
મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી નેહા મારવ્ય સિંહ એક વર્ષમાં ચોથી વખત બદલી થયા પછી નારાજ છે. તેમણે કહ્યું કે તેમની આ રીતની ટ્રાન્સફરથી ‘અપમાનિત’ અનુભવે છે. આ વખતે, તેમને નવી પોસ્ટિંગ મળ્યાના માત્ર 50 દિવસ પછી ફરીથી બદલી કરવામાં આવી. નેહા સિંહે આરોપ લગાવ્યો કે તેમની નીચેના અધિકારીઓએ તેમની સામે બળવો કર્યો અને તેમને ટ્રાન્સફર કરવાની ધમકી આપી. નેહા સિંહે મધ્ય પ્રદેશ IAS ઓફિસર્સ એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રુપ પર પોતાની નારાજગી વ્યક્ત કરી.
40 વર્ષીય નેહા મારવ્ય સિંહ મધ્ય પ્રદેશ કેડરના 2011 બેચના IAS અધિકારી છે. તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરની ટ્રાન્સફર યાદીમાં ફરી એકવાર પોતાનું નામ જોઈને તેઓ ખૂબ જ નારાજ અને નિરાશ થઈ ગયા છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, IAS નેહા સિંહે ગ્રુપમાં લખ્યું, ‘મારી ટ્રાન્સફર એટલા માટે કરવામાં આવી કારણ કે જે કર્મચારીઓનું કામ સીધું મારા નિયંત્રણમાં નહોતું, પરંતુ વિભાગીય કર્મચારીઓ હેઠળ હતું, તેમણે મારી વિરુદ્ધ બળવો કર્યો. તેઓએ મારા ટેબલ પર હાથ પછાડીને મને ટ્રાન્સફરની ધમકી આપી.’

નેહા સિંહે જણાવ્યું કે, તેમણે યોગ્ય માધ્યમથી તેમની નીચેના અધિકારીઓનું મનસ્વી વર્તન, ફાઇલો રોકી રાખવા અને તેમની સાથે દુર્વ્યવહાર અંગે ફરિયાદ કરી હતી. તેમને આશા હતી કે સંબંધિત કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. હવે જ્યારે તેમની બદલી જ થઈ ગઈ છે, ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે શું કર્મચારીઓ સામે પગલાં લેવાને બદલે તેમની જ બદલી કરવામાં આવી હતી.
IAS નેહા સિંહનો આક્રોશ એવા સમયે આવ્યો છે, જ્યારે ઘણા સરકારી અધિકારીઓએ તાજેતરમાં જ પોતાની નોકરી છોડવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના IAS અધિકારી દિવ્યા મિત્તલે તાજેતરમાં 13 વર્ષની સેવા પછી સ્વૈચ્છિક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. UP કેડરના જ IAS અધિકારી રિંકુ સિંહે પણ રાજીનામું આપ્યું હતું, પરંતુ એપ્રિલમાં તે પાછું ખેંચી લીધું હતું.

IAS નેહા મારવ્ય સિંહે કહ્યું કે તેઓ સમજે છે કે IAS અધિકારી તરીકે, રાજ્ય સરકાર તેમને ગમે ત્યાં કામ કરવાનું કહી શકે છે. નેહા સિંહે કહ્યું કે તેમણે હંમેશા સરકારી આદેશોનો આદર સાથે સ્વીકાર કર્યો છે. પરંતુ આ વખતે, તેઓ ખૂબ જ નિરાશ છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા તેમણે પ્રશ્ન કર્યો, ‘શું એક IAS અધિકારી એટલો નબળો છે કે તેમની નીચેના અધિકારીઓ પણ બળવો કરીને તેમની બદલી કરાવી શકે છે?’
મધ્યપ્રદેશ IAS ઓફિસર્સ એસોસિએશન સાથેની એક ગ્રુપ મીટિંગમાં, તેમણે કહ્યું, ‘એક વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે મારું નામ ટ્રાન્સફર લિસ્ટમાં આવ્યું છે. મારું માનવું છે કે મધ્યપ્રદેશ IAS ઓફિસર્સ એસોસિએશનનું કાર્ય ફક્ત કોઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અથવા તેમને અભિનંદન આપવાથી પણ કંઇક વિશેષ હોય છે.’
નેહા સિંહે ટૂંકા ગાળાના પોસ્ટિંગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એક અધિકારીને વિભાગની જવાબદારીઓ અને કામગીરી સમજવામાં સમય લાગે છે. તેથી, વારંવાર ટ્રાન્સફર તેમને અસરકારક રીતે કામ કરતા અટકાવે છે. તેમણે આગ્રહ રાખ્યો, ‘મને છોડો, મને નથી લાગતું કે કોઈ પણ IAS અધિકારી એવું કંઈ કરી શકે જેનાથી જોડાયાના એક મહિનામાં તેમની સાથે કામ કરનારાઓ બળવો કરે. એક અધિકારી એક મહિનામાં ભાગ્યે જ કામ સમજી શકે છે.’

તેમની ટ્રાન્સફર અંગે, તેમણે કહ્યું, ‘પરંતુ મારા પોતાના હાથ નીચેના અધિકારીઓના બળવાને કારણે થયેલી આ ટ્રાન્સફરથી મને અપમાન થયું હોય એવી લાગે છે.’
તેમણે આગળ કહ્યું, ‘હું કેવી રીતે કામ કરી શકું? મારો કાર્યકાળ ફક્ત 2-3 મહિનાનો હોય છે. જ્યારે હું મારી જવાબદારીઓને યોગ્ય રીતે સમજી શકું, ત્યારે મારી ટ્રાન્સફર થઈ જાય છે. મારી નીચે કામ કરનારાઓ પણ મને એક સરળ લક્ષ્ય માને છે. જો હું તેમની ઇચ્છા મુજબ કામ ન કરું, તો તેઓ મને ટ્રાન્સફર કરાવી શકે છે.’
તેમણે કહ્યું કે તેમને સાઈડ લાઈન કરવામાં આવ્યા અને કામ ન આપવામાં આવ્યું હોવા છતાં, તેઓ વર્ષો સુધી મૌન રહી અને ધીરજથી કામ કર્યું. તેમને આશા હતી કે પરિસ્થિતિ બદલાશે. પરંતુ હવે તેમનો આરોપ છે કે તેમની નીચેના અધિકારીઓ જ તેમને ટ્રાન્સફરની ધમકી આપવા લાગ્યા છે.