fbpx

IIT બાબાની વાર્તામાં પિતાએ કર્યા નવા ખુલાસા, ઘર છોડવાનું કારણ પણ જણાવ્યું

Spread the love

પ્રયાગરાજના મહાકુંભમાં ‘IIT બાબા’ તરીકે પ્રખ્યાત અભય સિંહ વિશે તેમના પિતાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભયના પિતા કરણ સિંહ ગ્રેવાલે જણાવ્યું હતું કે, તેમના અને તેમની પત્ની વચ્ચેના ઝઘડાઓએ તેમના પુત્રને દુનિયા છોડી દેવાની ફરજ પાડી હતી. ઝજ્જર બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેવાલે તેમના પુત્રને સીધો અને પ્રામાણિક ગણાવ્યો અને કહ્યું કે, આધ્યાત્મિકતા અપનાવવા અને સાંસારિક જીવનનો ત્યાગ કરવાનું તેનું કારણ સાચું હતું.

70 વર્ષીય ગ્રેવાલે એક અખબારના સ્થાનિક સૂત્રને જણાવ્યું કે, અભય બાળપણમાં ઘરેલુ હિંસાથી ખૂબ જ પરેશાન હતો. તેમણે આવા ઘરો અને પરિસ્થિતિઓમાં બાળકોની સામે આવતી આવી સમસ્યાઓનો સામનો કરવા માટે કાયદાઓની જરૂરિયાત પર એક પેપર પણ લખ્યું. ગ્રેવાલે તેમના પુત્રને ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ ગણાવ્યો, જે અવાજમાં થોડો પણ ફેરફાર થતો તો તેને તે અનુભવી શકતો હતો. તેણે કહ્યું કે, કદાચ એટલે જ તે હંમેશા મને કડક પિતા માનતો હતો. દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે મતભેદો સામાન્ય હોય છે, તે સ્વીકારતા તેમણે કહ્યું કે, અભયે આ ઝઘડાઓને પોતાના મનમાં જ રાખ્યા હતા. યુગલોએ આમાંથી શીખવું જોઈએ અને તેમના બાળકોના સારા હેતુ માટે તેમની વચ્ચેના આ વિવાદો ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ તેમના દીકરાને ઘરે પાછા આવવા માટે વિનંતી કરશે, ત્યારે તેમણે કહ્યું કે, તે મારો એકમાત્ર દીકરો છે. આવા નિર્ણયથી કોઈ પણ માતા-પિતા ખુશ નહીં થાય. હવે, હું ફક્ત એટલી જ પ્રાર્થના કરી શકું છું કે, તે જ્યાં પણ હોય ત્યાં ખુશ અને સ્વસ્થ રહે. તેમણે આગળ કહ્યું કે, મેં મારા જીવનમાં જે કંઈ કમાયું છે અને ભેગું કર્યું છે, તે બધું તેનું જ છે. મારી આશા અભયે પોતે એક ઇન્ટરવ્યુમાં જે કહ્યું તેના પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, જો તેને આ રસ્તો યોગ્ય નહીં લાગે, તો તેઓ તેને પણ છોડી દેશે.

અભયની માતા શીલા દેવી, જે એક વકીલ પણ છે, તેમણે ગ્રેવાલની લાગણીઓનો પડઘો પાડ્યો. તેમણે કહ્યું કે, દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો ઘરગૃહસ્થી બનાવીને સ્થાયી થાય અને સ્થિર કૌટુંબિક જીવન જીવે. હું ફક્ત એ જ પ્રાર્થના કરી શકું છું કે, અભય જે કંઈ પણ કરવાનું નક્કી કરે, જ્યાં પણ જવાનું નક્કી કરે, તેને ખુશી મળે. અહીં તમને જણાવી દઈએ કે, અભયનો જન્મ 3 માર્ચ 1990ના રોજ ઝજ્જરના સસરોલી ગામમાં થયો હતો. તેની એક મોટી બહેન છે, જેની સાથે તેનો ગાઢ સંબંધ છે. લગ્ન પછી, તે કેનેડા ગઈ અને હવે અમેરિકામાં રહે છે. ગ્રેવાલે કહ્યું કે, અભયે 12મા ધોરણ સુધી ઝજ્જરમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી, તેણે IIT-દિલ્હીમાં પ્રવેશ માટે તૈયારી શરૂ કરી. 2008માં, તેણે પહેલા જ પ્રયાસમાં IIT-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે તે 18 વર્ષનો હતો. 2024માં BTec પૂર્ણ કર્યા પછી, અભયે તે જ સંસ્થામાંથી MTec કર્યું.

error: Content is protected !!