fbpx

PMએ કહ્યું- ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો હું CM હતો…

Spread the love

PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતનાં સુરતમાં ‘જલ સંચય જન ભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવતા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં વરસાદી પાણીનો સંગ્રહ વધારવા અને લાંબા ગાળાના પાણીનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે અંદાજે 24,800 વરસાદી પાણીના સંગ્રહના માળખાંનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

PMએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં PM મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. PMએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.

PMએ નોંધ્યું હતું કે, જળ સંરક્ષણ એ માત્ર એક નીતિ જ નથી, પણ આ એક પ્રયાસ છે અને એક ગુણ પણ છે; તેમાં ઉદારતા તેમજ જવાબદારીઓ પણ છે. PM મોદીએ ઉમેર્યું હતું કે, પાણી એ પ્રથમ પરિમાણ હશે, જેના આધારે આપણી ભાવિ પેઢીઓ આપણું મૂલ્યાંકન કરશે. તેમણે કહ્યું હતું કે, આનું કારણ એ છે કે પાણી એ માત્ર સંસાધન જ નથી, પણ જીવન અને માનવતાનાં ભવિષ્યનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું હતું કે, એટલે સ્થાયી ભવિષ્ય માટે 9 સંકલ્પોમાં જળ સંરક્ષણ મુખ્ય હતું. PM મોદીએ જળ સંરક્ષણના સાર્થક પ્રયાસોમાં જનભાગીદારીની શરૂઆત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકારના જલશક્તિ મંત્રાલય અને આ પહેલમાં સામેલ તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવી હતી.

પર્યાવરણ અને જળ સંરક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડતા PMએ ધ્યાન દોર્યું હતું કે, ભારત દુનિયામાં માત્ર 4 ટકા જેટલું જ તાજું પાણી ધરાવે છે. તેમણે સમજાવ્યું, દેશમાં અનેક ભવ્ય નદીઓ હોવા છતાં, મોટા ભૌગોલિક પ્રદેશો પાણીથી વંચિત છે અને પાણીનું સ્તર પણ ઝડપી ગતિએ ઓછું થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન સાથે પાણીની તંગીની સાથે-સાથે લોકોનાં જીવન પર મોટી અસર થઈ છે.

આ પડકારજનક સ્થિતિ હોવા છતાં PMએ જણાવ્યું હતું કે, ફક્ત ભારત જ પોતાના અને વિશ્વ માટે સમાધાનો શોધવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ભારતના પ્રાચીન ગ્રંથોની સમજનો શ્રેય આપ્યો અને કહ્યું કે જળ અને પર્યાવરણ સંરક્ષણને પુસ્તકિયું જ્ઞાન અથવા એવી કોઈ પરિસ્થિતિમાંથી ઉદભવેલી વસ્તુ માનવામાં આવતી નથી. પીએમ મોદીએ કહ્યું, જળ અને પર્યાવરણ સંરક્ષણ ભારતની પરંપરાગત ચેતનાનો એક ભાગ છે. તેમણે કહ્યું કે ભારતના લોકો એક એવી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે જે પાણીને ભગવાનનું સ્વરૂપ માને છે, નદીઓને દેવી માને છે અને સરોવરને દેવતાઓનું નિવાસસ્થાન માને છે. તેમણે કહ્યું હતું કે, ગંગા, નર્મદા, ગોદાવરી અને કાવેરી માતા તરીકે પૂજનીય છે. પ્રાચીન ગ્રંથોને ટાંકીને PMએ સમજાવ્યું હતું કે, પાણીની બચત અને દાન કરવું એ સેવાનું સર્વોચ્ચ સ્વરૂપ છે, કારણ કે તમામ જીવન સ્વરૂપો પાણીમાંથી શરૂ થાય છે અને તેનો આધાર તેના પર રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં પૂર્વજો જળ અને પર્યાવરણનાં સંરક્ષણનું મહત્ત્વ જાણતાં હતાં. રહીમ દાસની એક પંક્તિનો ઉલ્લેખ કરીને PMએ રાષ્ટ્રની દૂરંદેશીપણા પર પ્રકાશ પાડ્યો હતો અને જ્યારે પાણી અને પર્યાવરણની જાળવણીની વાત આવે છે ત્યારે આગેવાની લેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

PMએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ‘જલ સંચય જન ભાગીદારી’ પહેલનો ગુજરાતમાંથી પ્રારંભ થઈ રહ્યો છે અને છેવાડાનાં નાગરિકોને પાણીની સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની દિશામાં અનેક સફળ પ્રયાસો થયાં છે. PM મોદીએ અઢી દાયકા અગાઉ સૌરાષ્ટ્રની સ્થિતિની યાદ અપાવી હતી, જ્યારે અગાઉની સરકારોમાં જળસંચયની દ્રષ્ટિનો અભાવ હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે આ ગંભીર કટોકટીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ કર્યો હતો તથા દાયકાઓથી વિલંબિત સરદાર સરોવર ડેમનું નિર્માણ અને કાર્યાન્વિત કરવાની ખાતરી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, સૌની યોજના પણ વધુ પડતા વિસ્તારોમાંથી પાણી ખેંચીને અને અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વિસર્જન કરીને શરૂ કરવામાં આવી હતી. PM મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, ગુજરાતમાં કરવામાં આવેલા પ્રયાસોનાં પરિણામો આજે દુનિયાને દેખાય છે.

PMએ કહ્યું હતું કે, જળ સંરક્ષણ એ માત્ર નીતિઓની જ વાત નથી, પણ સામાજિક પ્રતિબદ્ધતા પણ છે. તેમણે જાગૃત નાગરિક, જનભાગીદારી અને જન આંદોલનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભૂતકાળમાં હજારો કરોડનાં મૂલ્યનાં પાણી સંબંધિત પ્રોજેક્ટ શરૂ થયાં હોવા છતાં છેલ્લાં 10 વર્ષમાં તેનાં પરિણામો સ્પષ્ટ દેખાય છે. પીએમ મોદીએ કહ્યું, અમારી સરકારે સમગ્ર સમાજ અને સમગ્ર સરકારના અભિગમ સાથે કામ કર્યું છે. છેલ્લાં 10 વર્ષમાં થયેલી કામગીરી પર પ્રકાશ ફેંકતા PMએ જણાવ્યું હતું કે, પાણી સાથે સંબંધિત મુદ્દાઓ પર પ્રથમ વખત સાઇલો તૂટી છે અને જલ શક્તિ મંત્રાલયની રચના સંપૂર્ણ સરકારી અભિગમની કટિબદ્ધતા પૂર્ણ કરવા માટે કરવામાં આવી છે. તેમણે જલ જીવન મિશન મારફતે દરેક ઘરમાં પાણીનો પુરવઠો પૂરો પાડવાના સંકલ્પને સ્પર્શ કર્યો હતો અને માહિતી આપી હતી કે, અગાઉ માત્ર 3 કરોડ ઘરોમાં ટેપ દ્વારા પાણીનું જોડાણ ઉપલબ્ધ હતું, જે અત્યારે 15 કરોડથી વધારે છે. તેમણે જલ-જીવન મિશનને દેશના 75 ટકાથી વધુ ઘરો સુધી નળથી સ્વચ્છ પાણી પહોંચાડવાનો શ્રેય આપ્યો હતો. તેમણે જલ-જીવન મિશનમાં સ્થાનિક જલ સમિતિઓના યોગદાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતની પાણી સમિતિઓમાં અજાયબીઓ આપનારી મહિલાઓની જેમ દેશભરમાં પાણી સમિતિઓમાં મહિલાઓ અદ્ભુત કાર્ય કરી રહી છે, આમાં ઓછામાં ઓછી 50 ટકા ભાગીદારી ગામડાની મહિલાઓની છે.

જલશક્તિ અભિયાન આજે કેવી રીતે રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે એ બાબત પર પ્રકાશ પાડતા PMએ કહ્યું હતું કે, જળનાં પરંપરાગત સ્રોતોનું નવીનીકરણ હોય કે નવા માળખાનું નિર્માણ હોય, જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો સામેલ છે, જેમાં હિતધારકોથી માંડીને નાગરિક સમાજથી માંડીને પંચાયતો સામેલ છે. જનભાગીદારીની તાકાત સમજાવતાં PM મોદીએ જણાવ્યું હતું કે અમૃત સરોવરનું કામ આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન દરેક જિલ્લામાં શરૂ થયું હતું અને તેના પરિણામે આજે દેશમાં 60,000થી વધારે અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે અટલ ભુજલ યોજનામાં ભૂગર્ભજળને રિચાર્જ કરવા માટે જળ સંસાધનોનાં વ્યવસ્થાપનની જવાબદારી પણ ગ્રામજનોની સામેલ હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2021માં શરૂ થયેલા ‘કેચ ધ રેઇન’ અભિયાનમાં આજે મોટી સંખ્યામાં હિસ્સેદારો સામેલ છે. ‘નમામિ ગંગે’ પહેલનો ઉલ્લેખ કરીને PM મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ નાગરિકો માટે ભાવનાત્મક સંકલ્પ બની ગયો છે અને લોકો નદીઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે જૂની પરંપરાઓ અને અપ્રસ્તુત રિવાજોનો ત્યાગ કરી રહ્યાં છે.

‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ નાગરિકોને એક વૃક્ષ વાવવાની અપીલનો ઉલ્લેખ કરીને PMએ જણાવ્યું હતું કે વનીકરણ સાથે ભૂગર્ભજળનું સ્તર ઝડપથી વધે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ‘એક પેડ મા કે નામ’ હેઠળ કરોડો વૃક્ષો વાવવામાં આવ્યા છે. PM મોદીએ વધુમાં આ પ્રકારનાં અભિયાનો અને ઠરાવોમાં જનભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જળ સંરક્ષણનાં પ્રયાસો 140 કરોડ નાગરિકોની ભાગીદારી સાથે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યાં છે.

PMએ જળ સંરક્ષણ પર તાત્કાલિક કામગીરી કરવા અપીલ કરી હતી અને પાણી સાથે સંબંધિત મુદ્દાઓ સાથે સંબંધિત દેશનાં ભવિષ્યને સુરક્ષિત કરવા ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાયકલ’નાં મંત્રને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાણીનો દુરુપયોગ સમાપ્ત થાય, વપરાશ ઓછો થાય, પાણીનો ફરીથી ઉપયોગ થાય, પાણીના સ્ત્રોતો રિચાર્જ થાય અને દૂષિત પાણીને રિસાયકલ કરવામાં આવે ત્યારે જ પાણી બચાવી શકાય છે. PMએ આ મિશનમાં નવીન અભિગમો અને આધુનિક ટેકનોલોજીને અપનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારતની જળ જરૂરિયાતોનો આશરે 80 ટકા હિસ્સો કૃષિ મારફતે પૂર્ણ થાય છે, જે જળ-કાર્યક્ષમ ખેતીને ટકાઉપણા માટે મહત્ત્વપૂર્ણ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ટકાઉ કૃષિની દિશામાં ટપક સિંચાઈ જેવી તકનીકોને સતત પ્રોત્સાહન આપી રહી છે. તેમણે ‘પર ડ્રોપ મોર ક્રોપ’ જેવા અભિયાનો વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેનાથી પાણીના સંરક્ષણમાં મદદ મળી રહી છે, ત્યારે પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. PM મોદીએ કઠોળ, તેલીબિયાં અને બાજરી જેવા ઓછા પાણીની જરૂરિયાત ધરાવતાં પાકોનાં વાવેતર માટે સરકારનાં સાથસહકાર પર પ્રકાશ પાડ્યો હતો. રાજ્ય સ્તરના પ્રયાસો પર ચર્ચાને આગળ વધારતા PM મોદીએ રાજ્યોને જળ સંરક્ષણ પદ્ધતિઓ અપનાવવા અને તેને વેગ આપવા પ્રોત્સાહન આપ્યું હતું. કેટલાક રાજ્યો ઓછા પાણીનો વપરાશ કરતા વૈકલ્પિક પાકોના ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે છે એ વાતનો સ્વીકાર કરીને PMએ તમામ રાજ્યોને આ પ્રયાસોને આગળ ધપાવવા માટે એકજૂથ થવા અને મિશન મોડમાં કામ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે નવી ટેકનોલોજીની સાથે-સાથે ખેતરોની નજીક તળાવો ઊભા કરવા અને કૂવાઓને રિચાર્જ કરવા જેવા પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન આપવું જોઈએ.

PM મોદીએ જણાવ્યું હતું કે, વિશાળ જળ અર્થતંત્ર સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને જળ સંરક્ષણની સફળતા સાથે સંકળાયેલું છે. આ અંગે વધુ જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, જલ જીવન મિશને એન્જિનિયર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને મેનેજર્સ જેવા લાખો લોકોને રોજગારીની સાથે-સાથે સ્વરોજગારની તકો પણ પૂરી પાડી છે. PMએ ધ્યાન દોર્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ, દરેક ઘરમાં પાઇપ દ્વારા પાણી પહોંચાડીને દેશના નાગરિકોના આશરે 5.5 કરોડ માનવ કલાકોની બચત થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલથી આપણી બહેનો અને દિકરીઓનો સમય અને પ્રયાસો બચાવવામાં મદદ મળશે, જેનાં પરિણામે દેશનાં અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ મળશે. PM મોદીએ ધ્યાન દોર્યું હતું કે, સ્વાસ્થ્ય એ જળઅર્થતંત્રનું મહત્ત્વપૂર્ણ પાસું પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, અહેવાલો અનુસાર, જ્યારે 1.25 લાખથી વધુ બાળકોના અકાળે મૃત્યુને અટકાવી શકાય છે, ત્યારે જલ જીવન મિશન દ્વારા દર વર્ષે 4 લાખથી વધુ લોકોને ઝાડા જેવા રોગોથી બચાવી શકાય છે, જેના કારણે ખિસ્સામાંથી થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.

PMએ જળ સંરક્ષણ માટે ભારતનાં મિશનમાં ઉદ્યોગોએ ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો તથા તેમનાં પ્રદાન બદલ આભાર માન્યો હતો. તેમણે નેટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સ્ટાન્ડર્ડ્સ અને વોટર રિસાયક્લિંગ ગોલને પૂર્ણ કરનારા ઉદ્યોગો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તથા પાણીની સ્થિરતાને દૂર કરવા વિવિધ ક્ષેત્રોના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, ઘણાં ઉદ્યોગોએ તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે જળસંચય પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. PM મોદીએ જળ સંરક્ષણ માટે સીએસઆરનાં ગુજરાતનાં નવીન ઉપયોગની પ્રશંસા કરી હતી અને તેને વિક્રમસર્જક પ્રયાસ ગણાવ્યો હતો. PMએ કહ્યું હતું કે, ગુજરાતે જળસંચય માટે સીએસઆરનો ઉપયોગ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. PM મોદીએ જણાવ્યું હતું કે, સુરત, વલસાડ, ડાંગ, તાપી અને નવસારી જેવા સ્થળોએ આશરે 10,000 બોરવેલ રિચાર્જ માળખાનું કામ પૂર્ણ થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પહેલ પાણીની અછતને દૂર કરવામાં અને નિર્ણાયક પ્રદેશોમાં ભૂગર્ભજળ સંસાધનોને રિચાર્જ કરવામાં મદદ કરી રહી છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહિયારા પ્રયાસો પર ભાર મૂકતાં PM મોદીએ જાહેરાત કરી હતી કે, જલ સંચય-જન ભાગીદારી અભિયાન મારફતે જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારે હવે આ પ્રકારનાં વધુ 24,000 માળખાં ઊભાં કરવા નવું અભિયાન શરૂ કર્યું છે. તેમણે આ અભિયાનને એક મોડેલ ગણાવ્યું હતું, જે ભવિષ્યમાં અન્ય રાજ્યોને પણ આ પ્રકારની પહેલો હાથ ધરવા માટે પ્રેરિત કરશે.

સંબોધનના સમાપનમાં PM મોદીએ ભારત જળ સંરક્ષણમાં વૈશ્વિક પ્રેરણાસ્ત્રોત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું માનું છું કે સંયુક્તપણે આપણે ભારતને સમગ્ર માનવતા માટે જળ સંરક્ષણની દીવાદાંડી બનાવીશું. તેમણે આ મિશનની સતત સફળતા માટે શુભેચ્છાપાઠવી હતી. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!