

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં માહિતી અધિકાર (RTI) કાયદાના દુરુપયોગ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં એક નકામી RTI અરજીમાં સરકારી ઓફિસમાં એક દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાજ્ય માહિતી આયોગ (SIC)એ હાઈકોર્ટને કહ્યું કે, તેમને આવી અર્થહીન RTI અરજીઓ મળી રહી છે.
એક સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, હાઈકોર્ટે કહ્યું છે કે, માહિતી અધિકાર જેવા કાયદાઓનો હેતુ લોકોનું કલ્યાણ થાય તે માટે હોય છે, પરંતુ લોકો તેનો ખોટો ઉપયોગ કરવામાં રોકાયેલા છે. બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન, રાજ્ય માહિતી આયોગ (SIC)એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું કે, તેમને આવી RTI અરજીઓ મળે છે, જેનો કોઈ અર્થ નથી. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે.

SICએ જણાવ્યું હતું કે, તેમને તાજેતરમાં એક RTI અરજી મળી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, સરકારી ઓફિસમાં એક દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું કે આ મુદ્દો ગંભીર છે. મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ માર્નેની બેન્ચે જણાવ્યું હતું કે, ‘કાયદા લોક કલ્યાણના હેતુથી બનાવવામાં આવે છે, પરંતુ લોકો આ દ્વારા જમાઈઓ શોધી રહ્યા છે, સરકારી નોકરી ધરાવતા છોકરાઓને શોધી રહ્યા છે, જે ચિંતાજનક છે.’

આ મામલો બુધવારે સુનાવણી દરમિયાન સામે આવ્યો, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર શૈલેષ ગાંધી અને પાંચ RTI કાર્યકરોએ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, રાજ્ય માહિતી કમિશનરે 45 દિવસમાં બીજી અપીલ અને ફરિયાદોનો નિકાલ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો જોઈએ. જોકે, SICએ કોર્ટને જણાવ્યું હતું કે સમાધાનમાં વિલંબનું કારણ માહિતી કમિશનરોની ખાલી જગ્યાઓ છે. અરજદારોએ લગભગ 1 લાખ પેન્ડિંગ ફરિયાદોનો ઉલ્લેખ કરીને ત્રણ વધારાની જગ્યાઓ ભરવાની માંગ કરી હતી.

હાઇકોર્ટે કહ્યું કે અરજદારો હંમેશા સરકારમાં ખામીઓ શોધે છે અને તેમનું વલણ નકારાત્મક હોય છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, RTI કાયદામાં બીજી અપીલ માટે કોઈ સમય મર્યાદા નથી. ચુકાદો આપતી વખતે, બેન્ચે આશા વ્યક્ત કરી કે, SIC શક્ય તેટલી વહેલી તકે ફરિયાદોનો નિકાલ કરશે.