

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને 3 મહિલા અરજીકર્તાઓના મકાનોને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, ઘર ધ્વસ્ત કરવાની આ મનસ્વી પ્રક્રિયા નાગરિક અધિકારોનું અસંવેદનશીલ રીતે હનન પણ છે. કોર્ટે કહ્યું કે, તેનાથી આપણી અંતરાત્મા હચમચી જાય છે અને રાઈટ ટૂ શેલ્ટર નામની પણ કોઇ વસ્તું હોય છે, જેનું પાલન થયું નથી. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને 5 પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે પ્રકારે તોડફોડ કરવામાં આવી, એ અમાનવીય અને ગેરકાયદેસર કાર્યવાહીના કારણે વળતર લગાવવામાં આવી રહ્યું છે. તોડફોડની કાર્યવાહી પૂરી રીતે ગેરકાયદેસર હતી અને આશ્રયના અધિકારનું ઉલ્લંઘન છે. આ પ્રકારે તોડફોડ કરવી પ્રયાગરાજ વિકાસ ઓથોરિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. આ જ કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં 24 માર્ચે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક તરફ દબાણ વિરોધી અભિયાન દરમિયાન ઝૂંપડીઓ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ 8 વર્ષની છોકરી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી. આ તસવીરે સૌને હેરાન કરી દીધા હતા, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. જ્યાં ગેર-કાયદેસર તોડફોડ કરવામાં આવી રહી છે અને તેમાં સામેલ લોકો પાસે નિર્માણ કરાવવાની પણ ક્ષમતા નથી.

અરજીકર્તાઓએ કહ્યું કે, એક્શન પહેલા તેમને કોઈ નોટિસ મળી નથી. અહીં સુધી કે નોટિસ મોકલ્યાના 24 કલાકની અંદર જ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું. અરજીકર્તાઓના જણાવ્યા અનુસાર, પહેલા વર્ષ 2021માં 1 માર્ચે નોટિસ આપવામાં આવી હતી અને તેમને 6 માર્ચે નોટિસ મળી હતી. ત્યારબાદ બીજા જ દિવસે 7 માર્ચે મકાનો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એડવોકેટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહમદ અને અન્ય લોકોની અરજી પર કોર્ટે સુનાવણી કરી, જેમના મકાન ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે, પ્રશાસન અને શાસનના આ લોકોને લાગ્યું કે આ સંપત્તિ ગેંગસ્ટર અને રાજકીય પાર્ટીના નેતા અતિક અહમદની છે.

આ બધા લોકોએ અલ્લાહબાદ હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પરંતુ હાઈકોર્ટે મકાન તોડવાની કાર્યવાહીને પડકાર આપતી તેમની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટથી અરજી ફગાવાયા બાદ અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેન્કટરમણીએ રાજ્ય સરકારની કાર્યવાહીનો બચાવ કરતા નોટિસ આપવામાં ઉચિત પ્રક્રિયાનું પાલન કરવાનો ભરોસો અપાવ્યો. તેમણે મોટા પાયે થયેલા ગેરકાયદેસર કબજાઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, રાજ્ય સરકાર માટે અનધિકૃત કબજો છોડાવવો અને તેને રોકવાનું મુશ્કેલ કામ છે.