
નેપાળના વડાપ્રધાનત્રી બાલેન શાહે પદ સંભાળ્યાને માત્ર બે મહિના થયા છે, છતા તેમની સરકાર અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. 27 માર્ચે શપથ લીધા પછી, બાલેને 100 મુદ્દાનો સુધારાનો એજન્ડા શરૂ કર્યો હતો. જો કે, પ્રધાનમંત્રી કાર્યાલયની સત્તાવાર ટ્રેકર વેબસાઇટ હાલમાં આમાંથી 88 વચનોને ઓવરડ્યૂ એટલે કે નિર્ધારિત સમયમર્યાદાથી બતાવવામાં રહી ગયા છે.
આ ઉપરાંત, સરકારની રચનાના માત્ર 30 દિવસની અંદર, બાલેનના બે મુખ્ય મંત્રીઓને પદ છોડવાની ફરજ પડી. શ્રમ મંત્રી દીપક શાહને તેમની પત્ની માટે અયોગ્ય રીતે નોકરી અપાવવાના આરોપો બાદ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તો, ગૃહમંત્રી સુદાન ગુરુંગને એક તપાસના દાયરામાં એક ઉદ્યોગપતિ સાથેના તેમના કથિત સંબંધો અંગેના આરોપો વચ્ચે રાજીનામું આપવાની ફરજ પડી હતી.
આનાથી Gen-Z યુવાનોમાં નારાજગી વધી રહી છે. યુવાનો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે જો આ જ લોકો ચૂંટાયા, તો આ નવી રાજનીતિમાં ખરેખર શું તફાવત છે? શું સરકારમાં સેવા આપવા માટે કોઈ સક્ષમ વ્યક્તિઓ નથી?
બાલેન વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા અનેક નિર્ણયો સામે પ્રદર્શનો થા છે, અને આ નિર્ણયોને કોર્ટમાં પણ પડકારવામાં આવ્યા છે. વિપક્ષ ઉપરાંત, હવે તેમના પોતાના રાજકીય પક્ષમાંથી પણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.
સંસદમાં વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો ન આપવા પર બાલેનની પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતાઓમાં આશિકા તમાંગ અને અમરેશ કુમાર સિંહે પણ જાહેરમાં સવાલ ઉઠાવ્યા છે. અમરેશ સિંહે કહ્યું કે નેપાળનું લોકશાહી પાકિસ્તાન મોડેલ જેવું બનતું જઇ રહ્યું છે, જ્યાં સરકાર સંસદ પ્રત્યે જવાબદાર નથી રહેતી.
વડાપ્રધાન બન્યા પછી, બેલેને મંત્રાલયોની સંખ્યા ઘટાડવી, ખોટ કરતા બોર્ડ અને સમિતિઓનું વિલિનીકરણ કરવું અને સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રાખવા જેવા મોટા વચનો આપ્યા હતા. આ ઉપરાંત, તેમના કાર્યસૂચિમાં ગૌરી બહાદુર કાર્કી કમિશનની ભલામણોને અમલમાં મૂકવા, અટકેલા વિકાસ પ્રોજેક્ટ્સને પુનર્જીવિત કરવા, રોકાણ અને ઔદ્યોગિક સેવાઓનું ડિજિટાઇઝેશન કરવા અને ઊર્જા નિકાસ માટે લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવાની વાત પણ કહેવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બાલેન શાહના વહીવટીતંત્રએ પૂરતી તૈયારી વિના, 24 કલાક, 7 દિવસ અથવા 15 દિવસ જેવી અત્યંત ટૂંકી સમયમર્યાદા નક્કી કરી હતી.

કોઈપણ લોકશાહી પ્રણાલીમાં, વહીવટી સુધારા અને નવા કમિશનની સ્થાપના માટે સામાન્ય રીતે સ્થાપિત કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, જેને બેલેન વહીવટીતંત્રે ઉતાવળમાં નજરઅંદાજ કર્યા. આ કારણે, તેમના ઘણા મોટા પ્રચાર વચનો તેમના કાર્યકાળના પહેલા મહિનામાં જ અધૂરા રહ્યા.
બાલેન વહીવટીતંત્રે ભૂતપૂર્વ વડાપ્રધાન સુશીલા કાર્કીના વચગાળાના કાર્યકાળ દરમિયાન રચાયેલા કાર્કી કમિશનના અહેવાલને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો. આ અહેવાલમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આરોપોની તપાસ બાદ સુધારા માટેની ભલામણો હતી. આ પહેલ Gen-Z ચળવળ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી હતી. જો કે, સ્પષ્ટ કાનૂની આધાર વિના અહેવાલને અમલમાં મૂકવા બદલ વહીવટીતંત્રને ટીકાનો સામનો કરવો પડ્યો.
આ દરમિયાન, ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ અંગે પણ વિવાદો ઉભા થયા. આરોપો સામે આવ્યા કે તેમની ધરપકડ પહેલાં યોગ્ય પ્રક્રિયાગત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી નહોતી. આ કાર્યવાહીનો કાનૂની અને રાજકીય બંને સ્તરે વિરોધ થયો. નેપાળી કોંગ્રેસના નેતા દીપક ખડકા, જેમને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, તેમને પુરાવાના અભાવે આખરે મુક્ત કરવા પડ્યા.
બાલેન સરકાર પાસે સંસદના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી છે, પરંતુ ઉપલા ગૃહ, રાષ્ટ્રીય સભામાં એક પણ સભ્ય નથી. નેપાળના કાયદાકીય માળખામાં, ઉપલા ગૃહ કાયદાઓના અમલીકરણ અને સુધારામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એવામાં, બાલેન સરકારે આઠ વટહુકમો રજૂ કર્યા. આમાં સિવિલ સર્વિસ ટ્રેડ યુનિયનો અને યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠનોને વિસર્જન કરવાના પ્રસ્તાવોનો સમાવેશ થતો હતો. કર્મચારી અને વિદ્યાર્થી જૂથોના વિરોધ વચ્ચે, નેપાળની સુપ્રીમ કોર્ટે આ વટહુકમો પર સ્ટે ઓર્ડર જાહેર કર્યો.

સોશિયલ મીડિયા પોસ્ટમાં બાલેને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે શાળાઓ અને સરકારી કચેરીઓમાં રાજકીય પક્ષના ધ્વજ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન થશે નહીં; તેના બદલે, તે તેમની વ્યાવસાયિક સ્વાયત્તતાને મજબૂત બનાવવામાં મદદ કરશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર અને અમલદારશાહીમાં વિદ્યાર્થી અને કર્મચારી સંગઠનો અસરકારક રીતે રાજકીય પક્ષો માટે સ્લીપર સેલ બની ચૂક્યા છે. તેમના મતે, ટ્રાન્સફર અને પ્રમોશન રાજકીય જોડાણના આધારે નહીં, પરંતુ સખત રીતે યોગ્યતા અને કામગીરીના આધારે નક્કી કરવા જોઈએ.
બાલેન સરકારની સૌથી વધુ ટીકા અતિક્રમણ દૂર કરવા માટે ચાલી રહેલા અભિયાન અંગે થઇ રહી છે. બેઘર અને ભૂમિહીન લોકોએ નેપાળના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફક્ત કાઠમંડુ ખીણમાં જ આશરે 4,000 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આનાથી ઓછામાં ઓછા 15,000 લોકો પ્રભાવિત થયા છે.
નેપાળ સરકારે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીના નિયમો કડક રીતે લાગૂ કર્યા છે. આ પગલા બાદ, ભારત-નેપાળ સરહદ પર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. નિયમો અનુસાર, જો ભારતમાંથી લાવવામાં આવતી ચીજવસ્તુઓની કિંમત 100 નેપાળી રૂપિયા (આશરે 63 ભારતીય રૂપિયા) થી વધુ હોય તો ફરજિયાત કસ્ટમ ડ્યૂટી ચૂકવવી આવશ્યક છે. માલની શ્રેણીના આધારે, કર 5% થી 80% સુધીનો છે. દાયકાઓથી, નેપાળમાં લોકો ભારતીય સરહદ પર આવેલા શહેરોમાંથી કરિયાણા, દવાઓ, કપડાં, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ અને લગ્નનો સામાન ખરીદી રહ્યા છે. નેપાળી નવા વર્ષ પછી આ નિયમોનો કડક અમલ શરૂ થયો. પરિણામે, સરહદ પર રહેતા રહેવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અને લોકોમાં રોષ વધી રહ્યો છે.

બાલેન શાહના એ વચનો જે પૂર્ણ થયા છે
મફત આરોગ્યસંભાળ સેવા: દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરીબ, નિરાધાર અને લાવારિસ દર્દીઓ માટે 10% બેડ સંપૂર્ણપણે મફત આપવાનું વચવ અમલમાં મૂકવામાં આવ્યો છે.
જાહેર વહીવટ સેવાઓ
ભ્રષ્ટાચારની મોટી તપાસ: ભૂતપૂર્વ વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ સહિત દેશના તમામ ટોચના રાજકીય અને વહીવટી ઉચ્ચ વર્ગના લોકોની સંપત્તિની ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે.
સરકારી સંસ્થાઓનું બિનરાજકીયકરણ: સરકારી શાળાઓ અને અમલદારશાહીમાં રાજકીય પક્ષના ધ્વજ, યુનિયનો અને રાજકીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બે મહિનામાં એક પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી
તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન, બાલેને પારદર્શિતા અને જવાબદારીનું વચન આપ્યું હતું. જો કે, વડાપ્રધાન બન્યા પછી તેમનું મૌન સવાલોના ઘેરામાં છે. પદના શપથ લીધા પછી, તેમણે ન તો રાષ્ટ્રને સંબોધન કર્યું છે કે ન તો કોઇ પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
તેઓ સરકારની નીતિઓ અને કાર્યક્રમો પર રાષ્ટ્રપતિના ભાષણની વચ્ચે જ નીકળી ગયા. ત્યારબાદ, તેઓ પૂર્વ સૂચના વિના સંસદમાં ગેરહાજર રહ્યા. વિપક્ષે સતત સંસદમાં હોબાળો મચાવ્યો, અને માંગ કરી કે વડાપ્રધાન ગૃહમાં હાજર થઈને જવાબ આપે.
નેપાળ સરકારે ભારતીય યાત્રાળુઓને લિપુલેખ માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા ન કરવાની અપીલ કરી છે. રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, નેપાળના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1816ની સુગૌલી સંધિ અનુસાર, લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પ્રદેશો નેપાળનો અભિન્ન ભાગ છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે તેણે લિપુલેખ માર્ગે પ્રસ્તાવિત કૈલાશ માનસરોવર યાત્રા અંગેના પોતાના વાંધા અને ચિંતાથી રાજદ્વારી રીતે ભારત અને ચીન બંનેને આવગત કરાવી દીધા છે.