fbpx

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ…

Spread the love

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ મોટા નિર્ણય લીધા છે. હર્ષ સંઘવી અમેરિકાપ પ્રવાસ રદ કર્યો છે, જ્યારે પાટીલ અને પાનસેરિયા પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે. ચાલો આગળ જાણીએ અન્ય મોટા નેતાઓ કે અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે કયો નિર્ણય લીધો છે.

આ મહિનાના અંતિમ સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.

acharya-devvrat4

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચત થાય તે માટે તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ઓછી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે.

રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ હવે પાઇલોટિંગ સેવાઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કરેલી અપીલ બાદ તેમણે આ પગલું ભર્યું છે.

આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે.  પાટીલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેટ્રોલના ભાવમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની સુરક્ષા માટે ફાળવવામાં આવતી ‘પાયલોટિંગ કાર’નો ઉપયોગ કરશે નહીં. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પાયલોટિંગ વાહનની સુવિધા મળતી હોય છે, પરંતુ વધતા ભાવ અને ઈંધણના વપરાશને ઘટાડવાના ઉમદા હેતુથી તેમણે આ સુવિધાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે.  

modi

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમનો કોઈ નિર્ણય નથી કારણકે હાલમાં ટિચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે.યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા ચાલી રહી છે જેના કારણે નોન ટીચીંગ સ્ટાફને વર્ક ફ્રોમ હોમ ન આપી શકાય.પરીક્ષા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતં કે, ‘પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું.’

ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રૂડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના-નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈલેક્ટ્રિક બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.’

Leave a Reply

error: Content is protected !!