fbpx

ગુજરાતમાં મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર: એક ગંભીર ચિંતાનો વિષય

Spread the love
ગુજરાતમાં મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર: એક ગંભીર ચિંતાનો વિષય

આપણા ગુજરાતને વિકાસનું મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. ભાજપની સરકાર વર્ષોથી સત્તામાં છે અને તે ભ્રષ્ટાચાર વિરોધી જાહેરાતો કરીને પોતાની છબી અંગે સ્પષ્ટતા કરતી રહે છે પરંતુ વાસ્તવિકતા  વિપરીત છે. રાજ્યના મહત્વના વિભાગોમાં ભ્રષ્ટાચારનું જાળું ફેલાયેલું છે અને તેમાં મહેસૂલ વિભાગનું નામ સૌથી આગળ આવે છે. જમીનના રેકોર્ડ, નોન-એગ્રીકલ્ચરલ પરવાનગીઓ, માલિકી હકની એન્ટ્રીઝ અને જમીન વહેંચણી જેવા કામોમાં લાંચલૂંચ અને અનિયમિતતાઓના આરોપો સતત સામે આવે છે. આ ભ્રષ્ટાચાર માત્ર વહીવટી અવરોધ નથી પરંતુ તે સામાન્ય નાગરિકોના હક્કોનું હનન કરે છે અને રાજ્યના વિકાસને ખોખલો બનાવે છે.

03

તાજેતરના વર્ષોમાં એન્ટીકરપ્શન બ્યુરો (ACB) અને વિજિલન્સ કમિશનના આંકડાઓ આ ચિંતાને વધુ ગંભીર બનાવે છે. ૨૦૨૩માં ગૃહ વિભાગ પછી પંચાયત અને મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી મામલતદારની ધરપકડ થઈ જેમના ઉપર લાંચ અને મની લોન્ડરિંગના આરોપ લાગ્યા. આવા કિસ્સા નવા નથી. વર્ષોથી મહેસૂલ વિભાગમાં જમીનની ફાળવણી, અતિક્રમણોના નિયમિતીકરણ અને રેકોર્ડમાં ફેરફાર માટે લાંચની ફરિયાદો સામે આવતી રહી છે. વિજિલન્સ કમિશનના અહેવાલ મુજબ શહેરી વિકાસ પછી મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ફરિયાદો આવે છે. આ ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ વિભાગની વ્યાપક સત્તા છે. જમીન એ ગુજરાતના અર્થતંત્રનો આધાર છે અને તેના નિયંત્રણમાં અધિકારીઓની મનમાની ચાલે છે એ એક કડવું સત્ય છે. 

સરકારની ભ્રષ્ટાચાર વિરોધી જાહેરાતો હવામાં રહી જાય છે જ્યારે વાસ્તવમાં કાર્યવાહી નબળી દેખાય છે. ડિજિટલાઇઝેશન જેવા પગલાં જેમ કે iORA પ્લેટફોર્મ અને e-ધરા લાવવામાં આવ્યા છે જે પારદર્શિતા વધારવાના દાવા કરે છે પરંતુ આ પગલાં કેટલા અસરકારક છે? ડિજિટલ પ્રક્રિયાઓ હોવા છતાં લાંચના કિસ્સા ઘટ્યા નથી. શા માટે અધિકારીઓની જવાબદારી નક્કી થતી નથી? શા માટે મોટા કૌભાંડોમાં ઉચ્ચ અધિકારીઓને સજા થતી નથી? સરકારની પારદર્શિતા પર મોટો સવાલ ઉભો થાય છે કે જ્યારે ACB અને વિજિલન્સના અહેવાલો જાહેર થાય છે ત્યારે તેના પર કાર્યવાહી કેમ મર્યાદિત રહે છે? શું આ જાહેરાતો માત્ર રાજકીય લાભ માટે છે?

02

આ ભ્રષ્ટાચારની અસર સામાન્ય ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગ પર પડે છે. જમીનના હક્ક માટે વર્ષો સુધી દોડધામ કરવી પડે છે અને લાંચ વગર કામ થતું નથી. આનાથી વિકાસની વાતો ખોખલી લાગે છે. ગુજરાતને સાચા અર્થમાં ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે માત્ર જાહેરાતો નહીં પરંતુ કડક કાર્યવાહી, સ્વતંત્ર તપાસ અને વાસ્તવિક પારદર્શિતાની જરૂરી છે. સરકારે પોતાની જવાબદારી સ્વીકારીને આ વિભાગમાં મૂળભૂત સુધારા કરવા જોઈએ નહીં તો વિકાસનું મોડેલ માત્ર દેખાડો બની રહેશે અને સરકાર માટે મતદારોમાં વિશ્વસનીયતા ઘટશે.

error: Content is protected !!