
એક માણસ બેભાન હાલતમાં પલંગ પર પડેલો છે, તેના હાથ-પગ બાંધેલા છે, અને તેની સામે ખાવાની થાળી મૂકવામાં આવી છે. આ દ્રશ્ય જેલનું નથી, પરંતુ એક સરકારી હોસ્પિટલનું છે. અને ફક્ત કોઈ સામાન્ય હોસ્પિટલનું નથી, પરંતુ અયોધ્યાની જિલ્લા હોસ્પિટલનો છે. આ અમાનવીય કૃત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. ત્યારે પછી જ હોસ્પિટલનું વહીવટીતંત્ર હરકતમાં આવે છે, અને દર્દીને તાત્કાલિક ઉતાવળમાં મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવે છે. પરંતુ કમનસીબે, તેને બચાવી શકાયો ન હતો. કદાચ, જો તેને હોસ્પિટલમાં યોગ્ય સમયે અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હોત, તો તેનો જીવ બચાવી શકાયો હોત.
આ ઘટના માત્ર અયોધ્યા માટે જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશની સમગ્ર આરોગ્ય વ્યવસ્થા માટે શરમજનક છે. આ તેવા સરકારી તંત્ર પર પણ પ્રશ્નો ઉભા કરે છે, જ્યાં એક દર્દી સાથે માનવીય વ્યવહાર સુધ્ધાં સરખી રીતે કરવામાં આવતો નથી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હાથ પગ બાંધીને દર્દીને એવા વોર્ડમાં રાખવામાં આવ્યો હતો જે કાર્યરત જ ન હતો, એટલે કે તે પહેલાથી જ બંધ હાલતમાં હતો. હોસ્પિટલ વહીવટીતંત્ર દાવો કરે છે કે, તેને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, વીડિયો તેની સાથે કેવી રીતે સારવાર કરવામાં આવી તેનો ખ્યાલ આપે છે. જોકે, તે ખુબ સંવેદનશીલ હોવાને કારણે, આ વીડિયો અહીં શેર કરવામાં આવી રહ્યો નથી.

હોસ્પિટલ વહીવટીતંત્રે આ બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો છે, એમ કહીને કે દર્દીની માનસિક હાલત ઠીક ન હતી. તેને ‘આલ્કોહોલિક સાયકો’ તરીકે ગણાવવામાં આવ્યો હતો, એટલે કે વધુ પડતા દારૂ પીવાને કારણે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, જિલ્લા હોસ્પિટલના CMS રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ દર્દીને ગેટ પર છોડી ગયો હતો. તેની માનસિક સ્થિતિ અસ્થિર લાગતી હતી; તે પોતાના કપડાં ફાડી રહ્યો હતો અને આમ તેમ ભટકતો હતો. તેને 5 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 8 નવેમ્બરના રોજ સવારે 8:20 વાગ્યે દર્શન નગર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો.’
જોકે, મેડિકલ કોલેજ અને દર્દીના સંબંધીઓના નિવેદનો હોસ્પિટલે કરેલા નિવેદનની વિરુદ્ધ છે. દર્શન નગર મેડિકલ કોલેજના ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ડૉ. વિનોદ કુમાર આર્ય, જ્યાં દર્દીને પાછળથી રિફર કરવામાં આવ્યો હતો, તેમણે કહ્યું, ‘દર્દીને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. તેની સારવાર કરવામાં આવી હતી. તે પાગલ નહોતો. તેના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેને ડાયાબિટીસ હતો. 8 નવેમ્બરના રોજ સવારે 9:35 વાગ્યે તેમને જિલ્લા હોસ્પિટલમાંથી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી, તેમના પરિવારજનો તેમને લખનઉ લઈ ગયા. તેઓ લાંબા સમયથી દારૂ પણ પીતા હતા.’

દર્દીના ભત્રીજા રાહુલનો દાવો છે કે, તેમના કાકા પાગલ નહોતા, તેમને ડાયાબિટીસ હતો. તેમણે કહ્યું કે, લખનઉ જતા રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. દર્દીના ભત્રીજાનું કહેવું છે કે, તેઓ મૃત્યુ પહેલાં બધું બોલી રહ્યા હતા અને સમજી રહ્યા હતા.
હવે જ્યારે, આ ઘટનાને લઈને રાજકીય પક્ષોએ રાજ્યની આરોગ્યસંભાળ વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ દર્દીના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું અને યોગી સરકાર પર નિશાન સાધ્યું. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ શોષણના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, કારણ કે અહીંના CM યોગી આદિત્યનાથ છે. પાર્ટીએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ દરમિયાન, UP કોંગ્રેસના પ્રમુખ અજય રાયે કહ્યું કે, આ અમાનવીય કૃત્ય BJP સરકારના ગંભીર પાપોનો પુરાવો છે. BJP સરકાર ફક્ત શોષણ અને જુલમનું પ્રતીક બની ગઈ છે.
