
મુંબઈના રહેવાસી શિવચરણ રામ રતન ગુપ્તા, તેમના સમયના જાણીતા કાપડ વેપારી હતા. તેઓ સારી કમાણી કરતા હતા. તેમનો પરિવાર, પત્ની અને 3 દીકરીઓ હતી. દુનિયાભરના પિતાઓની જેમ, શિવચરણ પણ ઘણા સપના જોતા હતા. તેમણે તેમની દીકરીઓને સારું શિક્ષણ અપાવ્યું, સારી ટ્રેનિંગ અપાવી. તેમની દીકરીઓ પણ સફળ બની. તેમણે સારા પરિવારોમાં લગ્ન કરાવ્યા અને પિતાનું ઘર છોડીને પોતપોતાના સાસરિયાંમાં સેટ થઇ ગયા.
જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું હતું. આ દંપતી વૃદ્ધ થયું અને હરિયાણાના સોનીપતમાં એક વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યું. મંગળવાર, 4 જુલાઈના રોજ, શિવચરણએ અંતિમ શ્વાસ લીધા. તેમની દીકરીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ સોનીપત આવવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ ટેકનોલોજીનો લાભ લીધો અને વીડિયો કોલ દ્વારા તેમના પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શિવચરણ રામ રતન ગુપ્તા લગભગ દોઢ વર્ષથી સોનીપતમાં સમાજ કલ્યાણ શિક્ષા સમિતિના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. તેઓ તેમની પત્ની મીના સાથે રહેવા ગયા હતા, જેનું આ પહેલા જ અવસાન થઈ ચૂક્યું હતું. વૃદ્ધાશ્રમના સંચાલક આનંદ કુમારે જણાવ્યું હતું કે, તેમના મૃત્યુના લગભગ 20 દિવસ પહેલા, પુત્રીઓને તેમના પિતાની તબિયત બગડતી હોવાની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ તેમને મળવા આવ્યા ન હતા. આનંદે કહ્યું, ‘શિવચરણ પાસે એક ફોન હતો જેના પર તેઓ તેમની પુત્રીઓ સાથે વાત કરતા હતા. બીમાર પડ્યા પછી, તેમના ફોન આવતા બંધ થઈ ગયા. અમે તેમને તેમની સ્થિતિ વિશે જાણ કરી, છતાં પણ તેઓ આવી શક્યા નહીં.’
શિવચરણના મૃત્યુ પછી, મેનેજમેન્ટે ફરીથી તેમની પુત્રીઓનો સંપર્ક કર્યો અને કહ્યું કે, જો તેઓ સોનીપત આવે તો તેમના પિતાના અંતિમ સંસ્કાર કરી શકાય છે. જોકે, તેઓએ કહ્યું કે તેમની પાસે મુસાફરી કરવાનો સમય નથી.
નેપાળમાં રહેતી અનિતાએ ઓનલાઈન 5,100 રૂપિયા મોકલ્યા અને વિનંતી કરી કે તેમના પિતાના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવે. અનિતા એક શિક્ષિકા છે. અગ્નિસંસ્કાર પછી, પુત્રીઓએ વૃદ્ધાશ્રમના મેનેજમેન્ટને અંતિમ સંસ્કારનો વીડિયો મોકલવા કહ્યું. તેમાંથી એકને ફોન પર કહેતા સાંભળવામાં આવ્યા, ‘આમાં કેટલો સમય લાગશે? અમારે ખાવું પણ છે અને નહાવું પણ છે.’

શિવચરણને તેની પુત્રીઓની સફળતા પર ખૂબ ગર્વ હતો. તેની બે પુત્રીઓ શિક્ષિકા બની. તેની મોટી પુત્રી, અનિતા, નેપાળમાં રહે છે, નિશા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે, અને તેની સૌથી નાની, પ્રિયા, મુંબઈમાં રહે છે. ત્રણેય પરિણીત છે અને તેમના પોતાના પરિવારો છે.
શરૂઆતમાં, પરિવારે તેમના પિતાની અસ્થિ સાચવવાની વિનંતી કરી હતી. ત્યાર પછી, તેઓએ વૃદ્ધાશ્રમને કહ્યું કે, તેમની પાસે સોનીપત સુધી આવવાનો સમય નથી. તેઓએ વિનંતી કરી કે અસ્થિ ગંગામાં વિસર્જન કરવામાં આવે. શિવચરણ રામ રતન ગુપ્તાની ઇચ્છા તેમના મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવાની હતી. તેમની ઇચ્છાને માન આપવામાં આવ્યું, અને તેમની આંખોનું દાન કરવામાં આવ્યું.