fbpx

ગુજરાત હાઈકોર્ટે બે આરોપીઓને સ્વ ખર્ચે 1700 વૃક્ષો વાવવાની શરતે આપ્યા જામીન, જાણો શું છે આખો મામલો

Spread the love

ગુજરાત હાઈકોર્ટે બે આરોપીઓને સ્વ ખર્ચે 1700 વૃક્ષો વાવવાની શરતે આપ્યા જામીન, જાણો શું છે આખો મામલો

ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને મહત્ત્વપૂર્ણ અને અનોખો આદેશ કર્યો છે. ભાવનગરના પાલિતાણા વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષ કાપવાના કેસમાં આરોપી 2 વનકર્મીઓને જામીન આપતા હાઈકોર્ટે તેમના પર એવી શરત મૂકી છે કે, બંનેએ પોતાના ખર્ચે કુલ 1700 વૃક્ષો વાવવાના રહેશે અને 3 વર્ષ સુધી તેની જાળવણી પણ કરવી પડશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળ રાજસ્થળી બીટમાં ગેરકાયદેસર રીતે 1690 જેટલાં મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. જેલમાં બંધ બે ફોરેસ્ટ ગાર્ડ્સની નિયમિત જામીન અરજી મંજૂર કરતા હાઈકોર્ટે બંને આરોપીઓને જેલમાંથી મુક્ત થયાના 15 દિવસમાં પોતાના ખર્ચે વ્યક્તિદીઠ 850-850 વૃક્ષો વાવવા અને સતત 3 વર્ષ સુધી તેનું જતન કરવાની કડક શરત મૂકી છે.

શું છે સમગ્ર મામલો ?

etvbharat.comના અહેવાલ મુજબ, ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જના રાજસ્થલી બીટ સાથે સંકળાયેલો આ મામલો છે. આ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ અને વન્યજીવો માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. મે મહિનામાં અહીં મોટા પાયે ગેરકાયદે વૃક્ષ કાપવાની ઘટના સામે આવી હતી. 9 મેના રોજ વન વિભાગે ગેરકાયદેસર કાપવામાં આવેલું લાકડું લઈ જતી ટ્રક પકડી હતી. શરૂઆતમાં આ એક સામાન્ય લાકડાની હેરાફેરીનો મામલો હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તપાસ આગળ વધતા છેલ્લા 3-4 અઠવાડિયાથી મોટા પાયે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં આશરે 1,690થી વધુ પરિપક્વ વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વૃક્ષોમાં બાવળ, ગૂગળ, લીમડો અને બોરડી સહિતની સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ થતો હતો. કેટલાક વૃક્ષો દાયકાઓ જૂના હોવાનું પણ સામે આવ્યું હતું. કાપવામાં આવેલા વૃક્ષોના થડનો ઘેરાવો આશરે 100-200 સેન્ટિમીટર સુધીનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

આ વિસ્તારનું પર્યાવરણીય મહત્ત્વ પણ ખાસ છે. આશરે 563 હેક્ટરમાં ફેલાયેલો આ વિસ્તાર સિંહ, દીપડા, ચિંકારા, ચિતલ, નીલગાય સહિતના વન્યજીવો માટે મહત્ત્વપૂર્ણ રહેઠાણ અને વાઇલ્ડલાઇફ કોરિડોર તરીકે કામ કરે છે. આવી જગ્યાએ મોટા પાયે વૃક્ષો કાપવામાં આવતા વન્યજીવોના રહેઠાણ અને સમગ્ર ઇકોસિસ્ટમ પર અસર થવાની ચિંતા ઊભી થઈ હતી. આ કેસમાં ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભી સહિત અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

gujarat-hc1

વન વિભાગના કર્મચારીઓ પર આરોપ એવો હતો કે તેમની ફરજના વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષ કાપવાની પ્રવૃત્તિ ચાલતી હોવા છતા તેઓ તેને રોકવામાં નિષ્ફળ રહ્યા અથવા આંખ આડા કાન કર્યા. બંને વનકર્મીઓની ધરપકડ બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ દરમિયાન અરજદાર તરફથી એડવોકેટ રિષભ રાડિયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જામીનની સુનાવણી દરમિયાન અરજદારો તરફથી પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ માટે વૃક્ષારોપણ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને જો વન વિભાગ મંજૂરી આપે તો તેઓ પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કરવા માટે વૃક્ષો વાવવા તૈયાર હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરી દેવાઈ છે, મુદ્દામાલ પણ કબજે થઈ ચૂક્યો છે. કેસ મેજિસ્ટ્રેટ ટ્રાયેબલ હોવાથી અને બંને આરોપીઓ સસ્પેન્ડ હોવાથી હવે પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા નથી, જેથી જામીન મળવા જોઈએ. જ્યારે સરકારી વકીલે જામીન અરજીનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે જેમના માથે જંગલના રક્ષણની જવાબદારી હતી તેમણે જ ભક્ષકની ભૂમિકા ભજવી વૃક્ષોનો સોથ વાળી દીધો છે. આવા આરોપીઓને મુક્ત કરવાથી ખોટો સંદેશ જશે.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 25 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર નીચે મુજબની આકરી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ₹25,000ના અંગત બોન્ડ પર જેલમાંથી મુક્ત થયાના 15 દિવસની અંદર રાજસ્થળી બીટ અથવા નિયત વિસ્તારમાં વ્યક્તિદીઠ 850 વૃક્ષો (કુલ 1700 વૃક્ષો) પોતાના ખર્ચે વાવવાના રહેશે. વાવેલાં તમામ વૃક્ષોની 3 વર્ષ સુધી પોતાના અંગત ખર્ચે યોગ્ય જાળવણી કરવાની રહેશે. આ કામગીરીનું સીધું નિરીક્ષણ પાલિતાણા RFO અને DCF-ભાવનગર કરશે અને તેનો પ્રગતિ અહેવાલ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરશે. આગામી 6 મહિના સુધી દર મહિને એક વાર સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમક્ષ નિયમિત હાજરી પુરાવવી પડશે.

gujarat-hc2

અરજદારના વકીલ રિષભ રાડિયા એ જણાવ્યું હતું કે કોર્ટે કેસની ગંભીરતા તેમજ ટ્રાયલમાં લાગનારા સંભવિત સમયગાળાને ધ્યાનમાં લીધો હતો. કોર્ટના અવલોકન મુજબ કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાયેબલ હોવાથી ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગી શકે છે. આ સંજોગોમાં હાઈકોર્ટે બંને અરજદારોને જામીન આપ્યા, પરંતુ પર્યાવરણલક્ષી કડક શરત સાથે હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો કે બંને અરજદારોએ 850-850 એટલે કે કુલ 1,700 વૃક્ષો વાવવાના રહેશે. આ વૃક્ષો ફોરેસ્ટરી પ્રજાતિના હોવા જોઈએ અને પાલિતાણા ટેરિટોરિયલ રેન્જ દ્વારા નક્કી અથવા નિર્ધારિત કરવામાં આવેલા રાજસ્થલી બીટના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં જ વાવવાના રહેશે. વાસ્તવિક મુક્તિના 15 દિવસની અંદર વૃક્ષારોપણની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.માત્ર વૃક્ષો વાવી દેવાથી શરત પૂર્ણ માનવામાં આવશે નહીં. હાઈકોર્ટે બંને આરોપીઓને ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે આ વૃક્ષોની જાળવણી કરવાની પણ ફરજ પાડી છે.

આ સમગ્ર કેસમાં અગાઉ કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થઈ હતી. અહેવાલ મુજબ ગેરકાયદે વૃક્ષ કાપવાના મામલામાં કોન્ટ્રાક્ટર પાસેથી આશરે રૂ.3.6 લાખની રકમ રિકવર થયા બાદ તેને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બીજી તરફ વનકર્મીઓ સામે તેમની ફરજમાં બેદરકારી અને ગેરકાયદે પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ રહેવાના આક્ષેપોને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કેસનો સૌથી મહત્ત્વપૂર્ણ પાસુ એ છે કે, હાઈકોર્ટે જામીનની શરતને સીધી રીતે પર્યાવરણના પુનઃસ્થાપન સાથે જોડી છે. જે વિસ્તારમાં આશરે 1,690 વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આરોપ છે, ત્યાં હવે આરોપી વનકર્મીઓએ પોતાના ખર્ચે 1,700 વૃક્ષો વાવવાના રહેશે. એટલે કે કોર્ટનો અભિગમ માત્ર આરોપીઓને જામીન આપવાનો નહીં પરંતુ પર્યાવરણને થયેલા નુકસાનની સામે વળતરરૂપે પુનઃવનીકરણ કરાવવાનો પણ છે.

Leave a Reply

error: Content is protected !!