fbpx

દેશમાં 15થી 29 વર્ષના યુવાનોમાં અકસ્માત પછી મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ આત્મહત્યા

Spread the love
દેશમાં 15થી 29 વર્ષના યુવાનોમાં અકસ્માત પછી મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ આત્મહત્યા

વિશ્વભરમાં 10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ તરીકે યોજવામાં આવે છે. 15થી 29 વર્ષના યુવાનોમાં મૃત્યુનું અકસ્માત પછીનું બીજું સૌથી વધારે જવાબદાર કોઈ કારણ હોય તો તે આત્મહત્યા છે. આત્મહત્યા સંપૂર્ણપણે બંધ થઈ જાય એવી શક્યતાઓ નથી પરંતુ જો યોગ્ય પ્રયાસો કરવામાં આવે, થોડીક તકેદારીઓ રાખવામાં આવે, લોકોમાં જાગૃતિ ઊભી કરવામાં આવે, તો ચોક્કસપણે આપણે સાથે મળીને આત્મહત્યાના બનાવો ઘટાડી શકીએ. વિશ્વભરની અંદર થયેલા આ પ્રકારના અભ્યાસો અને તેના આધારે તૈયાર કરવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ બાબત સાબિત થઈ છે.

આ બાબતોને ધ્યાનમાં રાખી ભારતભરમાં સૌપ્રથમ વખત 1998માં સુરત ખાતેથી આત્મહત્યા નિવારણ માટેની ટેલીફોનિક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી. જેના સ્થાપક તરીકે આટલા વર્ષોના અનુભવ પછી હવે એવી ચોક્કસ ખાતરી થઈ છે કે જો લોકોમાં આ વિશેની યોગ્ય જાણકારી પહોંચાડીએ તો આત્મહત્યાના બનાવોને અટકાવી શકીએ છીએ.

સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવેલી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના પરિણામો પણ આ બાબત જ દર્શાવી રહ્યા છે. 21 દિવસમાં અંદાજે 69 લોકોને પોલીસ સાથે મળી આત્મહત્યા કરતા અટકાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. સુરત શહેર પોલીસે કરેલા અભ્યાસ અને માહિતી એકત્રિકરણ દ્વારા એ જાણવા મળ્યું કે સુરતમાં 2024ની સાલમાં કુલ 1866 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ડિપ્રેશનના કારણે 228 ,પ્રેમ સંબંધમાં 104 ,આર્થિક કારણોસર 355, બીમારીથી કંટાળીને 452, પારિવારિક કારણોસર 490, અભ્યાસ કારકિર્દી પરીક્ષાની નિષ્ફળતાના કારણથી 200 અને બ્લેકમેલિંગ કે ગુનાનો ભોગ બનવાથી 37 લોકોએ આત્મહત્યા કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહેલોતના માર્ગદર્શનમાં પોલીસ ટીમે એકત્ર કરેલા આંકડાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે પારિવારિક સમસ્યાના કારણે આત્મહત્યા કરનાર 26.30% બીમારીના કારણે 24.26% જ્યારે બ્લેકમેલિંગ વગેરેના કારણોસર માત્ર 2% લોકોએ આત્મહત્યા કરી હતી.

surat

2022ના એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં 9002 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 6,571 જેટલા યુવાનો છે. યુવાનોમાં આત્મહત્યાનું વધી રહેલું પ્રમાણ અત્યંત ચિંતાજનક છે. આ જ આંકડાઓમાં જોઈએ તો 18થી 45 વર્ષની વયની વચ્ચેના 4611 પુરુષો અને 1960 સ્ત્રીઓએ ગુજરાતમાં આત્મહત્યા કરી હતી. ગુજરાત ભારત અને વિશ્વભરના આંકડાઓ જોતા આશ્ચર્યજનક રીતે એ બાબત જોવા મળે છે કે સ્ત્રીઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ અને ઘણું વધારે છે. ગુજરાતમાં આ પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરુષોમાં 2.28 ગણું વધારે છે. 18 વર્ષની ઓછી ઉંમરના લોકોમાં સગીરાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

આત્મહત્યા માટે જુદા જુદા માર્ગો લોકો અપનામી રહ્યા છે જેમાં જંતુ મારવાની દવા પી જવી, ઝેર પી જેવુ અને ગળે ફાંસો ખાઈ જવો આ રીત સૌથી વધારે આત્મહત્યા કરવા માટે અપનાવવામાં આવી છે. જ્યારે ઇલેક્ટ્રીક વાયરને અડકીને અને ફાયરિંગ કરીને સૌથી ઓછી આત્મહત્યાઓ થઈ રહી છે.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2047માં વિકસિત ભારત બનાવવાનો સપનો જોઈ રહ્યા છે ત્યારે યુવાનોમાં ડિપ્રેશન અને આત્મહત્યાના વધતા બનાવો અને માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું વધતું પ્રમાણ એ ચિંતાનો વિષય છે. આ સંદર્ભે જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નેશનલ ટાસ્ક્ફોર્સની રચના કરવામાં આવી છે અને દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓ, આઇઆઇએમ, આઇઆઇટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વગેરેને એક સર્વે ફોર્મ મોકલવામાં આવ્યું છે, જે દરેક કોલેજમાંથી અને યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વાલીઓ અને માનસિક સ્વાસ્થ્ય સેવા આપનાર વ્યક્તિઓ દ્વારા ભરાવવાનું કહેવામાં આવ્યું છે.

આપણે આશા રાખીએ કે આ સર્વેક્ષણ પછી આત્મહત્યાના ખરેખર આ બનાવોની માહિતી તથા શાળા, કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વિશેની માહિતી તથા પ્રાધ્યાપકો, વાલીઓ વગેરેમાં પણ માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વિશેનો સાચો ડેટા આપણને પ્રાપ્ત થશે.  ત્યારબાદ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં યુ.જી.સી દ્વારા દરેક કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય વધે તેવા માર્ગદર્શન કેન્દ્રની સ્થાપના થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સલાહ અને માર્ગદર્શન સમિતિના એક સભ્ય તરીકે કાર્ય કરવાનું થયું તે દરમિયાન આવનારા 30 વર્ષના રોડમેપ તરીકે દરેક શાળાઓમાં સ્ટુડન્ટ્સ વેલનેસ સેન્ટર (SWC) સ્થાપવા માટેની ભલામણ અમારી સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. 

અહીં આત્મહત્યા નિવારણ માટેના માર્ગો વિશે જો આપણે વિચારીએ તો તેને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવેએ જ એકમાત્ર માર્ગ છે. આત્મહત્યા કરનાર વ્યક્તિના વર્તનના લક્ષણોને ઓળખી, તેને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન અપાવવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બાબતોને અટકાવી શકીએ. આ માટે વિશ્વભરમાં અનેક પ્રકારના તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતમાં મનોવૈજ્ઞાનિકો, શિક્ષણવિદોએ સાથે મળીને દોઢ કલાકનો યોલો (YOLO) કાર્યક્રમ તૈયાર કર્યો છે અને સુરત સહિત રાજ્યભરની મેડિકલ કોલેજોથી શરૂ કરી અને કોલેજોમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સમક્ષ આપ્યો છે. કોટા અને ઓરિસ્સાના ભુવનેશ્વર જેવા શહેરોમાં જઈને પણ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. જેના ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થયા છે આશા રાખીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવનારા દિવસોમાં યુવાનોમાં અને લોકોમાં વધતી આત્મહત્યાઓ અટકાવવા માટે આવા અનેક કાર્યક્રમોને પ્રોત્સાહિત કરે અને યોગ્ય પગલા લેશે

પ્રા . ડૉ.રૂદ્રેશ એમ વ્યાસ અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ એમ ટી બી આર્ટસ કોલેજ સુરત (આત્મહત્યા અટકાવવા માટેની સૌપ્રથમ ટેલીફોનિક હેલ્પલાઇન 1998માં શરૂ કરનાર)  NEP 2020ની સલાહ અને માર્ગદર્શન સમિતિના સભ્ય એનસીઆરટીસીઈઆરટી તથા મધ્યપ્રદેશ સરકારની ઉચ્ચ શિક્ષણ સમિતિના સદસ્ય જીવન હસતા હેલ્પલાઇન સુરત અને ગાંધીનગર ના સ્થાપક સભ્ય તથા સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇનના સ્થાપક સભ્ય.

error: Content is protected !!