
સુરતના જાણીતા ડાયમંડ કિંગ ધીરુ રામાણી (ઉં.વ 75) માલી દેશમાં રહસ્યમય રીતે ગુમ થઈ જતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે છે. પરિવારને આશંકા છે કે, કોઈ કટ્ટરપંથી સંગઠને તેમનું અપહરણ કર્યું છે. ધીરુ રામાણી સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ ગુમ થયા છે. જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયનનો સમાવેશ થાય છે. આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. અપહરણકર્તાઓ પણ ખૂબ જ શાતિર હોવાનું સામે આવ્યું છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માગી હતી, જેના પગલે તે કટ્ટરપંથીઓએ ધીરૂ રામાણી અને પરિવાર વચ્ચે વીડિયો કોલની વાત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારે જોયું કે ત્રણેય ભારતીયો જીવિત અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિયેશનની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જેથી વહેલી તકે નાણાંની લેવડદેવડ કરીને ત્રણેયને મુક્ત કરાવી શકાય.
ધીરૂ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે, થોડા વર્ષો પહેલા ધીરૂ રામાણીએ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ પ્રોજેક્ટનું ઓપરેશન અને કામકાજ જાતે સંભાળી રહ્યા હતા. આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેઓ ગુમ થઈ ગયા હતા. તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા તે વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી.

સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું છે કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી છે. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં છે. જો કે, સત્તાવાર તંત્ર દ્વારા હજુ આ મામલે તપાસ ચાલુ છે.
આ સમગ્ર મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી. ધીરૂભાઈ રામાણીનો પરિવાર હાલ અમેરિકામાં સ્થાયી થયેલો છે અને ત્યાંથી જ આ કટ્ટરપંથી સંગઠન સાથે સીધો સંપર્ક સાધીને કમ્યુનિકેશન કરી રહ્યો છે.
આ ઘટના બાદ સુરતના હીરા અને જ્વેલરી બજારમાં ભારે ફફડાડ વ્યાપી ગયો છે. ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓ વધારે ચિંતિત છે, જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીયોને સાવચેત રહેવાની ચેતવણી અપાઈ હતી. હવો તમામ વેપારીઓની નજર ધીરૂભાઈના સુરક્ષિત પાછા ફરવા પર ટકેલી છે.