
કેન્દ્ર સરકાર પાસે સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (SASCI) નામની એક યોજના છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન પૂરી પાડે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, રાજ્યો પાસે રસ્તા, પુલ, શાળાઓ, હોસ્પિટલો અથવા માળખાગત પ્રોજેક્ટ્સ જેવા મોટા વિકાસ પ્રોજેક્ટ્સ માટે પૂરતું ભંડોળ હોય. આ અંગે સંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. લોકસભામાં YSRCP સાંસદ P.V. મિધુન રેડ્ડીએ સરકારને પૂછ્યું, ‘SASCI હેઠળ આંધ્રપ્રદેશને અત્યાર સુધી કેટલા પૈસા મળ્યા છે, શું કેન્દ્રની શરતોને કારણે ભંડોળ રિલીઝ કરવામાં વિલંબ થયો છે, શું અમરાવતી રાજધાની પ્રોજેક્ટ માટે કોઈ અલગ રકમ અલગ રાખવામાં આવી છે અને શું કેન્દ્ર 2014માં રાજ્યના વિભાજન પછી થયેલા માળખાગત નુકસાનની ભરપાઈ માટે વધારાની સહાય આપવાનું વિચારી રહ્યું છે.’

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે સોમવારે લોકસભામાં માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારની SASCI યોજના હેઠળ 50 વર્ષની મુદત સાથે વ્યાજમુક્ત મૂડી લોન તરીકે આંધ્રપ્રદેશને અત્યાર સુધીમાં 31,005.47 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેના જવાબમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ‘2020-21થી 1 ઓગસ્ટ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશને કુલ રૂ. 31,005.47 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાંથી, સૌથી વધુ રકમ, રૂ. 8,289.61 કરોડ, 2025-26માં અને રૂ. 7,901.56 કરોડ 2024-25માં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે 2026-27માં, રૂ. 3,428.14 કરોડ રૂપિયા 1 ઓગસ્ટ સુધીમાં રિલીઝ કરવામાં આવ્યા છે.’
વિલંબ અંગે, નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, SASCI યોજના હેઠળ લોન રાજ્ય સરકાર તરફથી દરખાસ્તો પ્રાપ્ત થયા પછી જ આપવામાં આવે છે. જો દરખાસ્ત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરે છે અને સંપૂર્ણપણે માન્ય છે, તો ભંડોળ બિનજરૂરી વિલંબ વિના રિલીઝ કરવામાં આવે છે.

અમરાવતી માટે ભંડોળ અલગ રાખવાના પ્રશ્ન અંગે, નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અમરાવતી રાજધાનીના નિર્માણ માટે કોઈ અલગ રકમ અલગ રાખવામાં આવી નથી. જોકે, રાજ્ય સરકાર તેના ફાળવણીમાં અમરાવતી સહિત કોઈપણ મૂડી પ્રોજેક્ટ માટે દરખાસ્ત રજૂ કરી શકે છે.
રાજ્યના વિભાજન પછી થયેલા નાણાકીય નુકસાન અંગે, સરકારે જણાવ્યું હતું કે, 2014-15 માટે 16,078.76 કરોડ રૂપિયાની સંપૂર્ણ ઓડિટેડ મહેસૂલ ખાધ ગ્રાન્ટ આંધ્રપ્રદેશને પહેલાથી જ મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત, 14મા નાણા પંચ દ્વારા ભલામણ કરાયેલ 22,112 કરોડ રૂપિયા અને 15મા નાણા પંચ દ્વારા ભલામણ કરાયેલ 36,394 કરોડ રૂપિયાની મહેસૂલ ખાધ ગ્રાન્ટ પણ રાજ્યને સંપૂર્ણપણે મોકલી આપવામાં આવી છે.