fbpx

કૈલાસ માનસરોવર જવા નેપાળ-ચીનની જરૂર નથી, આ રુટ થઈ રહ્યો છે તૈયાર, ગડકરીએ…

Spread the love

ઉત્તરાખંડના પિથોરાગઢથી કૈલાશ માનસરોવર યાત્રાનો રૂટ નક્કી થઈ રહ્યો છે. હવે કૈલાશ માનસરોવર યાત્રા નેપાળ કે ચીન ગયા વિના પૂર્ણ થશે. આ અંગે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક વર્ષમાં નવો રૂટ તૈયાર થઈ જશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંદર્ભમાં એક મોટી અપડેટ આપી છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ માર્ગનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં, આ નવા માર્ગ દ્વારા, ભારતીય નાગરિકો નેપાળ કે ચીનમાંથી પસાર થયા વિના કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે. પિથોરાગઢથી માનસરોવર સુધી સીધો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.

નવા રૂટના નિર્માણથી મુસાફરીનો સમય અને મુશ્કેલી બંનેમાં ઘટાડો થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ માર્ગના નિર્માણમાં ઘણા પડકારો આવ્યા હતા, પરંતુ -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર દ્વારા મશીનો પહોંચાડીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ રસ્તાનું 85 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આના પર કામ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું હતું. ભારત અને ચીનના વિદેશ મંત્રાલયોની છેલ્લી બેઠક પછી, રસ્તાના નિર્માણની ગતિ વધારવા અંગે ચર્ચા થઈ છે. આ પછી નીતિન ગડકરીનું નિવેદન બહાર આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કાર્યક્રમમાં કહ્યું કે, મને ખુશી છે કે તમે બે-ચાર દિવસ પહેલા પિથોરાગઢ થઈને માનસરોવર જવાનો રસ્તો ખુલવા અંગેના સમાચાર જોયા અથવા વાંચ્યા હશે. ખરેખર, આપણા વિદેશ મંત્રાલયે ચીન સાથે બેઠક કરી છે. બેઠકમાં માન સરોવરનો રસ્તો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખરેખર, આ રસ્તો કોરોના સમયગાળા દરમિયાન બંધ થઇ ગયો હતો. ત્યારથી, આ માર્ગે કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થઈ ન હતી. આ ઉપરાંત, નીતિન ગડકરીએ કૈલાશ માનસરોવર માર્ગ અંગે પણ ખુશખબર આપ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રૂટ ખુલવા કરતાં પણ વધુ ખુશીના સમાચાર એ છે કે, હવે તમારે માનસરોવર જવા માટે નેપાળ કે ચીન જવાની જરૂર રહેશે નહીં. હવે અમે પિથોરાગઢથી સીધા 35 થી 40 Kmનો નવો રસ્તો બનાવી રહ્યા છીએ. માનસરોવર માટે આ નવો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. ચીનના રસ્તાનો માત્ર 35 કિલોમીટર ઉપયોગ થશે. હવે માનસરોવરનો રસ્તો 1 વર્ષની અંદર ખુલી જશે.

કૈલાશ માનસરોવર યાત્રા હાલમાં નેપાળ અને ચીન થઈને કરવામાં આવે છે, જેમાં 15-20 દિવસનો સમય લાગે છે. આ રસ્તો ઘણો મુશ્કેલ છે. ભૂસ્ખલન અને ઊંચાઈને કારણે, આ યાત્રા ફક્ત શારીરિક રીતે સ્વસ્થ લોકો માટે જ શક્ય છે. 1998માં, પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના પ્રોતિમા ગૌરી બેદી સહિત 180થી વધુ યાત્રાળુઓનું ભૂસ્ખલનમાં મૃત્યુ થયું હતું.

ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવર સુધીના આ નવા માર્ગને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો ભાગ પિથોરાગઢથી તવાઘાટ સુધીનો છે જે 107.6 Km લાંબો છે. તવાઘાટથી ઘાટિયાબગઢ સુધી 19.5 Km લાંબા ડબલ લેન રોડનો બીજો ભાગ બનાવવામાં આવ્યો છે. ત્રીજા ભાગમાં ઘાટિયાબગઢથી લિપુલેખ પાસ સુધીનો 80 કિલોમીટર લાંબો ચાલવાનો માર્ગ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મે 2021માં આ રસ્તાના પહેલા ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી મુસાફરીનો સમય પાંચ દિવસથી ઘટીને બે દિવસ થયો. ઘાટિયાબગઢથી લિપુલેખ સુધીના રસ્તાનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. હવે તેને એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

કૈલાશ માનસરોવર હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો માને છે કે, કૈલાશ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન છે અને દેવી-દેવતાઓ માનસરોવર તળાવમાં સ્નાન કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રા પર જાય છે. સરકારનો આ પ્રોજેક્ટ માત્ર શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ બનાવશે નહીં પરંતુ સુરક્ષામાં પણ વધારો કરશે.

error: Content is protected !!