fbpx

BJP કોર્પોરેટરની પોસ્ટ- ‘240 સીટમાં એટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો…’

Spread the love
BJP કોર્પોરેટરની પોસ્ટ- ‘240 સીટમાં એટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો...’

પહેલગામ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાનમાં બેઠા આતંકી આકાઓના ઠેકાણા નષ્ટ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા ઠેકાણે પાડી દીધા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બંને દેશો આક્રમક મૂડમાં આવી ગયા હતા. ભારતે આતંકીઓને માર્યા ચ્હે કોઈ સિવિલિયન પર હુમલો ન કર્યો હોવાનું જણાવ્યુ હતું, જ્યારે પાકિસ્તાને ભારતના સામાન્ય નાગરિકોને ટારગેટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની દરેક નાપાક હરકત નિષ્ફળ ગઈ. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની હતી, છતાં પાકિસ્તાને તોછડી હરકત તો કરી જ હતી, અને કચ્છ, જખૌ, રાજસ્થાન, શ્રીનગર સહિત ઘણી જગ્યાએ ડ્રોન નજરે પડ્યા હતા. જો કે, ત્યારબાદ આ પ્રકારની ઘટના અટકી, પરંતુ અહેવાલો તો એવા મળી રહ્યા છે કે સીમા પાસે પાકિસ્તાન હજી પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ દરમિયાન હવે આ મામલે ધીરે ધીરે જોક્સ બનવા લાગ્યા છે.

ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિને લઈને રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટે વિવાદ સર્જ્યો છે. રાજકોટ બીજેપી નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ કરી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ ગ્રૂપમાં આ પોસ્ટ મુકાતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે કોઇએ આ મામલે જવાબ પણ આપ્યો નહોતો.

આ દરમિયાન RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં આ પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટ વોર્ડ નંબર-10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ મૂકી હતી. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો પણ સામેલ છે. આ પોસ્ટ થકી કોર્પોરેટર ચેતન સુરેજા શું કહેવા માગે છે તે તો તેઓ જ કહી શકે

BJP

આ પોસ્ટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ મૂકી છે કે કેમ તે અંગેની ખરાઈ કરવા માટે તેમનો સંપર્ક કરવામાં આવતા સુરેજાએ કહ્યું હતું કે, ‘અમથી જ મસ્તીમાં આ પોસ્ટ મૂકવામાં આવી છે, મારો કોઈ બીજા ઈરાદો નહોતો અને આ પોસ્ટ મારી નથી. મને બેંગ્લોરથી કનુકાકાએ મોકલાવી હતી જેને મેં માત્ર ફોરવર્ડ કરી છે તેમાં કેટલાક શબ્દો મેં પોતે લખ્યા છે બાકી આ પોસ્ટ મને અન્ય જગ્યાએથી આવી હતી.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટે સવાલો ઉભા કર્યા છે. સેનાના શૌર્ય અને પરાક્રમને ભાજપના નગરસેવક ચેતન સુરેજાએ સાંસદની સીટ સાથે સરખાવી છે. પોતાના રાજકીય હિત માટે સેના અને જવાનના પરાક્રમને પણ રાજકીય લાભાલાભ સાથે સરખાવી દીધો છે. ગઈકાલથી ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ અને સીઝફાયર બાદ ટ્રોલ આર્મી પણ મેદાને છે.

BJP

10 મેના રોજ સીઝફાયર કરાયું તે સંદર્ભે પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જેવી સ્થિતિ છે. બીજી બાજુ ભારતની ત્રણેય વિંગના પ્રમુખોએ એ પ્રેસ કોન્ફરન્સ કરીને દરેક બાબતે સ્પષ્ટતા પણ કરી દીધી છે. જોકે કેટલાક નાગરિકો મજાક ઉડાવતી પોસ્ટ અલગ-અલગ માધ્યમોથી મૂકી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં ભારત વિરોધી પોસ્ટ મૂકનારા સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે અને આવા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

error: Content is protected !!