
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (17 જુલાઈ) આરોપ લગાવ્યો કે, છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 152 પરીક્ષા પેપર લીક થયા છે, જેનાથી આશરે 7.5 કરોડ ઉમેદવારોને અસર થઇ છે, જ્યારે આવા કિસ્સાઓમાં કોઈને પણ સજા થયાનો દર ‘શૂન્ય’ રહ્યો છે.
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, દેહરાદૂનના બન્નુ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીક રેકેટે ‘આખી સિસ્ટમને પોતાના સકંજામાં લઇ લીધું છે’ અને લાખો ભારતીય યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે.

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, છેલ્લા 10 વર્ષમાં, લગભગ દર મહિને એક પરીક્ષા પેપર લીક થયું છે. છતાં, આ રેકેટ પાછળ રહેલા એક પણ લોકોને સજા કરવામાં આવી નથી.
પેપર લીકમાં સંડોવાયેલા કથિત માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતા તેમણે કહ્યું કે, આની અંદર આખી સિસ્ટમ સંડોવાયેલી છે, અને તેના માટે ઉપરથી નીચે સુધી કોણ જવાબદાર છે તે નક્કી કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે તેમને પૂરતું વળતર પણ મળવું જોઈએ.

લીક થયેલા પેપર અને સરકારી નોકરી માટેના કથિત દરોનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસના નેતાએ કહ્યું, ‘NEET પેપર રૂ. 40 લાખમાં, IIT-JEE પેપર રૂ. 15 લાખમાં, ઉત્તરાખંડ પટવારીની ભરતી પેપર રૂ. 15 લાખમાં, બિહારમાં રૂ. 10 લાખમાં નોકરી અને ઓડિશામાં સબ-ઇન્સ્પેક્ટર પેપર રૂ. 25 લાખમાં ખરીદી શકાય છે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, પરીક્ષાઓ યોજવી એ સરકારની જવાબદારી છે, ખાનગી કંપનીઓની નહીં. સંપૂર્ણપણે સુરક્ષિત અને વિદ્યાર્થી-કેન્દ્રિત પરીક્ષા પ્રણાલી સ્થાપિત થવી જોઈએ. તેમણે રેન્ડમાઇઝેશન લાગુ કરવા અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા વધારવાની હિમાયત કરી. તેમણે એમ પણ કહ્યું કે, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવી જોઈએ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ પોતાના બાળકો ગુમાવનારા પીડિતોના પરિવારો પણ હાજર રહ્યા હતા. મૃતક રિયા થાપાના પિતા રાજેશે કહ્યું કે, તેમની પુત્રી દિવસ-રાત અભ્યાસ કરતી હતી, પરંતુ પેપર લીકના સમાચારથી તે અંદરથી નિરાશ થઇ ગઈ હતી.
રાજેશે જણાવ્યું કે તેમની પુત્રીએ તેમને તેના મોબાઇલ ફોન પર એક મીડિયા રિપોર્ટ બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે NEET પેપર લીક થયું છે.
તે સ્ટેજ પર ભાવુક થઈ ગયા અને કહ્યું, ‘મેં તેને કહ્યું હતું કે કદાચ રિપોર્ટ ખોટો હોઈ શકે છે અને પેપર લીક ન પણ થયું હોય. પરંતુ તે કહેતી રહી, ‘પપ્પા, પેપર લીક થયું છે. અમારા જેવા વિદ્યાર્થીઓ સાથે હંમેશા આ રીતે જ છેતરપિંડી થાય છે.’
રિયાના પિતાએ રાહુલ ગાંધીને પેપર લીક રોકવા માટે નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરી.

વિદ્યાર્થીઓની આત્મહત્યા પર દુ:ખ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે ધ્યાન આપવાની જરૂર છે.
તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો પરના દબાણ પર પ્રકાશ પાડતા કહ્યું કે, લાખો યુવાનો આ પરીક્ષાઓની તૈયારી કરતી વખતે વર્ષોથી તેમના સામાજિક જીવન અને વ્યક્તિગત ખુશીનું બલિદાન આપે છે.
તેમણે વધુમાં કહ્યું, ‘તેઓ દરરોજ આઠથી દસ કલાક અભ્યાસ કરે છે, જ્યારે તેમના પરિવારો તેમને દરેક ક્ષણે ટેકો આપે છે. ઘણા માતા-પિતા પોતાની ક્ષમતા કરતાં પણ વધુ ખર્ચ કરે છે અને શિક્ષણ અને કોચિંગ માટે પૈસા ઉછીના લે છે.’
રાહુલ ગાંધીના મતે, નાણાકીય મુશ્કેલીઓને કારણે, ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તેમના દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકતા નથી. પરિણામે, પેપર લીકની વારંવાર ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.

ગણિતના શિક્ષક અભિનય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકારો પરીક્ષાના પેપર લીકના મુદ્દાને ગંભીરતાથી નહીં લે, ત્યાં સુધી ભવિષ્યની પેઢીઓ તેના પરિણામો ભોગવતી રહેશે.
તેમણે કહ્યું, ‘પેપર લીક ફક્ત એક જ બેચના વિદ્યાર્થીઓને અસર કરતું નથી. ભવિષ્યની પેઢીઓને પણ તેના પરિણામો ભોગવવા પડશે. તેથી આગળ બીજા વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દી બરબાદ થાય તે પહેલાં સરકારે પગલાં લેવા જોઈએ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ, કોંગ્રેસ પાર્ટી દેશભરના વિવિધ શહેરોમાં ‘શિક્ષણ પ્રણાલી’ અને પેપર લીકના મુદ્દાઓ ઉઠાવી રહી છે. પાર્ટી તેને યુવાનોનો અવાજ કહી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) કહે છે કે તે એક રાજકીય કાર્યક્રમ છે.