fbpx

USથી 18000 ભારતીયોને પાછા લાવવાના બદલે ભારતને શું મળશે, જાણો યોજના

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારત સરકારે સંકેત આપ્યો છે કે, તે તેના તમામ નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે. એક સ્થાનિક સમાચારપત્રએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં લગભગ 18000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે, જેમને ઘરે પાછા મોકલવાના છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળના પહેલા દિવસે જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી સામૂહિક દેશનિકાલ માટે પાયો નંખાઈ ગયો છે.

એક સ્થાનિક સમાચારપત્રના અહેવાલ મુજબ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવા માટે ચકાસણી કરશે અને દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરશે. નામ ન આપવાની શરતે લોકોએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે એમ છે, કારણ કે તે સ્પષ્ટ નથી કે અમેરિકામાં કેટલા ભારતીય ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે રહે છે. અમેરિકામાં, પશ્ચિમ ભારતના યુવાનો, ખાસ કરીને પંજાબ અને ગુજરાતના યુવાનો, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવામાં મોખરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં ઇમિગ્રેશનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. સોમવારે તેમના શપથગ્રહણના કલાકોમાં જ, નવા રાષ્ટ્રપતિએ તે વચન પૂર્ણ કરવા માટે પગલાં લીધાં. ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા જન્મથી અમેરિકન નાગરિકતા સમાપ્ત કરવાનો અને US-મેક્સિકો સરહદ પર સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આગમન પછી, ભારતે સહકારી વલણ બતાવવાનો પ્રયાસ કર્યો છે.

સહયોગના બદલામાં, ભારતને આશા છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય નાગરિકો દ્વારા USમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતા કાનૂની પગલાં, જેમ કે વિદ્યાર્થી વિઝા અને H-1B વિઝા કાર્યક્રમનું રક્ષણ કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ‘સ્થળાંતર અને ગતિશીલતા પર ભારત-અમેરિકા સહયોગના ભાગ રૂપે, બંને પક્ષો ગેરકાયદેસર સ્થળાંતરને રોકવાની પ્રક્રિયામાં રોકાયેલા છે. ભારતમાંથી અમેરિકામાં કાયદેસર સ્થળાંતર માટે વધુ રસ્તા બનાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઓક્ટોબરમાં થયેલા સ્વદેશ પરત લાવવાના કાર્યનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘તાજેતરમાં ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમેરિકાથી ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા તે આ સહયોગનું પરિણામ છે.’

US કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં US બોર્ડર પેટ્રોલ અધિકારીઓ દ્વારા સામનો કરાયેલા તમામ ગેરકાયદેસર ક્રોસિંગમાં ભારતીય નાગરિકોનો હિસ્સો લગભગ 3 ટકા હતો. મેક્સિકો, વેનેઝુએલા અને ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશોનો હિસ્સો ઘણો વધારે છે. જોકે, તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર કરનારાઓની સંખ્યા અને હિસ્સો વધી રહ્યો છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા ચોક્કસ નથી, પરંતુ ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં અમેરિકામાં લગભગ 220,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે.

આ બાબતથી પરિચિત લોકોના મતે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવાથી ભારતના PM નરેન્દ્ર મોદીના વિદેશમાં અલગતાવાદી ચળવળોને રોકવાના ધ્યેયને પણ વેગ મળી શકે છે. ખાલિસ્તાન તરફી ચળવળ અમેરિકન ભૂમિ પર મજબૂત બની રહી છે, જેને ભારત પોતાના માટે ખતરો માને છે. ભારતે આ ચળવળ પર કડક કાર્યવાહી કરી છે, અને અધિકારીઓ માને છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં આ જૂથના કેટલાક સમર્થકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે.

ભારતના PM નરેન્દ્ર મોદીના ટ્રમ્પ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે અને તેમણે નવા વહીવટીતંત્રનું સ્વાગત કર્યું છે. પરંતુ નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કોઈપણ અણધારી કાર્યવાહીથી સાવચેત છે. ખાસ કરીને જ્યારે US રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, તેઓ 1 ફેબ્રુઆરી સુધીમાં મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. ટ્રમ્પ વારંવાર ફરિયાદ કરી ચૂક્યા છે કે, ભારતના ઊંચા આયાત કર અમેરિકન બજારને નુકસાન પહોંચાડે છે અને તેમણે નવી દિલ્હી પર ટેરિફ વધારવાની વાત કરી છે.

error: Content is protected !!