5.jpg?w=1110&ssl=1)
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ગત 7 જુલાઈએ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનઃવસનની કામગીરીને વેગ આપવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ (રોકડ સહાય)ની ચૂકવણી પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને અત્યાર સુધીમાં કુલ 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કા અંતર્ગત 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી તંત્રની જુદી-જુદી ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. દરેક નાગરિકને સહાય મળે તે માટે સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપાઈ છે. જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર સર્વેથી વંચિત રહી ગયો હોય, તો નાગરિકો કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકશે. માહિતી મળતાં જ વહીવટી ટીમ તુરંત ત્યાં પહોંચીને સર્વેની કામગીરી પૂર્ણ કરશે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ સહાય દિવસ-રાત કામગીરી કરીને ચૂકવાઈ રહી છે.
City & Local Guides

સ્થાનિક રહેવાસીઓની સાથે સુરતના વેપારી વર્ગને થયેલા મોટા નુકસાન અંગે પણ સરકારે ગંભીરતા દાખવી છે. પૂરના કારણે જેમની દુકાનો કે વ્યાપારી એકમો ધોવાઈ ગયા છે, તેમના માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય કોમર્શિયલ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે શુક્રવાર સાંજ સુધી સતત ચાલુ રાખીને ડેટા અપડેટ કરવામાં આવી રહ્યો છે. કોમર્શિયલ સેક્ટરમાં થયેલા નુકસાનના આધારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે. વેપારીઓને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આ પોલિસીનો અમલ તાત્કાલિક થાય તે માટેની વહીવટી તૈયારીઓ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે.

વીમા પ્રક્રિયા સરળ બનાવવા માટે લેવાયેલા પગલાં:
- જે વેપારીઓ પાસે પોતાના સ્ટોક કે દુકાનનો ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે, તેમને કંપનીઓ તરફથી કોઈ હેરાનગતિ ન થાય અને ક્લેમની રકમ ઝડપથી પાસ થાય તે માટે સરકારે ખાસ નવતર પ્રયોગ કર્યો છે.
- આ સમગ્ર વીમા પ્રક્રિયાના સંકલન માટે સુરત RTO અને લીડ બેન્કરને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- વેપારીઓની વીમા અરજીઓના ઝડપી નિકાલ માટે વહીવટી તંત્ર સીધું કંપનીઓ સાથે સંપર્કમાં રહેશે.
- પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે એક વિશેષ ઓનલાઈન ડેશબોર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ક્લેમ પ્રોસેસનું મોનિટરિંગ કલેક્ટરની અધ્યક્ષતામાં દર 15 દિવસે યોજાનારી બેઠકોમાં કરવામાં આવશે.
પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ભગીરથ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ કાર્યમાં સુરતના સ્થાનિક સફાઈ કર્મચારીઓ ઉપરાંત પાડોશી શહેર વડોદરા મહાનગરપાલિકા અને આસપાસની મોટી ઇન્ડસ્ટ્રીઝ તરફથી 1,000થી વધુ વધારાના સ્વચ્છતા કામદારોની ટીમ સુરત આવી પહોંચી છે. હાલમાં કુલ 4,500 જેટલા સ્વચ્છતા દૂતો દિવસ-રાત એક કરીને શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક સોસાયટીઓના રસ્તાઓ સાફ કરી રહ્યા છે. આ ટીમો દ્વારા કચરાના નિકાલ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા એ સરકારની સર્વોચ્ચ અગ્રતા હોવાનું જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું હતં કે, મનપાની આરોગ્ય ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર હેલ્શ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની દરરોજ સાંજે 7 વાગ્યે કલેક્ટર અને મનપા કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે.
આ ઉપરાંત, શહેરમાં ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીને ઇન્ચાર્જ બનાવી વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. વીજ પુરવઠા અંગે DGVCL અને ટોરેન્ટ પાવર સાથે સમીક્ષા કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરી દેવાઈ છે, પરંતુ હજુ પણ જે 6 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, ત્યાં સુરક્ષાના ભાગરૂપે પાણીનો સંપૂર્ણ નિકાલ થયા બાદ જ વીજ પુરવઠો ચાલુ કરવાનો કડક આદેશ અપાયો છે.

સુરતના અનેક રહેણાંક કોમ્પ્લેક્સ અને કોમર્શિયલ સેન્ટરોના બેઝમેન્ટ કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા વધારાના 50થી વધુ હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ કામે લગાડવામાં આવ્યા છે. પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મનપા તમામ જગ્યાએથી પાણી બહાર કાઢવાની કામગીરી મફત કરી આપશે.
આ જળ નિકાલની પ્રક્રિયા પર દેખરેખ રાખવા અને પંપોની વ્યવસ્થા કરવા માટે GIDC, GPCC અને DICના ઉચ્ચ અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, જેઓ વિવિધ ઉદ્યોગો પાસેથી મોટા પંપ મેળવીને મનપાની ટીમોને પૂરા પાડી રહ્યા છે. વહીવટી તંત્રના આ સામૂહિક પ્રયાસોથી આગામી 24થી 48 કલાકમાં સુરતની સ્થિતિ સંપૂર્ણ પૂર્વવત થઈ જશે તેવો વિશ્વાસ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરાયો છે.