

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોમવારે (12 મે)ના રોજ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. 36 વર્ષીય વિરાટ કોહલીએ આ ફોર્મેટને અલવિદા કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે વિરાટ કોહલી ફિટ હતો, ફોર્મમાં હતો અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો, પરંતુ બધી અટકળો વચ્ચે, તેણે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

એક સપોર્ટ ચેનલના મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર, આ એકદમ આશ્ચર્યજનક પગલું છે અને તે સ્પષ્ટપણે દેખાય જાય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ ઘણું બધું બની ગયું છે. કારણ કે પહેલા રોહિત શર્માની નિવૃત્તિ, હવે વિરાટ કોહલીની નિવૃત્તિ આપણને 2011-12ની યાદ અપાવે છે, જ્યાં સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યા પછી, ઘણા મોટા ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી હતી.
મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ સ્પષ્ટપણે કમ્યુનિકેશનનો અભાવ જણાય છે. કારણ કે વિરાટ કોહલીની માનસિકતા અને તેની તૈયારી પરથી સ્પષ્ટ હતું કે તે ઇંગ્લેન્ડ માટે તૈયાર છે, પરંતુ અચાનક એવું શું થયું કે વિરાટ કોહલીએ નિવૃત્તિ લઈ લીધી. ટેસ્ટ ક્રિકેટને સર્વોચ્ચ માનનાર વિરાટ કોહલી ફિટનેસની બાબતમાં સૌથી આગળ છે અને તેણે 10,000 રન બનાવવાનું પોતાનું સ્વપ્ન પણ છોડી દીધું છે. રોહિત શર્મા પણ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર હતો તેણે એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ સીરિઝને લઈને તૈયાર છે પણ તેને પણ અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું.

મીડિયા સૂત્રએ કહ્યું, ‘મોટા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને એક ચેલેન્જના રૂપમાં માને છે. ઓસ્ટ્રેલિયામાં તેની શરૂઆત સારી હતી પરંતુ ત્યાર પછી શંકાઓ ઉભી થવા લાગી. એવું કહી શકાય કે, છેલ્લા પાંચ વર્ષમાં વિરાટ કોહલીની ટેસ્ટમાં સરેરાશ ઘટી રહી છે. વિરાટ ઈંગ્લેન્ડ જવા માટે લાલ બોલથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો, છતાં તેણે નિવૃત્તિ લીધી. તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે વિરાટ ઈંગ્લેન્ડ જવા માંગતો ન હતો.’

અહીં તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને IPL પછી તરત જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાનું છે, આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની હતી. છેલ્લા એક અઠવાડિયાથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે, વિરાટ કોહલીએ BCCIને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના પોતાના ઇરાદા વિશે જણાવ્યું છે, જેના પર એવા અહેવાલો આવ્યા છે કે બોર્ડ તેમને પોતાના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક અહેવાલો એવા પણ આવી રહ્યા હતા કે વિરાટ કોહલી ફરીથી ટેસ્ટમાં કેપ્ટન બનવા માંગે છે, પરંતુ BCCI આ માટે તૈયાર નહોતું. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી, તે માત્ર અટકળો જ રહી.

હાલમાં વિશ્વ ક્રિકેટના ફેબ-4માં સામેલ વિરાટ કોહલીએ લગભગ 7 વર્ષ સુધી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પણ કર્યું છે અને તે ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો છે. આવી સ્થિતિમાં, ટેસ્ટ ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા અને ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર રહેલા ખેલાડીનો અચાનક નિવૃત્તિ લેવાનો આ નિર્ણય ઘણા પ્રશ્નો ઉભા કરે જ છે.