
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) 15 જુલાઈ, 2026 એટલે કે આજથી અમલમાં આવી ગયો છે. આ કરારનો સીધો ફાયદો સામાન્ય લોકોથી લઈને વ્યવસાયિક દરેકને થશે. બ્રિટનથી આયાત થતી ઘણી વસ્તુઓ પહેલા કરતાં સસ્તી થશે, જ્યારે ભારતીય કંપનીઓ માટે બ્રિટિશ બજારમાં વ્યવસાય કરવાનું પણ સરળ બનશે.
નવા વેપાર કરારના અમલીકરણ પછી સ્કોચ વ્હિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ, કોસ્મેટિક્સ અને કેટલીક બ્રિટિશ કાર પરની આયાત જકાત ધીમે ધીમે ઘટાડવામાં આવશે. આની અસર આગામી સમયમાં આ ઉત્પાદનોના ભાવ પર જોવા મળશે અમે ગ્રાહકોને પહેલાથી ઓછી કિંમત ચૂકવવી પડી શકે છે.

અત્યારે ભારતમાં સ્કોચ વ્હિસ્કી પર 150% સુધીની આયાત જકાત લાદે છે. નવા કરાર હેઠળ શરૂઆતમાં આ ઘટાડીને 75% કરવામાં આવશે અને આગામી 10 વર્ષમાં 40% કરવામાં આવશે. તેવી જ રીતે, બ્રિટિશ કાર પરની આયાત જકાત 110% જેટલી છે તે તબક્કાવાર ઘટાડીને 10% કરવામાં આવશે. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારને પણ આ વ્યવસ્થાનો ફાયદો થશે.
આ કરારથી ભારતીય નિકાસકારોને સૌથી વધુ ફાયદો થશે. ભારત હવે તેના લગભગ 99% ઉત્પાદનો બ્રિટનમાં કોઈપણ આયાત કર વિના નિકાસ કરી શકશે. આનાથી ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા વધશે અને નિકાસમાં વેગ આવશે તેવી અપેક્ષા છે. ટેક્સટાઇલ, તૈયાર વસ્ત્રો, ચામડું, ફૂટવેર, સીફૂડ, રમતગમતના સામાન, રમકડાં, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, ઓટો પાર્ટ્સ અને ઓર્ગેનિક રસાયણો જેવા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.

સરકારે આ કરારમાંથી અનેક કૃષિ ઉત્પાદનો, જેમ કે ડેરી ઉત્પાદનો, ખાંડ, ચોખા, સફરજન, ચીઝ, ચિકન, પોર્ક અને ઈંડાને બાકાત રાખ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને સસ્તા વિદેશી ઉત્પાદનો દ્વારા ઉભી થતી સ્પર્ધાથી બચાવવાનો છે.
આ કરાર બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. એવો અંદાજ છે કે 2040 સુધીમાં ભારત અને UK વચ્ચેનો કુલ વેપાર આશરે 39% વધી શકે છે. આનાથી બંને દેશો વચ્ચે વાર્ષિક અબજો પાઉન્ડનો વધારાનો વેપાર થશે અને ભારતની નિકાસ, રોકાણો અને રોજગાર માટે નવી તકો ઊભી થશે.