

ચીનના વિદેશ મંત્રી વાંગ યી બે દિવસ માટે ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ મંત્રી S. જયશંકરને મળ્યા. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ પગલાને ભારત અને ચીન વચ્ચે વધતી નિકટતા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ મુલાકાતનો અર્થ શું છે? ચાલો જાણી લઈએ.
એક સમાચાર એજન્સીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મંગળવારે, ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને મળ્યા. આ દરમિયાન, ભારત-ચીન સરહદ વિવાદ પર બંને વચ્ચે 24મા રાઉન્ડની ખાસ પ્રતિનિધિ (SR) પર વાતચીત થઈ.

આ બેઠક અંગે અજિત ડોભાલે મંગળવારે કહ્યું હતું કે, ગયા વર્ષે કઝાનમાં PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત પછી ભારત-ચીન સંબંધોમાં ‘સુધારો’ જોવા મળ્યો છે અને સરહદો શાંતિપૂર્ણ રહી છે. ડોભાલે વધુમાં કહ્યું હતું કે, ‘સુધારાનો ટ્રેન્ડ રહ્યો છે. સરહદો શાંત રહી છે. શાંતિ અને સંવાદિતા પ્રવર્તી છે. અમારા દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. અને અમે અમારા નેતાઓના ખૂબ આભારી છીએ, જેમણે ગયા ઓક્ટોબરમાં કઝાનમાં એક નવું વલણ સ્થાપિત કર્યું અને ત્યારથી અમને ઘણો ફાયદો થયો છે.’ વાંગ યી સોમવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા અને તેમણે વિદેશ મંત્રી ડૉ. S. જયશંકર સાથે પણ વાતચીત કરી છે. તેઓ આજે PM નરેન્દ્ર મોદીને પણ મળવાના છે.
વાંગ યીની ભારત મુલાકાત 18-19 ઓગસ્ટ 2025ના રોજ થઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની ખાસ પ્રતિનિધિ (SR) વાટાઘાટો હતી. આ વાતચીતમાં, ડોભાલ અને વાંગ યીએ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઘટાડવા અને કાયમી શાંતિ માટેના પગલાં અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વેપાર, યાત્રાધામ અને લોકો વચ્ચેના સંપર્ક જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાંગ યીને ડોભાલે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેઓ PM નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

વાંગ ગીનો ભારત પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવા પર વધારાની 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. આના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધ્યો છે. કેટલાક અહેવાલો અનુસાર, ટ્રમ્પના આ પગલાથી ભારત અને ચીન એકબીજાની નજીક આવ્યા છે. ખાસ કરીને 2020ના ગાલવાન સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેનો તણાવ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. વાંગ યીની મુલાકાત અને ભારત અને ચીન વચ્ચે તાજેતરના પગલાં, જેમ કે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવી અને સીધી ફ્લાઇટ્સ પર ચર્ચા, દર્શાવે છે કે બંને દેશો વચ્ચે દુશ્મનાવટની દિવાલ તૂટી રહી છે.
આવો જાણીએ કે આ બેઠકનો અર્થ શું છે?…
સીમા પર શાંતિ: ભારત અને ચીન 2024ના બ્રિક્સ સમિટ પછી LAC પર પેટ્રોલિંગ સિસ્ટમ પર સંમત થયા હતા. વાંગ યી અને ડોભાલ વચ્ચેની વાતચીતથી તણાવ ઓછો કરવાનો પ્રયાસ થયો છે, જે બંને દેશો માટે મહત્વપૂર્ણ છે.

આર્થિક સહયોગ: સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીને રેયર અર્થ, ખાતર અને ટનલ બોરિંગ મશીનો સંબંધિત ભારતની ચિંતાઓને દૂર કરવાનું વચન આપ્યું છે. બંને દેશો વચ્ચે વેપાર અને જોડાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
વૈશ્વિક મંચ પર એકતા: આ મુલાકાત 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં PM મોદીની મુલાકાત પહેલા થઈ છે. ભારત અને ચીન આ પ્લેટફોર્મ પર સહયોગ વધારી શકે છે, જે ટ્રમ્પના ટેરિફ જેવા વૈશ્વિક દબાણના પ્રતિભાવમાં મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પને જવાબ?: કેટલાક વિશ્લેષકો માને છે કે, ભારત અને ચીન વચ્ચેની આ નિકટતા ટ્રમ્પની ટેરિફ નીતિ સામે એક વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે. ભારતે રશિયા અને ચીન સાથે તેના સંબંધો મજબૂત કર્યા, જેનાથી વૈશ્વિક મંચ પર તેની સ્થિતિ મજબૂત થઈ છે.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે મતભેદોને વિવાદ બનવા દેવા જોઈએ નહીં. આ મુલાકાત બંને દેશો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને સહયોગ વધારવા તરફ એક પગલું છે. જ્યારે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પનો ટેરિફનો દાવ ઉલટો પડ્યો, કારણ કે ભારત અને ચીન હવે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને તૈયારી કરી રહ્યા છે. એટલે કે, જો જોવામાં આવે તો, વાંગ યી અને અજિત ડોભાલની મુલાકાત ભારત-ચીન સંબંધોને સુધારવા તરફ એક મોટું પગલું છે. આ મુલાકાત માત્ર સરહદ વિવાદને ઉકેલવાનો પ્રયાસ નથી, પરંતુ ટ્રમ્પના ટેરિફ જેવા વૈશ્વિક દબાણ વચ્ચે બંને દેશોની એકતાનો સંદેશ પણ આપે છે.