
શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ રહેશે.
આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
ગંભીર વાત તો તે હતી કે કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર બાધા રાખવાથી કેન્સર મટી જશે તેવો દાવો કર્યો હતો. દર્દી ત્રીજા સ્ટેજના કેન્સરથી પીડિત હોવાથી પરિવાર ચિંતામાં હતો. આ ચિંતાને કારણે તેઓ ભૂવા પાસે ગયા હતા.

બધા જાણે જ છે કે કેન્સરની ખબર જો શરૂઆતના સ્ટેજમાં પણ પડી જાય તો તેનો અસરકારક ઉપચાર કરી શકાય. પરંતુ જો તે વધી ગયું હોય તો તેની સારવાર અઘરી હોય છે. આ સારવાર લાંબી પણ હોય છે. સારવારનું પરિણામ દર્દીની ઊંમર, કેન્સરના પ્રકાર અને તેની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર પણ આધાર રાખે છે. ઘણીવાર લાંબી સારવારથી કંટાળીને લોકો આવા ભૂવાઓના ચક્કરમાં પડી જાય છે. લોકોને એવી આશા હોય છે કે કદાચ ચમત્કાર થશે અને સારૂ થઇ જશે. પરંતુ આવું ક્યારેય થતું નથી. અંતે પરિવારજનોએ પોતાના કુટુંબની એક વ્યક્તિ ગુમાવવાનો વારો આવતો હોય છે.

જો ભગવાન પર શ્રદ્ધા કે કોઇ બીજી રીતે કેન્સર મટી જતું હોત તો આપણા દેશના મહાન સંતોનું પણ મટી ગયું હોત. આપણે સ્વામી વિવેકાનંદથી પરિચિત છીએ. તેમના પણ ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ કેંસર હતું. તેમની સારવાર ડોક્ટરોએ જ કરી હતી. તેમનાથી મોટા માતાજીના ભક્ત તો આ દેશમાં કોઇ હશે નહીં પરંતુ તેમણે પણ કોઇ ચમત્કારના આશા રાખ્યા વગર ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. આ ઉપરાંત રમણ મહર્ષિ નામના પ્રખ્યાત સંતને પણ કેન્સર હતું. તેમની સારવાર પણ ડોક્ટરોએ જ કરી હતી. એટલે ભગવાનમાં માનવું અને તેમનામાં શ્રદ્ધા રાખવી એ જુદી વાત છે. પરંતુ ભગવાનના નામે લૂંટતા લોકો પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો મહાન સંતો પણ ડોક્ટરની સારવાર પણ ભરોસો કરતા હોય તો આપણે કેમ ન કરીએ.