
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ પછી, વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, એક કોન્ટ્રાક્ટર સતત દસ વર્ષથી 100 ટકા પોલિએસ્ટર શાલને શુદ્ધ શેતૂર સિલ્ક શાલ હોવાનો દાવો કરીને બિલિંગના પૈસા લેતો રહ્યો હતો. 2015થી 2025 સુધી એટલે કે એક દાયકા સુધી ચાલેલા રૂ. 54 કરોડના સિલ્ક શાલ કૌભાંડના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે.

TTDના આંતરિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, એક કોન્ટ્રાક્ટર છેલ્લા એક દાયકાથી 100 ટકા પોલિએસ્ટર શાલ સપ્લાય કરી રહ્યો હતો, તેમને 100 ટકા શુદ્ધ શેતૂર સિલ્ક શાલ હોવાનો દાવો કરીને અને તેની કિંમત વસૂલ કરતો રહ્યો હતો. શાલની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત થયા પછી TTD બોર્ડે તપાસ શરૂ કરી ત્યારે આ કથિત છેતરપિંડીનો ખુલાસો થયો. મંદિર મેનેજમેન્ટ દ્વારા આ શાલ મોટા દાતાઓ અથવા VIPઓને આપવામાં આવે છે અને વેદશીરવચનમ જેવા મંદિરના ધાર્મિક વિધિઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.
મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, છેલ્લા દસ વર્ષમાં આ ગડબડી થઈ છે, જેના કારણે મંદિર ટ્રસ્ટને લગભગ રૂ. 54 કરોડથી વધુનું નુકસાન થયું છે. TTD બોર્ડના અધ્યક્ષ BR નાયડુએ જણાવ્યું હતું કે, ‘એક શાલ જેની કિંમત આશરે રૂ. 350 છે તેનું બિલ રૂ. 1,300 ચૂકવવામાં આવ્યું હતું. કુલ સપ્લાય રૂ. 50 કરોડથી વધુની હશે. અમે ACB (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)ને તપાસ કરવા જણાવ્યું છે.’

તેમણે ઉમેર્યું હતું કે, શાલના નમૂનાઓ બે પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં એક સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) હેઠળ હતી. બંને પરીક્ષણોમાં માલ પોલિએસ્ટર હોવાનું બહાર આવ્યું છે, જે ટેન્ડર સ્પષ્ટીકરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વિજિલન્સ અધિકારીઓએ એ પણ જોયું હતું કે સપ્લાય કરેલા નમૂનાઓમાંથી વાસ્તવિક રેશમ ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે જરૂરી રેશમ હોલોગ્રામ ગાયબ હતો. એવું કહેવાય છે કે, આ સમયગાળા દરમિયાન TTDને મોટાભાગના કાપડના પુરવઠા માટે એક જ પેઢી અને તેની સિસ્ટર કંપનીઓ જવાબદાર હતી.

વિજિલન્સ રિપોર્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરીને, TTD ટ્રસ્ટ બોર્ડે પેઢી સાથેના તમામ હાલના ટેન્ડર રદ કર્યા છે અને સમગ્ર મામલો રાજ્ય ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને સંપૂર્ણ ફોજદારી તપાસ માટે મોકલ્યો છે. અહીં તમને બતાવી દઈએ કે, ગયા વર્ષે, આ જ મંદિરમાં નકલી ઘી સપ્લાય કરવાનો અને તેમાંથી પ્રસાદ (લાડુ) બનાવવાનો મામલો સામે આવ્યો હતો. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, TTDને આશરે રૂ. 250 કરોડનું 68 લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું.
