

દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરાવનાર રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) સવાલો અને વિવાદમાં ફસાયેલી છે. NEET પેપર લીક કૌભાંડને કારણે પહેલેથી જ ટીકાનો સામનો કરી રહેવી આ એજન્સી ફરી વધુ શરમનો સામનો કરી રહી છે. આમાં એક મામલો UGC-NET જૂન 2026 પરીક્ષાનો છે; ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં ગંભીર ભૂલો મળી આવ્યા બાદ NTAએ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો. આ દરમિયાન મહારાષ્ટ્રમાં, બોમ્બે હાઈકોર્ટના ક્લાર્ક ભરતી માટે ટાઇપિંગ ટેસ્ટ દરમિયાન ટેકનિકલ ખામીઓ અને સર્વર નિષ્ફળતાનો આરોપ લગાવતા ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા છે. બંને કિસ્સાઓમાં, ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે કે, પરીક્ષણ એજન્સીઓની ખામીઓની કિંમત વિદ્યાર્થીઓ શા માટે ચૂકવે?
NTAએ UGC-NETના અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રના પેપરો માટે ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. અંગ્રેજી અને વાણિજ્યની પરીક્ષા 9 સપ્ટેમ્બરે યોજાવાની છે, જ્યારે સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરે યોજાશે. ઉમેદવારો પાસેથી ફરીથી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. NTA નિષ્ણાત સમિતિની તપાસમાં પ્રશ્નપત્રોમાં તથ્યો, ટાઇપિંગ, અનુવાદ અને વ્યાકરણ સંબંધિત અસંખ્ય ભૂલો બહાર આવી. સમિતિએ સ્વીકાર્યું કે આ ખામીઓ ફક્ત પ્રમાણભૂત પડકાર પ્રક્રિયા દ્વારા સુધારી શકાતી નથી. જોકે, બાકીના 84 વિષયોના પરિણામો મૂળ સમયપત્રક અનુસાર જાહેર કરવામાં આવશે.
બીજી તરફ, છત્રપતિ સંભાજીનગરમાં બોમ્બે હાઇકોર્ટ ક્લાર્ક ભરતી ટાઇપિંગ પરીક્ષા માટે હાજર રહેલા ઉમેદવારોએ ફરીથી પરીક્ષાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ કમ્પ્યુટર, માઉસ, કીબોર્ડ અને સર્વરમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો. કેટલાકે દાવો કર્યો કે પરીક્ષા શરૂ થયાના માત્ર 10 મિનિટમાં જ તેઓ સિસ્ટમમાંથી લોગ આઉટ થઈ ગયા હતા. ઔરંગાબાદ અને કલ્યાણના કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ સમસ્યાઓના અહેવાલોને સ્વીકારતા, હાઇકોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોને આગામી પગલાં વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.
NTAએ નિર્ણય લીધો છે કે UGC-NETની પુનઃપરીક્ષા માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. NTAએ 22 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન 87 વિષયો માટે પરીક્ષાઓ યોજી હતી. પરીક્ષાઓ પછી, અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં ખામીઓ અંગે અસંખ્ય ફરિયાદો મળી હતી. ત્યારબાદ, આ બાબતની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસમાં આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં તથ્યો, ટાઇપિંગ, અનુવાદ અને વ્યાકરણ સંબંધિત ઘણી ગંભીર ભૂલો બહાર આવી હતી. પ્રખ્યાત વિદ્વાનોના નામ ખોટા લખવામાં આવ્યા હતા, પુસ્તકના વિષયો અસ્પષ્ટ હતા અને ઘણા જૂના પ્રશ્નોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા શહેરો, કેન્દ્રો અને પ્રવેશ કાર્ડ અંગેની માહિતી ટૂંક સમયમાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવશે. સમિતિએ સ્વીકાર્યું કે આ ભૂલો ફક્ત પડકાર પ્રક્રિયા દ્વારા સુધારી શકાતી નથી; તેથી, ફરીથી પરીક્ષા યોજવી એ એકમાત્ર વાજબી કાર્યવાહી હતી. NTAના નોટિફિકેશન મુજબ, ત્રણ વિષયો માટે નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે:
અંગ્રેજી: 9 સપ્ટેમ્બર, 2026 (પ્રથમ શિફ્ટ: 9:00 AM થી 12:00 PM)
વાણિજ્ય: 9 સપ્ટેમ્બર, 2026 (બીજી શિફ્ટ: 3:00 PM થી 6:00 PM)
સમાજશાસ્ત્ર: 10 સપ્ટેમ્બર, 2026 (પ્રથમ શિફ્ટ: 9:00 AM થી 12:00 PM)
બાકીના 84 વિષયોના પરિણામો પર કોઈ અસર નહીં.
NTA એ જણાવ્યું હતું કે બાકીના 84 વિષયોના પરિણામો મૂળ સમયપત્રક અનુસાર જાહેર કરવામાં આવશે. ફરીથી પરીક્ષાથી JRF ફાળવણી, સહાયક પ્રોફેસર પાત્રતા અથવા P.hd પ્રવેશ પ્રક્રિયામાં કોઈ વિલંબ થશે નહીં. આ ઉપરાંત, સહાયક પ્રોફેસર પદ માટેની લાયકાત માટે ઉમેદવારોની સંખ્યા મૂળ જૂનમાં થયેલી પરીક્ષા અથવા પુન:પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોના 6 ટકા (જે પણ આંકડો વધારે હોય) પર સેટ કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં અગાઉ ફાળવેલ બેઠકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે નહીં.
UGC-NET પુનઃપરીક્ષા અંગે, પવન ખેરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, બદનામ NTA ફરી એકવાર તપાસના દાયરામાં. અમે આશા રાખીએ છીએ કે, રામ મંદિર સાથે જોડાયેલા દાન ઉચાપત કૌભાંડની જેમ આ વખતે પણ નાના લોકોને રાજકીય જવાબદારીથી બચાવવા માટે કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ NTA અને પરીક્ષા પ્રણાલી અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા, તેમણે આને સરકારની મોટી નિષ્ફળતા ગણાવી. ચતુર્વેદીએ લખ્યું કે, ફરી એક વખત એ જ પરિસ્થિતિ. ન તો નવો કાયદા, ન તો કડક દંડ માટેની જોગવાઈઓ, ન તો Gen-Z દ્વારા વિરોધ પ્રદર્શન NTA અને નોકરશાહીને વધુ જવાબદાર બનાવી શક્યા છે. આ સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે.
રવિવારે, છત્રપતિ સંભાજીનગરમાં અસંખ્ય ઉમેદવારોએ બોમ્બે હાઈકોર્ટમાં ક્લાર્કની ભરતી માટે લેવામાં આવેલી ટાઇપિંગ ટેસ્ટ દરમિયાન ટેકનિકલ ખામીઓ અને સર્વરની સમસ્યાઓનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. CJPના કન્વીનર અભિજીત દિપકે પણ આ વિરોધમાં જોડાયો હતો. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે કમ્પ્યુટર, કીબોર્ડ અને સર્વરમાં ખામીઓને કારણે તેઓ યોગ્ય રીતે પરીક્ષા આપી ન શક્યા, જેના પરિણામે તેમને તેમની ભૂલ વિના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદર્શનાકરીઓએ ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી છે.
જોકે, બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રાર (કાર્મિક) દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે ક્લાર્ક પદ માટે ટાઇપિંગ ટેસ્ટ એજન્સી દ્વારા સરળતાથી હાથ ધરવામાં આવી હતી. તેણે સ્વીકાર્યું કે ચોક્કસ પરીક્ષા કેન્દ્રો, ખાસ કરીને ઔરંગાબાદ અને કલ્યાણમાંથી કેટલીક ટેકનિકલ સમસ્યાઓના અહેવાલો પ્રાપ્ત થયા છે. હાઈકોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન એજન્સી દ્વારા થતી સંભવિત ટેકનિકલ સમસ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઉમેદવારોને આગળની કાર્યવાહી વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.

ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે પરીક્ષા દરમિયાન કેટલાક કમ્પ્યુટર્સ ખરાબ થઇ ગયા હતા. કેટલાકે તેમની સ્ક્રીન પીળી પડવાની વાત કહી છે, જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના કીબોર્ડ અને માઉસે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સવારે 10:00 થી 11:15 વાગ્યા દરમિયાન યોજાયેલી સત્ર દરમિયાન કથિત અનિયમિતતાઓ થઈ હતી. મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોમાંથી આશરે 2,900 ઉમેદવારોએ છત્રપતિ સંભાજીનગરના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ 13,000 ઉમેદવારો પરીક્ષા માટે લાયક હતા, જે ત્રણ સત્રોમાં લેવામાં આવી હતી. આ ભરતી હાઇકોર્ટના નાગપુર અને ઔરંગાબાદ બેન્ચ હેઠળ આશરે 1,300 ક્લાર્ક પદો માટે થઇ રહી છે.
અભિજીત દિપકેની એન્ટ્રી
અનિયમિતતાઓની જાણ થતા અભિજીત દિપકેએ છત્રપતિ સંભાજીનગરના સુરાણાનગર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો અને ઉમેદવારો સાથે મુલાકાત કરી. તેણે કહ્યું કે બીડ, અંબાજોગાઈ, અમરાવતી અને લાતુર સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. અભિજીત દિપકેએ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં હાઈકોર્ટની ઓનલાઈન પરીક્ષાને લઈને સંપૂર્ણ અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે. સર્વરની સમસ્યાને કારણે ઘણા ઉમેદવારોને નાપાસ જાહેર કરવામાં આવ્યા. રાજ્યભરના મોટાભાગના પરીક્ષા કેન્દ્રો પર, કમ્પ્યુટર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા નહોતા. હું ઉમેદવારોના વિરોધમાં જોડાયો છું અને ફરીથી પરીક્ષાની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની સાથે રહીશ.
દિપકેએ દાવો કર્યો હતો કે, જ્યારે ઉમેદવારો પરીક્ષા આપવા બેઠા હતા, ત્યારે કેટલાક કમ્પ્યુટર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા નહોતા. કેટલાક કિસ્સાઓમાં, માઉસ અને કીબોર્ડ કામ કરી રહ્યા નહોતા, જ્યારે અન્ય કિસ્સાઓમાં, સ્ક્રીનો કામ કરવામાં નિષ્ફળ ગયા હતા. ઉમેદવારો 10 મિનિટમાં લોગ આઉટ થઈ ગયા હતા. તેણે આ માટે ઉમેદવારો કરતા સિસ્ટમની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી. દિપકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઉમેદવારોએ ફરિયાદ કરી હતી, ત્યારે અધિકારીઓએ તેમને કહ્યું હતું કે તેમને પરીક્ષા આપવાનું આવડતું નથી.
તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જો અધિકારીઓ એટલા સક્ષમ છે, તો સારા કમ્પ્યુટર્સ અને કાર્યકારી કીબોર્ડ્સ પહેલાથી જ કેમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નહોતા? સર્વર યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે તેની ખાતરી કેમ કરવામાં આવી નહોતી? દિપકેએ કહ્યું હતું કે ઘણા ઉમેદવારો છ થી સાત મહિનાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને કેન્દ્રો સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરી હતી. તેમણે પૂછ્યું કે ટેકનિકલ ખામીઓને કારણે નાપાસ થયેલા ઉમેદવારો તેમના પરિવારોને શું જવાબ આપશે. CJPના સ્થાપકે માંગ કરી હતી કે વહીવટીતંત્ર તાત્કાલિક પ્રભાવિત ઉમેદવારો માટે ફરીથી પરીક્ષાની જાહેરાત કરતી લેખિત સૂચના જાહેર કરે. સાથે જ ફરીથી પરીક્ષા એ જ કમ્પ્યુટર પર લેવામાં ન આવે.
દિપકે જણાવ્યું હતું કે તેઓ ઉમેદવારોના વિરોધને ટેકો આપવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય. ઓનલાઈન પરીક્ષા પ્રણાલી પર પ્રશ્ન ઉઠાવતા, તેમણે ટિપ્પણી કરી હતી કે જો વહીવટીતંત્ર કાર્યરત કોમ્પ્યુટર અને સર્વર સુનિશ્ચિત કરી શકતું નથી, તો તેણે આવી ઓનલાઈન પરીક્ષાઓ યોજીને ઉમેદવારોના ભવિષ્યને જોખમમાં ન મૂકવા જોઈએ. હાલમાં, હાઈકોર્ટ વહીવટીતંત્રે ટેકનિકલ સમસ્યાઓની તપાસ કરવાનું વચન આપ્યું છે અને ઉમેદવારોને ખાતરી આપી છે કે તેમને આગામી પગલાં વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.