પ્રાંતિજમાં ભોઇ સમાજની મહિલાઓ દ્વારા જલયાત્રા યોજાઈ
વરસોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં પણ યથાવત્
સંતાન પ્રાપ્તિ અને કુટુંબના કલ્યાણ માટે માતાજીની બાધા રાખવામાં આવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રીમાળી શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે પરંપરાગત મટકી યાત્રા (જલયાત્રા) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ માથે બેડા-મટકી ધારણ કરી જલયાત્રામાં જોડાઈ હતી
દર વર્ષની પરંપરા મુજબ પ્રાંતિજના મોટા માઢા વિસ્તારમાં રહેતા તથા પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર રીટાબેન દિલીપભાઈ ભોઇના નિવાસસ્થાનેથી આરતી બાદ ગાગર-બેલડી જલયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શિગોડા ભોઇ સમાજ પાણી સાથે સંકળાયેલો હોવાથી સમાજમાં જળદેવતા પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે સમાજની મહિલાઓ દ્વારા સંતાન પ્રાપ્તિ તેમજ કુટુંબના સુખ-શાંતિ અને કલ્યાણ માટે માતાજીની બાધા રાખવામાં આવે છે માનેલી બાધા પૂર્ણ થયા બાદ જળદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે જલયાત્રામાં મહિલાઓએ માથે બેડા-મટકી ધારણ કરી ઢોલ-નગારાના તાલે પ્રાંતિજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ યાત્રા કાઢી હતી ત્યારબાદ જલયાત્રા નેશનલ હાઈવે-૪૮ નજીક આવેલા શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં પૂજા-અર્ચના બાદ જલયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું યંત્ર યુગ અને આધુનિક સમય વચ્ચે પણ ભોઇ સમાજની મહિલાઓ દ્વારા વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જાળવી રાખવામાં આવી રહી છે








