
ફર્સ્ટ-ક્લાસ ટ્રેનના ડબ્બાને ‘હનીમૂન ડબ્બા’ તરીકે શણગારવા અંગેનો વિવાદ હજુ માંડ શાંત થયો હતો કે ભારતીય રેલ્વેમાં ફરી એક વિવાદ શરૂ થયો. એક વીડિયો ઓનલાઈન ફરતો થઈ રહ્યો છે. વીડિયોમાં એક પૂજારી, કેટલાક લોકો બેઠેલા છે અને રુદ્રાભિષેકની સાથે પૂજા પાઠ થતો દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ બધું ટ્રેન ચાલતી વખતે થઈ રહ્યું છે. આ વીડિયો એક કોચનો છે, જ્યાં એક પૂજારી ટ્રેનના ફ્લોર પર બેસીને હવન કુંડ સાથે રુદ્રાભિષેક કરતો જોવા મળે છે. હવે આ વીડિયોએ સલામતી અને ભારતીય રેલ્વેના નિયમો પર પ્રશ્નો ઉભા કર્યા છે. વીડિયો સામે આવતાની સાથે જ ઇન્ટરનેટ યુઝર્સે રેલ્વેના નિયમો અને ન્યાયીપણા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.
વીડિયોને લઈને વધતા વિવાદ પછી, ઉત્તર રેલ્વેએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સંપૂર્ણ સત્ય જણાવ્યું હતું. રેલવેએ જણાવ્યું હતું કે, પૂજા સામાન્ય પેસેન્જર કોચ, જેમ કે જનરલ, સ્લીપર અથવા AC ડબ્બામાં નહીં, પરંતુ ખાનગી રીતે બુક કરાયેલા ‘સલૂન કોચ’માં યોજાઈ રહી છે.

ઉત્તર રેલવેએ X પર લખ્યું હતું કે, ‘આ સલૂન કોચ 8 જુલાઈના રોજ IRCTC દ્વારા બુક કરવામાં આવ્યો હતો. સંબંધિત પક્ષે કોમર્શિયલ બુકિંગ હેઠળ રૂ. 3,08,580ની એડવાન્સ ચુકવણી કરી હતી. આ કોચને 10 જુલાઈના રોજ ટ્રેન નંબર 12926 પશ્ચિમ એક્સપ્રેસ સાથે નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ (બાંદ્રા ટર્મિનસ) સુધીની એક તરફી મુસાફરી માટે જોડવાનો હતો.’
રેલવેએ જણાવ્યું હતું કે સલૂન કોચના કોમર્શિયલ સંચાલન માટે નિયમોના આધારે 10 જુલાઈના રોજ પરવાનગી આપવામાં આવી હતી. રેલવેએ સ્વીકાર્યું હતું કે, મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવી તેમની પ્રાથમિકતા છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ ઈજા કે અકસ્માતની સૂચના મળી નથી.

સલૂન કોચ નિયમિત કોચથી સંપૂર્ણપણે અલગ હોય છે અને ઘણીવાર તેને હરતા ફતાર ફાઇવ-સ્ટાર હોટેલના રૂમ જેવો માનવામાં આવે છે. પહેલાં, આનો ઉપયોગ મુખ્યત્વે વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ મુલાકાતો માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે તે સામાન્ય લોકો માટે પણ ભાડેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ સલૂન કોચમાં સામાન્ય રીતે બે બેડરૂમ, એક લિવિંગ એરિયા, એક ડાઇનિંગ સ્પેસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એટેચ્ડ બાથરૂમ હોય છે. આ ઉપરાંત તેમાં એક નાનું રસોડું પણ હોય છે, જ્યાં મુસાફરોની પસંદગી અનુસાર ખાવાનું તૈયાર કરી શકાય છે.

‘સોશલિસ્ટ સ્પિરિટ’ હેન્ડલ ધરાવતા એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં રેલવેની ટીકા કરી. યુઝરે લખ્યું, ‘ટ્રેનમાં અદા કરાયેલી નમાઝ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, અને કેબિનમાં હનીમૂનનો ડબ્બો સંસ્કૃતિની વિરુદ્ધનો હોય છે, જેના કારણે TTEને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ભારતીય રેલવેના VIP સલૂન કોચની અંદર ચાલતી ટ્રેનમાં રુદ્રાભિષેક અને પૂજા કરવામાં આવે છે ત્યારે બધા નિયમો અને કાયદાઓ અને સામાજિક વિરોધ ક્યાં અદૃશ્ય થઈ જાય છે?’ આ પોસ્ટે ઇન્ટરનેટ પર ચર્ચા ઉઠાવી છે.

રેલ્વે અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, કોઈપણ નાગરિક અથવા ખાનગી સંસ્થા IRCTCની ફુલ ટેરિફ રેટ (FTR) સેવા હેઠળ વ્યક્તિગત ઉપયોગ માટે આખો સલૂન કોચ ભાડે લઈ શકે છે, જેમાં રેલવેના નિયમોમાં તેમની શ્રદ્ધા અનુસાર ધાર્મિક વિધિઓ કરવા માટે કોઈ સ્પષ્ટ પ્રતિબંધ નથી. જો કે, કેટલીક કડક શરતો લાગુ પડે છે, જેમ કે ટ્રેનની મુસાફરીમાં કોઈ વિક્ષેપ ન પડે અને સલામતીના ધોરણો સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવી. આ એક અલગ કોચ હોવાથી, બહારના સહ-મુસાફરોને કોઈ અસુવિધા ન થવી જોઈએ. આ ઉપરાંત, આગના જોખમને કારણે, કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી, હવન સામગ્રી અથવા ખુલ્લી આગનો ઉપયોગ કરવો સખત પ્રતિબંધિત છે. તેની સાથે જ, કોઈપણ સંભવિત નુકસાન અથવા દંડને આવરી લેવા માટે બુકિંગ સમયે રિફંડપાત્ર સુરક્ષા ડિપોઝિટ અને નોંધણી ફી ફરજિયાત લેવામાં આવે છે.