

આપણો દેશ લોકશાહી પ્રધાન દેશ છે અને જો આપ આપના દેશના શહેરી વિસ્તારના નાગરિક છો તો અહીં દરેક નાગરિકને પોતાના સ્થાનીક પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે. વ્યવસ્થાના ભાગ રૂપે મહાનગરપાલિકાના વિસ્તારોમાં રહેતા લોકો માટે તેમના દ્વારા ચૂંટાયેલા કોર્પોરેટર એટલે એક એવી વ્યક્તિ જે તેમની સમસ્યાઓનું સમાધાન લાવે, વિકાસના કામો કરે અને તેમના વિસ્તારને સુખીસમૃદ્ધ બનાવે. પરંતુ આજે ઘણા વિસ્તારોમાં એવું જોવા મળે છે કે જે કોર્પોરેટરને આપણે મત આપીને ચૂંટીએ છીએ અને તેઓ પોતાની જવાબદારી/ફરજો ભૂલી જાય છે. ચૂંટણી સમયે મત માંગવા મોઢું દેખાડતા આ નેતાઓને એમની ફરજ સમજાવવાનો અને એમને કહેવાનો સમય આવી ગયો છે કે “કામ કરશો તો જ વોટ આપીશું.”

કોર્પોરેટરની ફરજ શું છે? તે જે તે વોર્ડના નાગરિકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ છે જેનું કામ છે વોર્ડની જનતાની સમસ્યાઓને મહાનગરપાલિકા સુધી પહોંચાડવી અને તેનું નિરાકરણ લાવવું. રસ્તાઓની ખરાબ હાલત, ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળે, પાણીની અછત, ગેરકાયદે બાંધકામો અને સ્વચ્છતાનો અભાવ જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવો એ તેમની પ્પહેલી જવાબદારીઓ છે. આ ઉપરાંત વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સ્થાનિક સુવિધાઓનો વિકાસ કરવા માટે યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવો પણ તેમના કાર્યક્ષેત્રમાં આવે છે.
પરંતુ શું આ બધું થાય છે?
ઘણી વખત તો ફરિયાદ કરવા છતાં પણ કોઈ હલ નથી મળતો.
જ્યારે આપણે મહાનગરપાલિકામાં રહીએ છીએ ત્યારે આપણી અપેક્ષા હોય છે કે આપણા ટેક્સના નાણાંનો ઉપયોગ આપણા વિસ્તારના વિકાસ માટે થાય. પરંતુ જો રસ્તા પર ખાડા હોય, ગટરનું પાણી ઘરોમાં ઘૂસે અને ડેન્ગ્યૂ-મેલેરિયા જેવા રોગો ફેલાતા હોય તો આપણે આપણા કોર્પોરેટરને પૂછવું જોઈએ કે “અમે તમને કેમ ચૂંટ્યા?” આપણે એમને વોટ આપ્યો છે એટલે જ તેમની પાસે આ ખુરશી છે. તો શું તેમનું કામ નથી કે આપણી તકલીફો દૂર કરે?

આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે આપણા વિસ્તારના કોર્પોરેટરને પકડવા જોઈએ. તેમને વિનમ્રતા વિવેક પૂર્વક સીધી રીતે જણાવવું જોઈએ કે આપણી સમસ્યાઓ શું છે અને તેનું સમાધાન ક્યારે આવશે. ફરિયાદ કરવી એ આપણો અધિકાર છે અને જો ફરિયાદ પછી પણ હલ ન મળે તો તેમને ફરજ પાડવી જોઈએ. આ માટે આપણે સામૂહિક રીતે અવાજ ઉઠાવી શકીએ છીએ. વોર્ડની બેઠકોમાં જઈને, સોશિયલ મીડિયા પર સમસ્યાઓ ઉઠાવીને અથવા તો સીધા મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને. જો કોર્પોરેટરને ખબર પડે કે જનતા જાગૃત છે અને તેમની નિષ્ક્રિયતા સહન નહીં કરે તો તેઓ કામ કરવા મજબૂર થશે.
આ ઉપરાંત આપણે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે આપણો વોટ કોઈ ભેટ નથી. તે એક સોદો છે જેમાં આપણે કોર્પોરેટરને સત્તા આપીએ છીએ અને બદલામાં તેઓ આપણી સેવા કરે છે. જો તેઓ આ સોદો પૂરો ન કરે તો આગામી ચૂંટણીમાં તેમને બતાવવું જોઈએ કે જનતા નિષ્ક્રિય નેતાઓને સહન નહીં કરે. “કામ કરશો તો જ વોટ આપીશું” એ સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ. ચૂંટણી સમયે મીઠી વાતો અને વાયદાઓથી નહીં પરંતુ પાંચ વર્ષના કામના હિસાબથી નેતાને મૂલવવું જોઈએ.

આજે સમય છે કે આપણે આપણી શક્તિને ઓળખીએ. લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે. જો આપણે એક થઈને અવાજ ઉઠાવીશું તો કોઈ પણ કોર્પોરેટર આપણી અવગણના નહીં કરી શકે. તેઓને યાદ કરાવવું જોઈએ કે તેઓ આપણા સેવક છે રાજા કે મહારાજા કે નગરશેઠ નહીં. જે દિવસે આપણે આ વાતને ગંભીરતાથી લઈશું તે દિવસે આપણા વિસ્તારોમાં ખરો વિકાસ દેખાશે.
તો ચાલો, આજથી જ આપણા કોર્પોરેટરને પકડીએ તેમની ફરજ સમજાવીએ અને સ્પષ્ટ કહીએ કે, “કામ નહીં, તો વોટ નહીં!”