

સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે શહેર નર્કાગાર બની ગયું છે. વર્ષોથી સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને ઠેર ઠેર ખાડા ખોદી નાંખવાને કારણે, ઠેર ઠેર બેરીકેડ મુકી દેવાને કારણે શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. સુરતમાં તાજેતરમાં 2 દિવસ મૂશળધાર વરસાદ પડ્યો, પરંતુ અનેક વિસ્તારોમાં ખાડી પૂરના પાણીને ઉતરતા 5 દિવસ લાગ્યા.
આ બાબતે સુરત મહાનગર પાલિકાના મેયર, કમિશ્નર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને મેટ્રોના અધિકારીઓને બોલાવીને તતડાવ્યા હતા અને કહ્યુ હતું કે, ડ્રેનેજ લાઇન તોડી નાંખવાને કારણે, ઠેર ઠેર ખાડાને કારણે ખાડીપૂરના પાણી ઉતર્યા નથી. 4 દિવસમાં રોડ સરખા કરવા પાલિકાએ મેટ્રોના અધિકારીઓને તાકીદ કરી છે. મેયર દક્ષેશ માવાણી કહ્યુ કે, હવે પત્ર-વ્યવહાર કરતા નહીં, નહીં તો CMO-PMOમાં ફરીયાદ કરીશું.કમિશ્નર શાલીની અગ્રવાલે કહ્યુ હતું કે હવે શહેરની દશા બગાડી છે તો પ્રજામાં તમારો નંબર જાહેર કરી દઇશું.