

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં વકફ (સંશોધન) બિલ 2025 પર ચર્ચા દરમિયાન એક જોરદાર ભાષણ આપ્યું. આ બિલના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે વિપક્ષના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે આ કાયદો દેશના હિતમાં છે જે દરેકે સ્વીકારવો પડશે.
તેમણે ભાષણમાં જણાવ્યું કે “એક સભ્યે કહ્યું કે લઘુમતીઓ આ કાયદો નહીં સ્વીકારે. ધમકાવવા કોને માગો છો? આ સંસદનો કાયદો છે, ભારત સરકારનો કાયદો છે, અને તે દરેક માટે બંધનકર્તા રહેશે.” તેમણે વિપક્ષ પર આક્ષેપ લગાવ્યો કે તેઓ રાજકીય કારણોસર દેશભરમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. “આ બિલનો હેતુ વકફ સંપત્તિઓનું સંરક્ષણ અને પારદર્શિતા લાવવાનો છે, પરંતુ વિપક્ષ તેને ખોટી રીતે રજૂ કરી રહ્યો છે,” એમ તેમણે ઉમેર્યું.

ગૃહમંત્રીએ બિલના હેતુ પર ભાર મૂકતાં કહ્યું કે આ સંશોધન વકફ સંપત્તિઓના સંચાલનમાં સુધારા લાવવા અને તેનો દુરુપયોગ રોકવા માટે લાવવામાં આવ્યું છે. “આ બિલથી કોઈ સમુદાયને નુકસાન નહીં થાય પરંતુ તે દેશના હિતમાં કામ કરશે” એમ તેમણે સ્પષ્ટ કર્યું.
વિપક્ષને સીધી ચેલેન્જ આપતાં અમિતભાઈએ કહ્યું “જે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે, તેઓએ તેમના તર્કને સ્પષ્ટ કરવા જોઈએ. જેઓ કહે છે કે અમે આ કાયદો નહીં માનીએ તેઓએ સંસદની ગરિમાને સમજવું જોઈએ.” તેમણે વકફ કાયદાના ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે પહેલાના કાયદાઓમાં ઘણી ખામીઓ હતી જેને આ સંશોધન દ્વારા દૂર કરવામાં આવશે. આ ભાષણ દરમિયાન લોકસભામાં ગરમાગરમ ચર્ચા જોવા મળી.