
તમિલનાડુના CM વિજયે કેન્દ્ર સરકારની નવી યોજના, વિકાસ ભારત-ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) એક્ટ (VB-G RAM G) હેઠળ ભંડોળ વહેંચણી પેટર્નની ટીકા કરી છે. PM નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, CM વિજયે દાવો કર્યો છે કે, 1 જુલાઈ, 2026થી અમલમાં આવનારી આ નવી યોજનાને કારણે તમિલનાડુ સરકાર પર રૂ. 5,000 કરોડથી વધુનો વધારાનો નાણાકીય બોજ આવશે. તેમણે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર તેના ભંડોળ માળખામાં સુધારો કરે.
CM વિજયે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી અમલમાં રહેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)થી અચાનક VB-G RAM G તરફ ફેરવવું રાજ્યો માટે વ્યવહારુ નથી. નવો કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે 60:40 ખર્ચ ગુણોત્તર નક્કી કરે છે. CM વિજયે ચેતવણી આપી હતી કે, આ અચાનક નાણાકીય બોજ રાજ્યમાં ગ્રામીણ રોજગારના દિવસોમાં ઘટાડો કરશે અથવા અન્ય મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ પર અસર કરશે.

CM વિજયે માંગ કરી હતી કે, કેન્દ્ર સરકાર વેતન અને વહીવટી ખર્ચ માટે 100 ટકા ભંડોળ પૂરું પાડવાનું ચાલુ રાખે, જ્યારે ભૌતિક ખર્ચ 75:25ના ગુણોત્તરમાં વહેંચવો જોઈએ.
CM વિજયે યોજનાના અમલીકરણમાં રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવાની ભલામણ કરી.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોનું વર્ગીકરણ અને ભંડોળ ફાળવવાની કેન્દ્રિય પદ્ધતિ ‘માઈક્રો મેનેજમેન્ટ’નું એક સ્વરૂપ છે.
એક જ પ્રકારનું રાષ્ટ્રીય સ્તરનું સૂત્ર પ્રાદેશિક સામાજિક-આર્થિક ભિન્નતાને ધ્યાનમાં લેતું નથી, જે પાયાના સ્તરે અસંતુલન ઉભું કરી શકે છે. તેમણે માંગ કરી હતી કે, રાજ્યોને સ્થાનિક જરૂરિયાતોના આધારે ભંડોળ વિતરણની પોતાની પદ્ધતિ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવે.

નવા કાયદા હેઠળ, રાજ્યોને વાર્ષિક 60-દિવસનો એવો સમયગાળો જાહેર કરવાની જરૂર પડશે જ્યારે મુખ્ય વાવણી અને લણણીની ઋતુ દરમિયાન કામ સંપૂર્ણપણે બંધ થઈ જશે. CM વિજયે દલીલ કરી હતી કે, અલ નીનો જેવા આબોહવા પરિવર્તનને કારણે કૃષિ ચક્ર બદલાઈ જાય છે. તેથી, પહેલાથી આ સમયગાળો નક્કી કરવાને બદલે, જિલ્લા કલેક્ટરોને સ્થાનિક પરિસ્થિતિઓના આધારે આ 60 દિવસો જાહેર કરવાની સત્તા આપવી જોઈએ.
CM વિજયે કેન્દ્ર સરકારને ‘દરેક માટે ઘર’ ધ્યેયની સિદ્ધિને ઝડપી બનાવવા માટે, રાજ્ય-નિધિકૃત આવાસ યોજનાઓને કાયદા હેઠળ સમાવવા વિનંતી કરી. આ સાથે તેમણે આ યોજનામાંથી રાષ્ટ્રપિતાનું નામ દૂર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો, કહ્યું કે આમાં મહાત્મા ગાંધીનું નામ જળવાઈ રહેવું જોઈએ, જેથી કરીને તેમનું સમ્માન સચવાઈ રહે, અને લોકોનો ભરોસો કાયમ રહે.