fbpx

હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

Spread the love

હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મુશળધાર વરસાદ ખાબકવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી હાલ વરસાદ બંધ થતા પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે અને જનજીવન પાટે ચડવા લાગ્યું છે, ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને  વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે અનેક ગામોમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરો, દુકાનો, ખેતીની જમીન તથા જાહેર મિલકતોમાં પાણી ફરી વળતાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે, ઘરવખરીને નુકસાન થયું છે તથા ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

hardik-patel4

તેમણે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યુ કે, આપના (મુખ્યમંત્રી) માર્ગદર્શન હેઠળ અમે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા પરિવારોને ઘરવખરી, મકાન અને પશુપાલન સહાય આપી ચૂક્યા છીએ. આ કુદરતી આપત્તિના કારણે સમગ્ર વિસ્તારનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. તેથી સરકારના સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી અંગત ભલામણ છે.

હાર્દિક પટેલે પોતાના પત્રમાં આ બાબતોને પ્રાથમિકતા આપવાની વિનંતી કરી છે:

(1) ખેડૂતો માટે પાક અને જમીન નુકસાન સહાય: ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તથા જમીન ધોવાઈ જવાના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ ઉદાર વળતર, બિયારણ સહાય તેમજ જરૂરી કૃષિ સહાય તાત્કાલિક આપવામાં આવે.

(2) નાના વેપારીઓ અને લારી-ગલ્લાધારકો માટે આર્થિક સહાય: દુકાનો અને વ્યવસાયિક એકમોમાં પાણી ભરાવાથી માલસામાનને ભારે નુકસાન થયું છે. આવા વેપારીઓને વ્યાજમુક્ત અથવા રાહત દરે લોન તેમજ આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે.

hardik-patel5

(3) આરોગ્ય અને સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા: પૂરનું પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય કેમ્પો, પશુ આરોગ્ય કેમ્પો, જંતુનાશક દવાઓનો છંટકાવ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.

(4) રસ્તા, વીજળી અને અન્ય જાહેર સુવિધાઓનું પુનઃસ્થાપન: નુકસાનગ્રસ્ત માર્ગો, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા તથા અન્ય આવશ્યક જાહેર સુવિધાઓને યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે.

હાર્દિક પટેલે અંતે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે, પુરગ્રસ્ત નાગરિકોની આ વિકટ પરિસ્થિતિને માનવતાના ધોરણે ધ્યાનમાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ઉદાર અને સર્વગ્રાહી વિશેષ પૂર રાહત પેકેજ જાહેર કરવામાં આવે, જેથી અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળી શકે અને જનજીવન ફરીથી સામાન્ય બની શકે.

Leave a Reply

error: Content is protected !!