

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઘણા પ્રવાસીઓને મધમાખીઓએ ડંખ માર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે તાજમહેલના રોયલ ગેટ પર મધપૂડો હતો. મધપૂડો હટાવવા માટે ASI દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું હતું. એક કર્મચારી મધપૂડો હટાવી રહ્યો હતો. આ માટે કોઈ સાવધાની રાખવામાં આવી નહોતી. મધપૂડો હટાવતા જ મધમાખીઓ ઉડવા લાગી. રોયલ ગેટ પાસે મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક હતા. એવામાં મધમાખીઓના ડંખથી અફરાતફરી મચી ગઈ હતી. પ્રવાસીઓ બચવા માટે આમ તેમ દોડવા લાગ્યા. આ દરમિયાન ત્યાં હાજર એક પ્રવાસીએ મધમાખીના હુમલાનો વીડિયો બનાવી લીધો.
રવિવાર હોવાથી તાજમહેલમાં પ્રવાસીઓની સારી ભીડ હતી. એવામાં પ્રવાસીઓ ઓછા હોય તેવા દિવસે સાફ સફાઈનું કામ કરી શકાતું હતું. આ સાથે જ મધમાખીઓ મધપૂડો હટાવવા અગાઉ તેના હુમલાથી બચવા માટે વ્યવસ્થા કરાવી જોઈતી હતી, પરંતુ અહીં મધપૂડો હટાવનારા કર્મચારીએ શૂઝ પણ પહેર્યા નહોતા. પર્યટકોને પણ થોડા સમય માટે તે વિસ્તારમાં જતા અટકાવી શકાતા હતા. પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે તાજમહેલમાં મોટી દુર્ઘટના થઈ શકતી હતી.

પ્રવાસીઓની અફરાતફરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિકલાંગ પ્રવાસી ઇજાગ્રસ્ત થઈને બેસી ગયો છે. તેની આંખો અને ચહેરા પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. ASIના સહાયક સંરક્ષણ અધિકારી પ્રિન્સ વાજપેયીએ કહ્યું કે તેમણે તરત જ બેરિકેડ કરીને ગેટ બંધ કરી દીધો હતો. એક દિવ્યાંગ પ્રવાસી ઇજાગ્રસ્ત થયો છે. તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.