંથી રોકડ પ્રોત્સાહન રકમ આપશે. લોકસભા સાંસદની આ જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. TDP નેતાઓના જણાવ્યા મુજબ, તેમની આ એફરને મહિલાઓ ક્રાંતિકારી ગણાવી રહી છે. આ સાથે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ આ ઓફરની જાહેરાત કરવા માટે સાંસદના વખાણ કર્યા છે.
નોંધનીય છે કે માર્ચ મહિનામાં દિલ્હીની યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નાયડુએ દક્ષિણ ભારતમાં ઘટી રહેલી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ત્યાંની વૃદ્ધ વસ્તી પડકારો ઉભી કરી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં યુવાનોની વસ્તી વધુ છે. આ સાથે જ મુખ્યમંત્રી નાયડુએ વસ્તી નિયંત્રણની જગ્યાએ દીર્ઘકાલિન વસ્તી વિષયક વ્યવસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી નાયડુએ આ દરમિયાન કહ્યું હતું કે, પહેલા હું ફેમિલી પ્લાનિંગની વકીલાત કરતો હતો. હવે હું મારા વિચારો બદલી રહ્યો છું અને વસ્તીને પ્રોત્સાહન આપી રહ્યો છું. ભારત એવો દેશ છે કે જેની પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં સૌથી વધુ ફાયદો છે. જો આપણે ભવિષ્ય માટે ડેમોગ્રાફિક ડિવિડન્ડનું સંચાલન કરી શકીએ છીએ, તો ભારત અને ભારતીયો મહાન હશે. વૈશ્વિક સમુદાય વૈશ્વિક સેવાઓ માટે ભારતીયો પર નિર્ભર છે.

શનિવારે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી સમયે માતૃત્વ માટે રજા આપવામાં આવશે, પછી ભલે તેમના ગમે તેટલા બાળકો હોય. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રકાશમ જિલ્લાના મરકાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
સીએમ એક્સ પર પોસ્ટ
મુખ્યમંત્રી નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, અગાઉ, માતૃત્વ માટે રજા બે બાળકો સુધી મર્યાદિત હતી. હવે, અમે તમામ બાળકોને આવરી લેવા માટે માતૃત્વની રજા લંબાવી રહ્યા છીએ, પછી ભલે તેની સંખ્યા ગમે તેટલી હોય. આ પગલાનો ઉદ્દેશ્ય પરિવારના વિકાસને પ્રોત્સાહિત કરવા, વસ્તી સંતુલનને સંબોધિત તકલી અને મહિલાઓને તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલિત કરવામાં મદદ કરવાનો છે. અમે મહિલાઓના સશક્તિકરણ અને આંધ્ર પ્રદેશ માટે મજબૂત ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.