fbpx

‘ગૌમૂત્રથી બીમારીઓ મટી જાય છે’ IIT મદ્રાસના ડિરેક્ટરના નિવેદનથી રાજકીય ભૂકંપ

Spread the love

ગૌમૂત્રના ઔષધીય ગુણધર્મો પર લાંબા સમયથી વાદ વિવાદ ચાલ્યો આવે છે. એક વર્ગ તેના વપરાશની ટીકા કરે છે. જ્યારે અન્ય લોકો કહે છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે. ફરી એકવાર આના પર રાજકારણ શરૂ થયું છે. આ વખતે IIT મદ્રાસના ડિરેક્ટર V કામકોટીનું નિવેદન રાજકારણનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા નેતાઓ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, DMK નેતા TKS એલંગોવને તેમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ‘તેમને આ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી બીજે ક્યાંક મોકલવા જોઈએ. જો તેમને IIT મદ્રાસમાંથી સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તે શું કરશે? આખરે તેઓ IITમાં શું કરી રહ્યા છે? તેમને એઈમ્સના ડિરેક્ટર બનાવવા જોઈએ. સરકારે તેમને તાત્કાલિક IITમાંથી હટાવવા જોઈએ.’

કોંગ્રેસના નેતા કાર્તિ P. ચિદમ્બરમે કહ્યું, ‘IIT મદ્રાસના ડિરેક્ટર દ્વારા સ્યુડોસાયન્સનો પ્રચાર કરવો એ અત્યંત અયોગ્ય છે.’ થંથાઈ પેરિયાર દ્રવિડર કઝગમના નેતા. રામકૃષ્ણને કહ્યું, ‘કામકોટીએ પોતાના દાવા માટે પુરાવા આપવા જોઈએ અથવા માફી માંગવી જોઈએ.’ તેમણે કહ્યું, ‘જો તેઓ માફી નહીં માંગે તો અમે તેમની સામે વિરોધ પ્રદર્શન કરીશું.’

આ મુદ્દા પર, BJPના તમિલનાડુ એકમના વડા K અન્નામલાઈએ ગૌમૂત્ર સંબંધિત પ્રોફેસરના વિચારોનું રાજકારણ કરવાના પ્રયાસોની નિંદા કરી. તેમણે કહ્યું કે, ‘ટોચના IIT પ્રોફેસરની ટિપ્પણીઓ તેમના વ્યક્તિગત વલણને પ્રતિબિંબિત કરે છે. તેમણે ન તો વર્ગમાં આ વિશે પ્રવચન આપ્યું કે ન તો બીજાઓને ગૌમૂત્ર પીવાનું કહ્યું. તેઓ ઓર્ગેનિક ખેતી અને સ્થાનિક જાતિઓના સંરક્ષણ વિશે વાત કરી રહ્યા હતા, જે આજના સમયમાં જરૂરી છે.’

વીડિયોમાં, કામકોટી ગૌમૂત્રના એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને પાચન ગુણધર્મોનું સમર્થન કરતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં, તેઓ કહેતા જોવા મળે છે કે, જ્યારે (અપ્પા)ને ખૂબ તાવ આવ્યો અને તેઓ ડૉક્ટરને બોલાવવાનું વિચારી રહ્યા હતા, ત્યારે એક સંન્યાસી આવ્યો. તેણે કહ્યું ‘ગોમુત્રન પિનામી’. આ પછી તેણે તરત જ ગૌમૂત્ર પીધું અને 15 મિનિટમાં તાવ ઓછો થઈ ગયો. ગૌમૂત્ર પેટની બળતરા માટે એક સારી દવા છે અને તે બેક્ટેરિયા વિરોધી અને ફૂગ વિરોધી છે.’

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેનો ઉપયોગ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવા રોગો માટે થાય છે. કામકોટી સાથે સંકળાયેલા લોકોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, તેમણે ગૌશાળા કાર્યક્રમમાં પોતાના અંગત વિચારો વ્યક્ત કર્યા. તેઓ પોતે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત છે. તેમની ટિપ્પણીઓ વ્યાપક સંદર્ભમાં હતી. આ ઉપરાંત, કામકોટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. આમાં તેઓ સંગીતનાં વાદ્યો વગાડતા પણ જોવા મળે છે.

અહીં તમને જણાવી દઈએ કે, પ્રોફેસર કામકોટીએ 17 જાન્યુઆરી 2022ના રોજ IIT-મદ્રાસના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજી વિકાસના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને DRDO એકેડેમી એક્સેલન્સ એવોર્ડ (2013) સહિત વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

error: Content is protected !!