fbpx

2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

Spread the love
2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

સુરતને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે પણ રાજનીતિક વાતાવરણ ઊભું થાય તો સુરત મહત્ત્વનું કેન્દ્ર બની જાય છે. ફરી એક વખત વિસાવદરની ચૂંટણીને લઈને સુરતમાં રાજનીતિક ગરમાવો વધી ગયો છે. વિસાવદરના ઉમેદવાર જૂનાગઢ જિલ્લા અને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોના સુરતમાં રહેતા લોકો કે જેમણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમની પાસે વોટ માટે અપીલ કરવા સુરત આવ્યા હતા. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વિસાદવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓના નામ લીધા વિના આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું કે, જે નેતાઓએ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લખીને પોતાના જીતના મોટા બણગા ફૂંક્યા હતા, તેઓ નિષ્ફળ રહ્યા છે અને 182 બેઠક ઉપર ઉમેદવારોને ઊભા કર્યા હતા, જેમાંથી 136 બેઠક પર ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે. આટલું જ નહીં ચૂંટણી જાહેર ન થઈ તે અગાઉથી જ કેટલીક પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામ જાહેર કરીને વિસાવદરની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રાયસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓ માટે સતત દુષ્પ્રચાર કર્યો.

CR-Patil1

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા છે. ત્યાં લોકોએ તેમને સ્વીકાર્યા નથી. તેઓ હવે ગુજરાતમાં આવીને વિસાવદરની પ્રજાને ગેરમાર્ગે દોરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીની જનતાએ તેમને ઓળખી લીધા અને તેમને હરાવી દીધા. વર્ષ 2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથી. હવે તમને એક તક મળી છે. આ ભૂલ સુધારવાની છે. આ વખત BJPના એક-એક કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે અને મને આશા છે કે, વિસાવદરની BJPને જીત અપાવશે.

વિસાવદરના BJPના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થઈ તે અગાઉથી મારા ઉપર સતત ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ જો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે એમાંથી ઘણા બહારથી આવ્યા છે. તેઓ વિસાવદરના પણ નથી. કોઈ સુરતના ઓલપાડથી આવ્યા છે તો કોઈ રાજ્યના અન્ય ખુણામાંથી આવ્યા છે. વિસાવદરમાં BJPનો વનવાસ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે આ વનવાસ પૂરો કરીને રામ રાજ્ય સ્થાપવાનો સમય આવી ગયો છે. વર્ષ 2012થી અત્યાર સુધી BJPની એક બેઠક પર જીત નથી થઈ. ત્યારે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે સુરતમાં રહેતા જૂનાગઢ જિલ્લા અને વિસાવદર મતદાન વિસ્તારના સગા સંબંધીઓ જીત અપાવવા માટે મદદ કરે.

CR-Patil2

BJPના નેતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, સુરતને જેમણે કર્મભૂમિ બનાવી છે એવા વિસાવદર મતદાન વિસ્તારના લોકોને અમે અપીલ કરીએ છીએ કે, અહીંથી દરેક વ્યક્તિ ત્યાં ફોન કરે તેમના સંબંધીઓને BJPને મત આપવા માટે પ્રેરિત કરે. BJPના ઉમેદવાર કિશન પટેલ ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. જૂનાગઢ સહકારી માળખામાં પોતાનું સારું યોગદાન આપી રહ્યા છે અને સારો વહીવટ કરી રહ્યા છે. જે વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમણે સાબિત કરવું જોઇએ. માત્ર રાજકીય કિન્નાખોરીમાં આવીને ખોટા આક્ષેપો કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂંટણીને ચૂંટણીની રીતે લેવી જોઇએ. માત્ર કોઇ વ્યક્તિને અને લોકોને ખોટા માર્ગે દોરવા માટે પ્રચાર ન કરવો જોઇએ.

error: Content is protected !!