
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની 4-4-5 અજાણ્યા ઇસમોએરા તીક્ષ્ણ હથિયારો વડે અત્યંત બર્બરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાથી સુરતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હત્યાબાદ ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો ભયાનક અને કાળજું કંપાવી દે તેવા હતા. હુમલા દરમિયાન ફાયરિંગ પણ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ હત્યા સમયે સતીશની મહિલા મિત્ર પણ તેની સાથે જ હતી.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, બુધવારે બપોરે ભીમનગર ખાતે મંદિર નજીક આવેલા કાલુના અડ્ડા પાસે સતીશ પોતાની કારમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. આ દરમિયાન ટૂ-વ્હીલર પર આવેલા અંદાજે કેટલાક ઇસમોએ કારને ઘેરી લીધી હતી. ત્યારબાદ જીવ બચાવવા સતીશ ત્યાંથી ભાગ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે એક પછી એક મોઢા, છાતી અને હાથ પર ઘા ઝીંક્યા હતા.
હુમલાખોરોએ સતીશ મરાઠા પર એટલી ક્રૂરતાથી હુમલો કર્યો હતો કે, તેના મોઢા પર, છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા નિશાન હતા. હુમલાખોરોએ સતીશનું માથું ફાડી નાખ્યું હતું અને તેના બંને હાથની આંગળીઓ કાપી નાખી હતી. ગંભીર ઇજાઓના કારણે લોહીલુહાણ હાલતમાં તરફડીને સ્થળ પર જ સતીશનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. હુમલાખોરો 1 તલવાર સહિત 2 તીક્ષ્ણ હથિયાર ઘટનાસ્થળે નાખીને ફરાર થઈ ગયા હતા.

ભેસ્તાનમાં આ ઘટનાનો ભોગ બનેલો સતીશ મરાઠા વેડરોડના સૂર્યા મરાઠીની હત્યામાં પકડાયો હતો. ત્યારબાદ મારામારી ધમકી સહિતના ગુના પણ તેની વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાયા હતા. ગોડાદરામાં તાજેતરમાં સતીશ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ઉપરાંત બ્રિજ નીચે દારૂનું સ્ટેન્ડ પણ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું સતીશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યુ એ સ્પષ્ટ થશે. પ્રાથમિક તપાસમાં સૂર્યા મરાઠીની હત્યાની અદાવતનું પરિણામ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને સફી અને લાજપોરની જેલમાં રહેલા પ્રવીણ રાઉત, રાહુલ મંડલ અને શિવા ટકલા પર છે. ચર્ચા એવી પણ છે કે, સતીશની હત્યામાં ફુદુ, સની સહિતની સંડોવણી હોય શકે છે. સતીશની હત્યામાં ગોડાદરાના આકાશ ઉર્ફે બટકાની સંડોવણી બહાર આવતા તેની શોધખોળ ચાલી રહી છે.

ACP નીરવ ગોહિલના જણાવ્યા મુજબ મૃતક સતીશ મરાઠા ભેસ્તાનમાં ભીમ આવાસ પાસે પોતાની કારમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. કાર પાર્ક કર્યાના અડધા કલાક બાદ અચાનક 4-5 હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા. સતીશને બહાર ખેંચી મહિલા મિત્રની સામે જ મોતને ઘાટ ઉતારતા તેણે મૃતકના પરિવારજનોને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે સ્થળ પરથી લોહીલુહાણ 1 તલવાર સહિત 2 તીક્ષ્ણ હથિયારો કબ્જે કર્યા છે. હાલની પ્રાથમિક તપાસમાં 4-5 શંકાસ્પદ શખ્સોના નામો સામે આવ્યા છે, પરંતુ તેઓ આ હત્યામાં પ્રત્યક્ષ રીતે સામેલ હતા કે કેમ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે. જૂની અદાવત, વર્ચસ્વની લડાઈ કે પછી ગેંગવોરના કારણે આ હત્યા કરાઈ તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે મૃતક સતીશ સાથે હાજર મહિલા મિત્રની પૂછપરછ શરૂ કરી છે. હુમલાખોરો કોણ હતા, કઈ દિશામાંથી આવ્યા હતા અને તેઓની સતીશ સાથે શું વાતચીત થઈ હતી તે તમામ વિગતો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ભેસ્તાન ભીમ આવાસ અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ પણ પોલીસ તપાસી રહી છે જેથી હુમલાખોરોના ભાગવાના રૂટની માહિતી મળી શકે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડીને આ બર્બર હત્યાકાંડ પાછળના મુખ્ય કારણનો પર્દાફાશ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં સુરતના કુખ્યાત સૂર્યા મરાઠીની થયેલી હત્યામાં સતીશ મરાઠા મુખ્ય આરોપીઓ પૈકીનો એક હતો. ત્યારબાદ 2025માં સતીશ જેલમાંથી બહાર આવ્યો હતો. આ ચકચારી ઘટના પાછળનું કારણ તો પોલીસની તપાસ બાદ જ જાણી શકાય છે.