
ગયા બુધવારે CRPF જવાન મુનીર અહેમદ અને તેની પાકિસ્તાની પત્નીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. CRPF જવાન મુનીર અહેમદે થોડા સમય પહેલા મીનલ ખાન સાથે નિકાહ કર્યા હતા. હવે અપડેટ એ છે કે મીનલ ખાનને અટારી બોર્ડરથી જમ્મુ પરત મોકલી દેવામાં આવી છે. મીનલ અને મુનીર સોશિયલ મીડિયા દ્વારા મિત્ર બન્યા અને પછીથી તેમણે એકબીજા સાથે લગ્ન કરી લીધા.

વાઘા બોર્ડર જતી વખતે, મીનલે ભારત સરકારને અપીલ કરી કે, દેશમાં પરિણીત પાકિસ્તાની નાગરિકોને તેમના બાળકોથી અલગ ન કરવામાં આવે. મીનલે કહ્યું, ‘અમને અમારા પરિવાર સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. અમે પહેલગામ હુમલામાં નિર્દોષ લોકોની બર્બર હત્યાની નિંદા કરીએ છીએ. તેને કડક સજા મળવી જોઈએ.’
જમ્મુમાં એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, પાકિસ્તાની નાગરિક મીનલ ખાનના વકીલ અંકુશ શર્માએ જણાવ્યું હતું કે, CRPF જવાન મુનીર ખાને અઢી મહિના પહેલા પાકિસ્તાની નાગરિક મીનલ ખાનની સાથે નિકાહ કર્યા હતા. તે વિઝિટિંગ વીઝા પર ભારત આવી હતી અને પછી લાંબા ગાળાના વીઝા માટે અરજી કરી હતી.

અંકુશ શર્માએ જણાવ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં બે પ્રકારના લોકોને છૂટ આપવામાં આવી હતી. આમાં રાજદ્વારી વીઝા ધારકો અને લાંબા ગાળાના વીઝા ધારકોનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી કે, મીનલ ખાનનો પણ લાંબા ગાળાના વીઝા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, ત્યાર પછી અહેવાલ મુજબ ગૃહ મંત્રાલયને સકારાત્મક ભલામણો મોકલવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે આ દરમિયાન પહેલગામ હુમલો થયો અને તેમની પાસે લાંબા ગાળાના વીઝા ન હોવાથી તેમને અટારી બોર્ડર પર મોકલી દેવામાં આવ્યા. જે દિવસે તે અટારી-વાઘા બોર્ડર પર હતી, તે જ દિવસે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો અને તેની સુનાવણી થઈ. જેમાં કોર્ટે આ આદેશ અને સમગ્ર કાયદાને જોયા પછી, એક વચગાળાનો આદેશ પસાર કર્યો, જેના પછી તેને સરહદ પરથી પાછી મોકલી દેવામાં આવી હતી. તે વહેલી સવારે લગભગ ૩ વાગ્યે જમ્મુ પહોંચી ગઈ હતી.