

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ 12,000 કરતાં વધુ કાચાં-પાકાં મકાનો અને દબાણો દૂર કરાયા હતાં, પણ કેટલાક ધાર્મિક સ્થળો – જેમ કે મંદિરો અને મસ્જિદો તાત્કાલિક ન તોડવામાં આવ્યા. આજે, 28 મે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમની ઉપસ્થિતિમાં, ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ સ્થળો પર કાર્યવાહી
ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચંડોળાની સૌથી મોટી મસ્જિદ ગણાતી ગરીબ નવાબ મસ્જિદ ખાલી કરાવીને તોડી પાડવામાં આવી છે. આ કામગીરી પહેલાં મંદિર અને મસ્જિદોમાંથી તમામ ધાર્મિક ચીજવસ્તુઓ અને પુસ્તકો સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
ડિમોલિશન માટે ભારે બંદોબસ્ત
મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનની એસ્ટેટ ટીમ, વિવિધ ઝોનના અધિકારીઓ અને 500થી વધુ પોલીસકર્મચારીઓની હાજરીમાં કામગીરી કરવામાં આવી. ઘટના સ્થળે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, સેક્ટર 2ના જેસીપી અને ઝોન 6ના ડીસીપી પણ હાજર રહ્યા.

મશીનરીની મદદથી વિસ્તૃત કામગીરી
5 હિટાચી મશીન અને જેસીબીની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા ચાલી. ચંડોળા તળાવ પાસે આવેલા ઇસનપુર દશામાતા મંદિર નજીકના ઘરોને પણ તોડી પાડવામાં આવ્યાં. અત્યાર સુધી 20થી વધુ ધાર્મિક સ્થળો અને 500થી વધુ કાચાં-પાકાં મકાનો તોડવામાં આવ્યા છે.

અગાઉના લેવાયેલ પગલાં
21 મેના રોજ ફેઝ-2ના બીજા દિવસે 20 ધાર્મિક સ્થળો અને 500 મકાનો તોડાયા હતાં. 20 મેના રોજ 35 હિટાચી અને 15 જેસીબી મશીન સાથે 8500 મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. ચંડોળા તળાવ વિસ્તારની આશરે 2.5 લાખ ચો.મીટરની જગ્યામાંથી મોટાભાગના દબાણો દૂર કરાઈ ચુક્યા છે.