
ગુજરાતના રાજકોટમાં બ્લોકઓરા કંપનીની ક્રિપ્ટોકરન્સીની સ્કીમમાં લગભગ 8000 લોકોના 300 કરોડ રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. એકના 3 ગણા કરી આપવાની આ યોજનામાં 12 રોકાણકારોએ રાજકોટના પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને એક અરજી આપી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 12 લોકોના લગભગ 70 લાખ રૂપિયા લાલચમાં આવીને રોક્યા હતા. કંપનીએ દરરોજ 1 ટકો વ્યાજ આપવાની વાત કરી હતી, પરંતુ સંચાલકો હવે જવાબ આપતા નથી. બ્લોકઓરા એ TABC કોઇન લોંચ કર્યા હતા.
રોકાણકારોએ કહ્યું કે, કંપનીના સંચાલકોએ લિંબડીમાં સામાજિક સંમેલનમાં 7 લાખ રૂપિયા ખર્ચીને લોકોને મફતમાં જમાડ્યા હતા અને સમાજ માટે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એટલે લોકોને વિશ્વાસ આવી ગયો હતો. પરંતુ સમાજને હજુ 25 લાખ પણ આપ્યા નથી.
