
થોડા દિવસ અગાઉ ગુજરાતભરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરની સ્થિતિને કારણે કોષ્ટલ હાઇવે પર આવેલા અંબિકા નદીના બ્રિજ પર મોટી તિરાડ પડી છે. બ્રિજના પિલર અને એપ્રોચમાં તિરાડ પડતા લોકોના જીવ તાડવે ચોંટ્યા છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, બ્રિજ પર તિરાડ પાડવાની વાત સામે આવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ચીખલી પ્રાંત.મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ R&B અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
Government Agencies

બ્રિજ પર તિરાડ મામલે R&B વિભાગનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જે તિરાડ પડી છે એ એપ્રોચ અને પિલર પર છે. લોકોએ ડરવાની જરૂર નથી. બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે. તિરાડને પણ રિપેર કરી દેવામાં આવશે.
કેબિનેટ મંત્રી નરેશ પટેલે પ્રાંત અધિકારી તેમજ R&B વિભાગને તાત્કાલિક ધોરણે બ્રિજને રિપેર કરવાની સૂચના આપી હતી. અંબિકા નદીના બ્રિજ પરથી કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોના લોકો રોજિંદી અવરજવર કરે છે. અંબિકા નદીનો બ્રિજ બીલીમોરા-નવસારીને જોડતા કોષ્ટલ હાઇવેનો મહત્વનો બ્રિજ છે.

આ ઉપરાંત થોડા દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું અને તિરાડો પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઉપરવાસમાં વરસેલા અવિરત વરસાદને કારણેનદી અત્યારે ભયજનક સપાટીએ વહી રહી હતી, તેવા સમયે જ બીલીમોરા અને અમલસાડને જોડતા આ મુખ્ય પુલ પર ગાબડું પડતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગની ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.