
સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન અંગે સમાજને કડક સંદેશ આપ્યો છે. કોર્ટે વહુ દીકરીઓના અપમાન પર ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. એક કેસની સુનાવણી દરમિયાન, દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કહ્યું કે, પુરુષોને લગ્ન પછી અન્ય લોકોની પુત્રીઓ અને તેમના પરિવારોનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. સુનાવણી દરમિયાન, કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું, ‘જેની પાસેથી તમે પૈસા લો છો અને તેમને જ તમે ભિખારી કેવી રીતે કહી શકો?’ આ કડક વલણ સાથે, ન્યાયાધીશ B.V. નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આરોપી પતિ અને તેના પરિવારને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો અને તેમને જેલમાં મોકલવાનો નિર્ણય લીધો.

હકીકતમાં, આ સમગ્ર કેસ દહેજ મૃત્યુ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો હતો. આ કેસમાં આરોપી પક્ષ કોર્ટ પાસેથી કાનૂની રાહતની આશા રાખતો હતો. જો કે, સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે વારંવાર વરરાજાના પરિવારના ભૂતકાળના વર્તન પર ઊંડી નારાજગી વ્યક્ત કરી. ન્યાયાધીશો સ્પષ્ટપણે માનતા હતા કે, આવા ગંભીર મામલાઓમાં ઢીલાશ આપવાથી સમાજને ખોટો સંદેશ જાય છે. આ જ કારણ છે કે, કોર્ટે આરોપીઓ સામે કડક વલણ અપનાવ્યું. ન્યાયાધીશ નાગરત્નાએ આપણા સમાજની આ કઠોર વાસ્તવિકતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે પ્રશ્ન કર્યો, ‘છેવટે છોકરાઓ છોકરીઓ સાથે લગ્ન જ કેમ કરે છે, કે જ્યારે તેમને પાછળથી તે છોકરી અને તેના આખા પરિવારનું અપમાન જ કરવાનું હોય છે?’
આ દરમિયાન, જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે, તેમના ક્લાયન્ટ પર ભારતીય દંડ સંહિતાની કલમ 498A (દહેજ ઉત્પીડન) હેઠળ જ આરોપ મૂકવામાં આવ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટે તેને સંપૂર્ણપણે ફગાવી દીધો. ન્યાયાધીશ નાગરત્નાએ વકીલની દલીલની આકરી ટીકા કરતા કહ્યું કે, તમારે તો ખુશ થવું જોઈએ કે, તેમના પર ફક્ત કલમ 498A હેઠળ જ આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં ફક્ત 3 વર્ષની જ સજાની જોગવાઈ છે.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે લગ્ન પછી સાસરિયાઓમાં છોકરીઓના આર્થિક શોષણ પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી. આ દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ વરરાજાના પરિવારની ટીકા કરતા કહ્યું કે, આજકાલ, લગ્ન પછી, સાસરિયાઓ કન્યા અને તેના માતાપિતાનું સંપૂર્ણ શોષણ કરવાનો એટલે કે, પૈસા પડાવવા માટેનો જ પ્રયાસ કરે છે.
એટલું જ નહીં, કોર્ટે છોકરીના માતાપિતા પાસેથી પૈસા માંગવાની અને પછી તેમને અપમાનિત કરવાની પ્રથાને ખૂબ જ શરમજનક ગણાવી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, સમાજે હવે સંદેશ આપવો જોઈએ કે કોઈ પણ પરિવાર કોઈની પણ દીકરીને ઘરે લાવી અને તેના માતાપિતાને માનસિક અને આર્થિક ત્રાસ આપી શકે નહીં. આરોપીની અરજીને ફગાવી દેતા, બેન્ચે દર્શાવ્યું કે, દેશનો કાયદો હવે વહુ અને દીકરીઓના સન્માનનું રક્ષણ કરવા માટે પુરી રીતે તૈયાર છે.