fbpx

UPના સહારનપુરમાં 70 વર્ષ જૂની મસ્જિદ પર અડધી રાત્રે બૂલડોઝર ફર્યું, વિપક્ષના નેતાઓ હાઉસ અરેસ્ટ, માયાવતી પણ ભડક્યા

Spread the love

UPના સહારનપુરમાં 70 વર્ષ જૂની મસ્જિદ પર અડધી રાત્રે બૂલડોઝર ફર્યું, વિપક્ષના નેતાઓ હાઉસ અરેસ્ટ, માયાવતી પણ ભડક્યા

સહારનપુર કલેક્ટર (DM) કચેરી પરિસરમાં આવેલી મસ્જિદને રાતોરાત બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા બાદ કૈરાનાના સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઇકરા હસને દાવો કર્યો છે કે તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. સિટી મેજિસ્ટ્રેટના આદેશ મુજબ આ બાંધકામ ગેરકાયદેસર અને સરકારી જમીન પરનું દબાણ હતું, જેના કારણે મસ્જિદ કમિટી/કબ્જેદારો પર આશરે ₹6.41 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ 70 વર્ષ જૂની મસ્જિદને તોડી પાડવામાં આવી રહી છે. શનિવારે વહેલી સવારે 4 વાગ્યાથી 6 બુલડોઝર મસ્જિદને જમીનદોસ્ત કરવાની કામગીરીમાં જોડાયેલા છે. તેનો એક ભાગ તોડી પડાયો છે. સાવચેતીના ભાગરૂપે PACની 5 કંપનીઓ, RAF અને 200 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કોઈને પણ મસ્જિદની નજીક જવા દેતી નથી.

01

આ પહેલા શુક્રવારે રાત્રે 11 વાગ્યે એવી અફવા ફેલાઈ હતી કે વહીવટીતંત્ર મસ્જિદ તોડવા જઈ રહ્યું છે, જેના પગલે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જાણ થતાં જ વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને ત્યાંથી હટાવ્યા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરવા સહારનપુર આવી રહેલા કૈરાનાના સાંસદ ઇકરા હસનને પોલીસે નજરકેદ કરી લીધા હતા.

આ ઘટના બાદ કૈરાના લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા 32 વર્ષીય સાંસદ ઇકરા હસને જણાવ્યું કે, જ્યારે તેઓ સ્થાનિક લોકોની ચિંતાઓ અને મુદ્દાઓ અંગે અધિકારીઓને મળવા સહારનપુર જવા નીકળી રહ્યા હતા, ત્યારે તેમના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે સહારનપુર જિલ્લો કૈરાના સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે.

ઇકરા હસને વિરોધ નોંધાવતા કહ્યું, મને ગઇકાલે રાત્રે સહારનપુર જતી રોકવા માટે મારા કૈરાના સ્થિત નિવાસસ્થાને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને નજરકેદ કરવામાં આવી. લોકશાહીમાં જનપ્રતિનિધિ પોતાના વિસ્તારની જનતાનો અવાજ ઉઠાવવા માટે ચૂંટાય છે. મને રોકીને એ અવાજ દબાવી શકાય નહીં. શું પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે અધિકારીઓને મળવું એ ગુનો બની ગયો છે?

02

આ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક રહસ્યમય પોસ્ટ કરતા લખ્યું, સદભાવના જાળવી રાખવી એ જ સરકારની સૌથી મોટી જવાબદારી છે અને એ જ તેની સિદ્ધિ પણ છે. સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, મસ્જિદ તોડી પાડવાના મુદ્દે ઇકરા હસન અવાજ ન ઉઠાવી શકે તે માટે જ તેમને સહારનપુર જતા રોકવામાં આવ્યા છે.

બજરંગ દળના પૂર્વ પ્રાંત સંયોજક વિકાસ ત્યાગીએ સહારનપુર કલેક્ટર કચેરી પરિસરમાં બનેલી મસ્જિદ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરવા ઉપરાંત આ જગ્યાનો વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ થતો હતો. જેમાં પોસ્ટ ઓફિસ ચલાવવી અને બહારના લોકોને રૂમ ભાડે આપીને મસ્જિદ કમિટી દ્વારા ભાડું ઉઘરાવવાનો પણ સમાવેશ થાય છે.

આ મામલે સુનાવણી હાથ ધર્યા બાદ સિટી મેજિસ્ટ્રેટ કુલદીપ સિંહે આ ગેરકાયદે બાંધકામ તાત્કાલિક જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. તંત્રના જણાવ્યા મુજબ, સરકારી કચેરી પરિસરમાં આવી પ્રવૃત્તિઓ અને દબાણથી કાર્યાલયની સુરક્ષા અને ગોપનીયતા સામે જોખમ ઊભું થતું હતું.

અખિલેશ યાદવ બાદ બસપા (BSP) સુપ્રીમો માયાવતીએ પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગેરકાયદેસર જાહેર કરીને મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પર ઉતાવળમાં ચલાવવામાં આવતા બુલડોઝર સામે વિરોધ દર્શાવ્યો હતો. સોશિયલ મીડિયા ‘X’ પર એક લાંબી પોસ્ટમાં માયાવતીએ આવી કાર્યવાહીને અયોગ્ય ગણાવીને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. તેમણે સૂચન કર્યું કે આવા વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અન્ય વિકલ્પો શોધવા જોઈએ જેથી સમાજમાં નકારાત્મક અસર ન પડે. તેમણે ઉમેર્યું કે બંધારણીય અને બિનસાંપ્રદાયિક સરકારની જવાબદારી છે કે તે તમામ ધર્મોના લોકો અને તેમના ધાર્મિક સ્થળોને સમાન આદર અને સુરક્ષા આપે.

04

આ ઉપરાંત, યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર આરોપીઓના ઘરો તોડી પાડવાની કાર્યવાહી સામે ચિંતા વ્યક્ત કરતા માયાવતીએ કહ્યું કે, કોઈ એક આરોપી સામે કાર્યવાહીના નામે આખા પરિવારને બેઘર કરવા કે સામૂહિક સજા આપવી એ ચિંતાજનક છે. સરકારે ‘કાયદા દ્વારા કાયદાનું રાજ્ય’ સ્થાપિત કરવું જોઈએ. તેમણે સરકાર અને અદાલતોને આવા કેસોમાં ઊંડાણપૂર્વક વિચારણા કરવાની અને તમામ પક્ષોને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાની અપીલ કરી હતી.

સહારનપુરની આ ઘટના ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર કે દબાણ વાળી જમીનો પર બનેલા ધાર્મિક માળખાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીનો જ એક ભાગ છે. જોકે, તોડી પાડવાની આ કાર્યવાહીઓ પહેલાં કોર્ટના દિશા-નિર્દેશો અને કાનૂની પ્રક્રિયાઓનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ અદાલતોમાં સવાલો ઊભા થયા છે.

Leave a Reply

error: Content is protected !!