
લોર્ડ્સનું ઐતિહાસિક ગ્રાઉન્ડ 19 જુલાઈએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવાની છે. આ મેચ રોહિત શર્માની વન-ડે કારકિર્દીની અંતિમ મેચ સાબિત થઈ શકે છે. ગયા અઠવાડિયે પસંદગી સમિતિએ હેડ કોચ ગૌતમ ગંભીરની હાજરીમાં રોહિત શર્મા સાથે વાત કરી અને ભવિષ્ય માટે તેની સામે રોડમેપની રૂપરેખા રાખી હતી. સમિતિ હવે 2027ના 50 ઓવરના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ બનાવવા માંગે છે. આ વ્યૂહરચનાના ભાગ રૂપે, યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને પૂરતી તકો પૂરી પાડવાની યોજના છે, જે લાંબા સમયથી તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ માટેની યોજનાઓનો ભાગ નથી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિએ રોહિત શર્માને સ્પષ્ટપણે જાણ કરી છે કે તે આ શ્રેણી પછી તેનાથી આગળનો વિચાર કરી રહ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા બોર્ડના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, પસંદગીકારોએ રોહિત શર્માને સ્પષ્ટપણે કહી દીધું છે કે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી તેમની યોજનાઓનો ભાગ નથી અને ટીમ આ શ્રેણી પછી આગળ વધવા જઇ રહી છે. જોકે રોહિત સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા પછી રમવાનું ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ પસંદગીકારોએઆ અંગેનો અંતિમ નિર્ણય તેના પોતાના હાથમાં છોડી દીધો છે કે તે પોતાના ભવિષ્યની જાહેરાત કેવી રીતે કરવા માંગે છે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્માએ આ મામલે ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન જ BCCIના ટોચના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તે નિર્ણયથી ખુશ નથી.

રોહિત શર્મા પહેલાથી જ રમતના બે ફોર્મેટને અલવિદા કહી ચૂક્યો છે. 29 જૂન, 2024ના રોજ ભારતને T20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યાના થોડા કલાકો પછી તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ, 7 મે, 2025ના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. રોહિતે ટેસ્ટ ક્રિકેટથી દૂર થયા ત્યારથી, પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે ભારતીય ક્રિકેટના ભવિષ્યને આકાર આપવા અને યુવા પ્રતિભાને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કઠિન નિર્ણયનું એક કારણ એ પણ હતું કે યશસ્વી જયસ્વાલ જેવા ઉત્તમ ફોર્મમાં રહેલા ખેલાડીઓ સતત સદી ફટકારવા છતા બેન્ચ પર બેસવા મજબૂર હતા. ભવિષ્યની આ તૈયારીના ભાગ રૂપે પસંદગી સમિતિએ ગયા વર્ષે રોહિત પાસેથી કેપ્ટન્સી લઇને શુભમન ગિલને ODI કેપ્ટનશીપ સોંપી દીધી હતી.
રોહિત શર્માની ODI કેપ્ટન તરીકેની સફર ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક રહી છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ ટૂર્નામેન્ટની શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરીને રોહિત શર્માના તેના આક્રમક અભિગમે ODI ક્રિકેટમાં ભારતની રમતની શૈલીને સંપૂર્ણપણે બદલી નાખી. આ જ નિર્ભય અને બોલ્ડ ટેમ્પ્લેટ 2024 T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતું, જ્યાં, તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તેના ટાઇટલના દુષ્કાળનો અંત લાવ્યો અને ટ્રોફી ઉપાડી.

રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ તેના પક્ષમાં રહ્યું નથી; તેણે ઇંગ્લેન્ડના આ પ્રવાસ દરમિયાન રન બનાવવા માટે સંઘર્ષ કર્યો છે. શ્રેણીની શરૂઆતની મેચોમાં તેણે અનુક્રમે 11 અને 26 રનની ટૂંકી ઇનિંગ્સ રમી. કાર્ડિફ ખાતેની બીજી વનડે દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું હતું કે રોહિત તેના જૂના રંગમાં નથી અને તેને બોલને મધ્યમાં લેવામાં માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. હવે બધાની નજર 19 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાનારી મેચ પર છે. એ જોવું રસપ્રદ રહેશે કે શું હિટમેન’ તરીકે ઓળખતા આ અનુભવી બેટ્સમેન લોર્ડ્સની ઐતિહાસિક પીચ પર યાદગાર ઇનિંગ રમીને પોતાની શાનદાર વનડે કારકિર્દીને અલવિદા કહેશે કે નહીં.