fbpx

મોહમ્મદ શમીએ જણાવ્યું રોહિત શર્માને મેદાનમાં ક્યારે આવે છે ગુસ્સો?

Spread the love

21 ઑગસ્ટ 2024ના રોજ રોહિત શર્માને સીએટ ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2023-24માં મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યો. રોહિત જ નહીં ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને પણ આ સમારોહમાં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ બંને દિગ્ગજો સિવાય વિરાટ કોહલીને મેન્સ વન-ડે બેટ્સમેન ઓફ ધ યર’, અશ્વિનને ‘મેન્સ ટેસ્ટ ઓફ ધ યર’ અને BCCI સચિવ જય શાહને સ્પોર્ટ પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે સન્માનિત કરવામાં આવ્યા.

એવોર્ડ શૉ દરમિયાન જ ભારતીય ટીમના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રોહિતને લઇને ખાસ વાત કહી. તેણે જણાવ્યું કે, સૌથી પહેલા રોહિત શર્મામાં એ સારું લાગે છે કે તે બોલિંગ દરમિયાન તમને ફ્રીડમ આપે છે. ત્યારબાદ જો તમે તેની અપેક્ષાઓ પર ખરા ન ઉતર્યા તો તેનું એક્શન બહાર આવવા લાગે છે. તે સમજાવે છે કે આપણે શું ટ્રાઇ કરવું જોઇએ. ત્યારબાદ પણ પ્રદર્શન ન સુધરે તો પછી તમે જે ટી.વી. સ્ક્રીન પર રીએક્શન જુઓ છો અને બોલ્યા વિના સમજી જાવ છો એ આવવા લાગે છે.

તો રોહિત શર્માએ આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં દ્રવિડ અને અજીત અગરકર અને જય શાહને પોતાના 3 સ્તંભ પણ બતાવ્યા. રોહિતે કહ્યું કે, આ ટીમને બદલવી અને આંકડા, પરિણામો બાબતે વધુ ચિંતા ન કરવી, એ સુનિશ્ચિત કરવાનું મારું સપનું હતું કે અમે એવો માહોલ બનાવીએ જ્યાં લોકો મેદાન પર જઇને વધુ વિચાર્યા વિના ખૂલીને રમી શકે. તેની જરૂરિયાત હતી. મને 3 સ્તંભથી ખૂબ મદદ મળી જે વાસ્તવમાં જય શાહ, રાહુલ દ્રવિડ અને સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકર છે.

ભારતે આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનું છે. તો ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવાની દાવેદાર છે. રોહિતે કહ્યું કે, મેં 5 IPL ટ્રોફી જીતી છે. તેનું એક કારણ છે. હું રોકાવાનો નથી કેમ કે એક વખત જ્યારે તમને રમત જીતવા. કપ જીતવાનો સ્વાદ મળી જાય છે તો તમે થોભવા માગતા નથી અને અમે એક ટીમના રૂપમાં આગળ વધતા રહીશું. અમે ભવિષ્યમાં સારી વસ્તુઓ માટે પ્રયાસ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરતા બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. અહી રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા બેટથી જ નહીં, પોતાની કેપ્ટન્સીથી પણ લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. ટૂર્નામેન્ટ દરમિયાન જરૂર અફઘાન બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજ (281) સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો, પરંતુ બીજા નંબર પર રોહિત શર્મા હતો. તેણે ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ કપમાં કુલ 8 મેચ રમી હતી. આ દરમિયાન 8 ઇનિંગમાં તે 36.71ની એવરેજ અને 156.70ની સ્ટ્રાઇક રેટથી 257 રન બનાવવામાં સફળ થયો હતો.

error: Content is protected !!