
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કફ સિરપથી 12 બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ બાળકોના એક બાદ એક મોતના સમાચારથી લોકો ગભરાઈ ગયા છે કે આખરે જીવનરક્ષક દવા ઝેરમાં કેમ બની રહી છે. બાળકોના મોત બાદ સરકારે આખા બેચ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શંકાસ્પદ કફ સિરપને પણ પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. દિલ્હીમાં CDSCO, પુણેમાં વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મધ્ય પ્રદેશ સરકારે 9 નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ કર્યું. કોઈપણ નમૂનામાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પણ આ બાબતની તપાસ કરી રહ્યું છે. બીજી તરફ સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સીરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે સિરપના ઉપયોગ માટે એડવાઈઝરી જાહેર કરી
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક, ડૉ. સુનિતા શર્માએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી છે. બાળકોમાં મોટાભાગની ખાંસી જાતે જ ઠીક થઈ જાય છે અને તેને દવાની જરૂર હોતી નથી.
2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી કે શરદીના સિરપ બિલકુલ ન આપો.
સામાન્ય રીતે આ દવાઓનો ઉપયોગ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ ન કરો.
5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે તો જ સિરપ આપો.
દવાની યોગ્ય માત્રા અને અવધિ ઓછામાં ઓછા દિવસો માટે આપવામાં આવે અને એક સાથે ઘણી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

જનતાને પણ સલાહ આપવામાં આવે કે ડૉક્ટરની સલાહ વિના બાળકોને કોઈ સિરપ ન આપે.
ડૉક્ટરોએ સિરપ આપવાને બદલે પહેલા બાળકોને દવા વિના રાહતના ઉપાય બાબતે બતાવે.
બાળકોને પૂરતું પાણી અને પ્રવાહી પીવા, આરામ કરવાની સલાહ અને ઘરેલુ અને સહયોગી ઉપાયો જેમ કે બાફ લેવા, હૂંફાળું પાણી પીવા જેવા જેવી સલાહ આપવી જોઈએ.
DGHSએ આરોગ્ય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે, બધી સરકારી અને ખાનગી આરોગ્યસંભાળ સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે દવાઓ ગુણવત્તાયુક્ત કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવે.
દવાઓમાં માત્ર ફાર્માસ્યુટિકલ-ગ્રેડ સામગ્રીનો ઉપયોગ થાય છે.
ડૉક્ટરો અને ફાર્માસિસ્ટે યોગ્ય પ્રિસ્ક્રિપ્શન અને દવાઓ આપવાના નિયમો વિશે જાગૃત કરવા જોઈએ.
આ નિર્દેશોનું પાલન કેન્દ્રથી લઈને જિલ્લા સ્તરની હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ કોલેજોમાં કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં થયેલા તમામ મોત છિંદવાડાના પારસિયા બ્લોકમાં થયા છે. હાલમાં, શરદી, તાવ અને ફ્લૂથી પ્રભાવિત 1,420 બાળકોની યાદી છે. બાળકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવતી 2 કફ સિરપ, કોલ્ડ્રિફ (ચેન્નાઈ) અને નેક્સા DS, હિમાચલમાં બનાવવામાં આવે છે. તે ખાનગી પ્રેક્ટિસ કરતા સરકારી ડૉક્ટરો દ્વારા પણ સૂચવવામાં આવી છે.

પહેલો શંકાસ્પદ કેસ 24 ઓગસ્ટના રોજ નોંધાયો હતો અને પહેલું મોત 7 સપ્ટેમ્બરના રોજ થયું હતું. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોતના કિસ્સા નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ ચાલી રહી છે. રાજ્ય દવા સત્તામંડળને તપાસ સોંપવામાં આવી છે. NCDCના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે પરીક્ષણ કરાયેલા આશરે 500 લોકોના રક્ત પરીક્ષણોમાં કોઈ સંક્રામક બીમારી મળી નથી. તપાસ પ્રક્રિયા ચાલુ છે, અને જે પણ પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, તેમને રાજ્ય સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
