
હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જૂન આજે પોલીસ સ્ટેશન હાજર થયો હતો, જ્યાં તેની આ કેસ સાથે જોડાયેલી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ઘટના અંગે અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા, જેનો અલ્લુએ શાંતિથી જવાબ આપ્યા હતા. અલ્લુ અર્જૂન પોતાની લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ પહેલા અલ્લુ અર્જૂનના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો 8 વર્ષનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો.
પોલીસની પૂછપરછ બાદ અલ્લુ અર્જૂન પોલીસ સ્ટેશનથી ઘરે જવા નીકળી ગયો હતો. સૂત્રોનું કહેવું છે કે તેણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પૂછપરછ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે રેવતી નામની મહિલાના નાસભાગમાં મૃત્યુ વિશે જાણતો હતો? તો આના પર અલ્લુ અર્જૂને કહ્યું કે હા, પણ મને બીજા દિવસે ખબર પડી.

પૂછાયા આ સવાલ
- શું તમે સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શોમાં હાજરી આપવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી હતી?
- શું તમને થિયેટરમાં જવાની છૂટ હતી?
- શું તમે થિયેટર મેનેજમેન્ટને અગાઉથી કહ્યું હતું કે તમે ત્યાં આવી રહ્યા છો?
- શું થિયેટર મેનેજમેન્ટે તમને ત્યાં આવવાની ના પાડી હતી?
- શું તમે જાણતા હતા કે પોલીસે તમને થિયેટરમાં જવાની પરવાનગી આપી ન હતી?
- શું તમે અને તમારી PR ટીમે સીધો પોલીસનો સંપર્ક કર્યો અને મંજૂરી મેળવી?
- શું તમારી ટીમે તમને જણાવ્યું હતું કે સંધ્યા થિયેટરની આસપાસ શું પરિસ્થિતિ છે?
- જ્યારે તમે થિયેટરમાં પહોંચ્યા ત્યારે શું ત્યાં સુરક્ષા માટે બાઉન્સર તૈનાત હતા?
- જ્યારે તમે થિયેટરમાં પહોંચ્યા ત્યારે ત્યાં શું સ્થિતિ હતી?
- જ્યારે નાસભાગ મચી અને એક મહિલાએ જીવ ગુમાવ્યો, ત્યારે શું તમે ત્યાં હાજર હતા?
- તમે સંધ્યા થિયેટરમાં કેટલો સમય રોકાયા હતા?
- જ્યારે તમને નાસભાગના સમાચાર મળ્યા, ત્યારે તમે પરિસ્થિતિને નિયંત્રિત કરવા શું કર્યું?

