fbpx

સચીન નોટીફાઈડ એરીયામાં જ વ્યવસાય વેરો વસૂલવાની માંગ ઉગ્ર

Spread the love

સચીન નોટીફાઈડ એરીયામાં જ વ્યવસાય વેરો વસૂલવાની માંગ ઉગ્ર

સુરત, તા. 3 ઓગસ્ટ : સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરી સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતા વ્યવસાય વેરા (પ્રોફેશનલ ટેક્સ) તેમજ ઉદ્યોગકારો દ્વારા વાર્ષિક ધોરણે ભરવામાં આવતા વ્યવસાય વેરાની વસૂલાત હવે પછી સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં આશરે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ મિલો, કેમિકલ યુનિટો, એન્જિનિયરિંગ ઉદ્યોગો સહિત અનેક કોર્પોરેટ સ્તરની કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ ઉદ્યોગોમાં અંદાજે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલમાં કર્મચારીઓના પગારમાંથી કપાત થતો વ્યવસાય વેરો તેમજ ઉદ્યોગકારોનો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા કરાવવામાં આવે છે, જ્યારે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં જ આ વેરાની વસૂલાત થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાની હદમાં જ ભરાય છે, તો તે જ રીતે સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગોનો વ્યવસાય વેરો પણ સચીન નોટીફાઈડ એરીયામાં જ જમા થવો જોઈએ.

ગુજરાત બિઝનેસ

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 તેમજ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ અનુસાર સરકાર દ્વારા કર વસૂલવાની સત્તા આપવામાં આવેલી સ્થાનિક સંસ્થાઓને આ અધિકાર પ્રાપ્ત થાય છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના કેસ નં. 1315ના તા. 16 જુલાઈ, 2010ના ચુકાદામાં પણ સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સોસાયટીએ દલીલ કરી છે કે સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા વર્ષોથી સરકારના વાણિજ્ય વિભાગમાં વ્યવસાય વેરો ભરવામાં આવે છે, જે કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી. આથી હવે પછી તમામ ઉદ્યોગકારોને કામદારો તથા પોતાના વ્યવસાય વેરાની રકમ સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવા માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ ટાંકવામાં આવ્યું છે. ત્યાં નોટીફાઈડ એરીયા ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ કામદારોનો વ્યવસાય વેરો સ્થાનિક સ્તરે વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવતાં સચીનમાં પણ આ જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ આ રજૂઆત કરી સચીન નોટીફાઈડ એરીયાને કાયદાકીય હક મુજબ વ્યવસાય વેરાની આવક મળવાથી સ્થાનિક વિકાસકાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.

Leave a Reply

error: Content is protected !!